Thursday, October 26, 2017

એક ઘા ને બે કટકા

ચિત્રલેખા - અંક મે ૨૦૧૭ 

કોલમ: વાંચવા જેવું 

એક ધર્મ વિશે આકરું લખ્યું એટલે હવે તટસ્થ દેખાવા બીજા ધર્મ વિશે પણ ધરાર આકરું લખવું એ નગીનદાસ સંઘવીની તાસીરમાં નથી. એમની તટસ્થતામાં કન્વિક્શન પણ છે અને મૌલિકતા પણ છે. તેઓ લખે છે કે, ‘તમામ ધર્મના અગ્રણીઓ અને તમામ ધર્મના પ્રવચનકારોમાં એક તત્ત્વ સમાન ભાવે છે. એમનો અભિગમ બુદ્ધિને જાગ્રત કરવા તરફ નથી, પણ બુદ્ધિને હાલરડાં ગાઈને ઊંઘાડી દેવા તરફ હોય છે. આ (ધર્મ) ભાવજગત છે એ અને એમાં બુદ્ધિનિષ્ઠાને સ્થાન હોઈ શકે નહીં અથવા બુદ્ધિનું સ્થાન આ ક્ષેત્રમાં ઊતરતું હોવું જોઈએ એવી રજૂઆત સાચી નથી, એટલું જ નહીં, એમાં ભયંકર જોખમ રહેલું છે.’  

                                                                       



 ર્મ જેવા અતિ સંવેદનશીલ વિષય પર સંપૂર્ણપણે તટસ્થ રહીને નિર્ભિકપણે લખવું અત્યંત પડકારભર્યું તેમજ મુશ્કેલ કામ છે. બહુ ઓછા લેખકો તે અધિકારપૂર્વક કરી શકે છે. આથી જ નગીનદાસ સંઘવી જેવી અનુભવસમૃદ્ધ અને અભ્યાસુ વ્યક્તિએ લખેલા ધર્મ વિશેના ચુનંદા લેખો સંગ્રહ સ્વરુપે બહાર પડે ત્યારે એને ગંભીરતાથી લેવું પડે. 

 આજે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે ‘ધર્મ’ પુસ્તક વાસ્તવમાં ‘તડ અને ફડ’ શ્રેણીનો એક મણકો છે. આ શ્રેણીના અન્ય મણકા એટલે ‘રાજનીતિ’, ‘સમાજ’, ‘ઇતિહાસ’, ‘ભારત’, ‘વિશ્ર્વ’, ‘જીવન’ અને ‘સંસ્કૃતિ’. ‘ધર્મ’ પુસ્તકમાં ‘ચિત્રલેખા’ સહિત અલગ અલગ પ્રકાશનોમાં પ્રગટ થયેલા ૩૭ જેટલા લેખોનો સમાવેશ થયો છે. જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે પ્રકાશકે અડધા અને એકાદ પાનાનાં વધારાનાં લખાણો પણ આવરી લીધા છે.

 એક જગ્યાએ નગીનદાસ સંધવી લખે છે:

 ‘વેદસાહિત્યમાં વિમાન, ટેલીવિઝન, અણુશસ્ત્રોની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે અને પરદેસીઓ આ ગં્રંથોને ચોરી ગયા હોવાથી તેમણે આ સાધનો બનાવ્યાં છે એવો મૂર્ખ પ્રચાર કટ્ટર આર્યસમાજીઓ કરતા હોય છે. જગતનું તમામ જ્ઞાન કુરાનમાં હોવાથી અન્ય કોઈ ગ્રંથ કે અભ્યાસની જરુર જ નથી એવું ધર્માંધ મુલ્લાઓ જોરશોરથી કહે છે. ખ્રિસ્તી ધર્મના જડ મિશનરીઓ અને જૈન કે બૌદ્ધ પંથના બેવકૂફ ધર્માચાર્યો પણ આવું જ કહેતા હોય છે. આવા મત તદ્ન બિનપાયાદાર હોવાથી કોઈ તટસ્થ કે સમજદાર માણસ તેનો સ્વીકાર કરતો નથી.’

 આટલું કહીને લેખક ઉમેરે છે:

 ‘ભૌતિક વિજ્ઞાનની ચર્ચાવિચારણા ધર્મસ્થાનોમાં કરવી ન જોઈએ, કારણ કે ધર્મસ્થાનોનું વાતાવરણ શ્રદ્ધામય હોવાથી આવી છણાવટ માટે યોગ્ય નથી.’

 એક ધર્મ વિશે આકરું લખ્યું એટલે હવે તટસ્થ દેખાવા બીજા ધર્મ વિશે પણ ધરાર આકરું લખવું એ લેખકની તાસીરમાં નથી. એમની તટસ્થતામાં કન્વિક્શન પણ છે અને મૌલિકતા પણ છે. નગીનદાસ સંઘવી લખે છે કે, ‘તમામ ધર્મના અગ્રણીઓ અને તમામ ધર્મના પ્રવચનકારોમાં એક તત્ત્વ સમાન ભાવે છે. એમનો અભિગમ બુદ્ધિને જાગ્રત કરવા તરફ નથી, પણ બુદ્ધિને હાલરડાં ગાઈને ઊંઘાડી દેવા તરફ હોય છે. આ (ધર્મ) ભાવજગત છે એ અને એમાં બુદ્ધિનિષ્ઠાને સ્થાન હોઈ શકે નહીં અથવા બુદ્ધિનું સ્થાન આ ક્ષેત્રમાં ઊતરતું હોવું જોઈએ એવી રજૂઆત સાચી નથી, એટલું જ નહીં, એમાં ભયંકર જોખમ રહેલું છે.’


 થિયોસોફીકલ સોસાયટી વિશે લેખકે આ સૂરમાં અવારનવાર સોઇ ઝાટકીને લખ્યું છે:

 ‘આજે દેશમાં ધર્મને નામે જે બનાવટી વિજ્ઞાનવાદ (સ્યુડો સાયન્ટીફિસીઝમ) ચાલે છે એનું મૂળ થિયોસોફીમાં છે. આ સંસ્થાએ જેટલાં ધતિંગ ચલાવ્યાં એટલાં બીજાં કોઈ ધર્મે ચલાવ્યાં નથી.’

 સહિષ્ણુતા અને સમભાવ વચ્ચે લેખકે સરસ ભેદરખા દોરી છે. સહિષ્ણુતામાં સહન કરી લેવાનો, અણગમતી કે અગવડરુપ બાબત સાંખી લેવાનો ભાવ છે. સહિષ્ણુતા સ્વૈચ્છિક નથી, પણ સંજોગોને કારણે અનુભવાતી લાચારી છે, જ્યારે સમભાવ પસંદગીપૂર્વક થાય છે. સહિષ્ણતા નહીં, પણ બધા ધર્મો માટે સમ-ભાવ અને સમ-આદર રાખવો એવો અભિગમ ગાંધીજીએ અપનાવ્યો હતો. જોેકે લેખક કહે છે કે હિંસા અને બ્રહ્મચર્યની જેમ ગાંધીજીનો સર્વધર્મ સમભાવનો આદર્શ પણ અવ્યાવહારિક છે. 

 બધા ધર્મોમાં સબળાં અને નબળાં બન્ને પાસાં હોવાનાં. બધાં શુભ તત્ત્વોને જોડી દઈને એક સત્યધર્મ - દીને ઇલાઈ - સ્થાપવાનો અકબરી પ્રયાસ ચાલ્યો નથી. લેખક યોગ્ય જ કહે છે કે લોકોને સાચું નથી જોઈતું, રાબેતા મુજબનું, ટેવ પ્રમાણેનું જોઈએ છે. વિદ્વાનો, કથાકારો, લેખકો ધર્મના આધ્યાત્મિક સ્વરુપની વાતો કરે છે, લખે છે તે બધું લેવામાં આવે છે, પણ લોકો ધર્મના આધ્યાત્મિક કે તાત્ત્વિક સ્વરુપને આધારે ચાલતા નથી. હિંદુત્વ અંગેનો જે ઊહાપોહ ચાલી રહ્યો છે, એમાં ખાસ તો હિંદુ સમાજનાં મંદિરો, મિલકત, એની સત્તા અને એના કાયદાકાનૂન અગર એના રીતિરિવાજોની જ વાત હોય છે. હિંદુત્વની બાંગ પોકારનાર આગેવાન ધર્મનિષ્ઠ હોય પણ ખરો અને ન પણ હોય. એ જ પ્રમાણે, મુસ્લિમ કોમવાદના પ્રખર પુરસ્કર્તા લેખાતા મહમ્મદઅલી ઝીણા કે લિયાકતઅલી ખાન ઇસ્લામના જાણકાર ન હતા અને એમની રહેણીકરણીને મુસલમાની તત્ત્વજ્ઞાન જોડે કશી લેવાદેવા નહોતી.

 લેખક નોંધે છે કે કોમવાદ, પ્રદેશવાદ, ભાષાભક્તિ વગેરે સંકુચિત મનોવૃત્તિ આપણે ત્યાં જ છે અને આપણાં પછાતપણાની નિશાની છે એવી હીણપત અનુભવવાની જરુર નથી. તમામ દેશોમાં ઓછાવધતા પ્રમાણમાં આવા ઝઘડાઓ ચાલતા જ હોય છે. અમેરિકામાં સમાજ કાળા-ગોરાના વાંશિક ધોરણે વિભાજિત થયો છે. હિટલરે યહૂદીઓનું સત્યાનાશ કાઢી નાખ્યું એમાં ધર્મઝનૂન છે. કેનેડામાં ફ્રેન્ચ અને અંગ્રેજી ભાષીઓ વચ્ચેનો વિખવાદ દેશના ભાગલા પાડવાની હદે આવી પહોંચ્યો છે. ધાર્મિક ઝઘડાને કારણે યુરોપમાં કત્લેઆમ ચાલેલી અને સામાજિક-આર્થિક દષ્ટિએ આખું યુરોપ પાયમાલ થઈ ગયેલું. એ ભયાનક કક્ષાએ તો હજુ આપણે પહોંચ્યા નથી.

 ગોળ-ગોળ બોલાયેલી વાત કે મોળાં-સુષ્ઠુ સુષ્ઠુ લખાણને બદલે સોંસરવો લક્ષ્યવેધ કરતા વિચારો તેમજ વેધક ભાષા આપણને હંમેશાં વધારે અપીલ કરે છે. ‘ધર્મ’ પુસ્તકનો આ સૌથી મોટો પ્લસ પોઇન્ટ છે. વિચારવાની નવી દિશા ખોલી આપતું આ એક પુસ્તક જ નહીં, પણ આખી તડ અને ફડ શ્રેણી ગમે એવી છે. 

  ૦ ૦ ૦
ઘર્મ (તડ અને ફડ શ્રેણી) 
                           
લેખક: નગીનદાસ સંઘવી
પ્રકાશક: કે બુક્સ, રાજકોટ-૧
ફોન: ૯૮૨૪૨ ૧૯૦૭૪
 મુખ્ય વિક્રેતા: ગુજરાત પુસ્તકાલય સહાયક
 સહકારી મંડળ લિ., અમદાવાદ-૧
 ફોન: (૦૭૯)૨૫૫૦ ૬૯૭૩
 કિંમત:  Rs ૯૫ /-
  પૃષ્ઠ: ૧૩૦

No comments:

Post a Comment