Wednesday, January 13, 2016

ટેક ઓફ : વેદના... આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને

Sandesh - Ardh Saptahik Purti - 6 January 2016
ટેક ઓફ

વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. 


વા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આપણી ભાષાના શ્રેષ્ઠોત્તમ કવિ સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા કરતાં બહેતર બીજું શું હોઈ શકે. સામાન્યપણે સિતાંશુ યશશ્ચંદ્ર 'અઘરા' કવિ ગણાય છે પણ આજે જે કૃતિ વિશે વાત કરવી છે તે જરાય કઠિન નથી. એમના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'વખાર'માં સ્થાન પામેલી આ કવિતા એક રીતે પ્રાર્થનાની ગરજ સારે એવી છે. કવિતા ઈશ્વરને નહીં પણ વેદનાને ઉદ્દેશી લખાયેલી છે. એ વેદના જે આપણા માંહ્યલામાં ટીપે ટીપે જમા થઈ છે અથવા એક જ કારમાં સંઘાત સાથે પેદા થઈ ગઈ છે.
કવિ કહે છે :
વેદના, તું અંધ ના કર. વેદના, તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે, લે હવે,
આવ તું, પેટાવ તું, ઝળહળ બનાવી દે મને.
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયમ્.
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભીતીચિત્ર દે.
દુઃખ માણસને દિશાહીન બનાવવાની ચેષ્ટા કરે છે. દુઃખના ભારથી બેવડા વળી ગયેલા માણસને શું કરવું ને શું ન કરવું તે સમજાશે નહીં. કયાં જવું, કોની મદદ લેવી તે સૂઝશે નહીં. આવી સ્થિતિમાં કાં તો મૂઢ થઈ જવાય, નિષ્ક્રિય બની જવાય અથવા શકય છે કે ખોટું પગલું ભરાઈ જાય. કવિ કહે છે કે વેદના, તું ભલે આવ, તારુંં સ્વાગત છે, પણ મહેરબાની કરીને મારી આંખો પર બાંધવાની પટ્ટી સાથે ન લાવતી. તું મારી આંખો બંધ કરવાનું નહીં, ખોલવાનું કામ કરજે.
વેદનાનાં આગમન પાછળ કશુંક પ્રયોજન જરૂર હોવાનું. એ જરૂર વિશેષ સંકેતો લઈને આવ્યું હશે. આ પ્રયોજન અને સંકેતો તો જ દેખાશે જો દુઃખ પોતાની સાથે પ્રકાશ પણ લેતું આવે. નવાં સત્યોનો પ્રકાશ. કવિ તો વેદનાને ત્યાં સુધી કહે છે કે તારી જ્યોતથી મને આખોને આખો દીવાની જેમ ઝળહળ પેટાવ. અત્યાર સુધી સુખના ઉજાસમાં ઘણું જોયું, હવે તારા પ્રકાશમાં મારે નવાં સત્યો જોવાં છે.
રવીન્દ્રનાથ ટાગોરે એક જગ્યાએ લખ્યું છે, 'ઈશ્વર જો તને વેદના આપે તો પોતાના દોષથી તે વેદનાને વ્યર્થ બનાવીશ નહીં - તેને સફળ કરવા માટે હ્ય્દય-મનને પૂરેપૂરાં તૈયાર કરીને જાગ્રત થજે. મનમાં કહેજે : હું દુર્બળ નથી, કહેજે કે હું હાર નહીં સ્વીકારુંં. કહેજે કે મારાં ક્ષણિક જીવનની પાછળ અનંત જીવનની પૂંજી રહેલી છે. આ જીવનની બધીય જાળજંજાળ એકેએક છેદાઈ જવાની છે, પરંતુ પેલી પૂંજી કદી ખૂટી જવાની નથી. તે સૂર્યના પ્રકાશની પેઠે અક્ષય છે. ઈશ્વરે તારી અંદર જે મહિમાનું સ્થાન કરેલું છે, તેને સંપૂણપણે જો. પોતાની જાતને દીન-દુર્બળ કહીને, ક્ષૂદ્ર કહીને અપમાન કરીશ નહીં, કારણ, એ વાત સાચી છે જ નહીં. તારા અંતરાત્મામાં વિજયલક્ષ્મી બિરાજેલાં છે.'


કુન્દનિકા કાપડિયાએ એક નવલકથા લખી છે - 'પરોઢ થતાં પહેલાં'. બહુ જ સુંદર પણ ખાસ્સી અંડર-રેટેડ કૃતિ છે આ. તેમાં એક જગ્યાએ કુન્દનિકાજીએ લખ્યું છે :
'દુઃખનું પ્રયોજન શું છે ? દુઃખ કદાચ માણસને તેના સાચા સ્વરૂપની પિછાણ આપવા આવે છે પણ દુઃખથી ભય પામીને માણસ ઝટ તેનાથી છૂટવાનો પ્રયત્ન કરે છે અને તેથી દુઃખનું આવવું સાર્થક થતું નથી, તેથી જ તે ફરી ફરીને આવ્યા કરે છે. દુઃખમાંથી નાસી છૂટવાને બદલે એના ઘોર એકાંતની વચ્ચે બેસીને માણસ પોતાની ગાઢ અતલ એકલતામાં પોતાના સ્વરૂપનો સાચો પરિચય મેળવી લે તો પછી દુઃખની કામગીરી પૂરી થાય, તો તે ફરી ફરી દ્વારે આવીને ઊભું ન રહે... કદાચ.'
આ જ નવલકથામાં બીજી એક જગ્યાએ કહેવાયું છે :
'જીવન કોઈ બિંદુએ, કોઈ આઘાતે અટકી પડવું ન જોઈએ. તેનું ઝરણ નિરંતર વહેતું રહેવું જોઈએ. ગમે તેવું દઃુખ હોય, તેની ગાંઠમાં હ્ય્દયને કુંઠિત બનવા દીધા સિવાય જીવન જીવી શકાય છે તો દુઃખ પણ જીવનનું એક સૌંદર્ય બની રહે.'
આઘાત પામીને કુંઠિત થઈ જવું એટલે દુઃખના કારાવાસમાં કેદ થઈ જવું. આ સ્થિતિ ટાળવાની હોય. દઃુખમાં ઊભા રહી જવાને બદલે આગળ વધી જવાનું હોય, તેથી જ સિતાંશુ યશશ્ચંદ્ર વેદનાને
કહે છે :
તું ન કારાવાસ થા, થા એક અણધાર્યો પ્રવાસ,
કયાં જવું, કયાં થઈ જવું, કે કઈ રીતે - નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે,
કોઈ સાવ અજાણ જણ પર એક ભલામણપત્ર દે.
કોણ હોઈ શકે આ અજાણ જણ ? ઈશ્વર કદાચ ? આપણી ઓથેન્ટિક સેલ્ફ ? વેદના વરસવાનું એક બહુ મોટું કારણ શું એ નથી હોતું કે આપણા ખુદનાં સાચુકલા સ્વરૂપથી, આપણી ઓથેન્ટિક સેલ્ફથી આપણે દૂર થઈ ગયા હોઈએ છીએ ? જીવનની એક મહત્ત્વની ગતિ,મહત્ત્વનું કર્તવ્ય જ આ છે - ખુદની ઓથેન્ટિક સેલ્ફ સાથે એકરૂપ થઈને રહેવાનું. ધારો કે પૂરેપૂરા એકરૂપ ન થઈ શકાય તો તેનાથી બને તેટલા નિકટ રહેવાની કોશિશ કરવી જોઈએ. વેદનાની ભીષણ ક્ષણો વચ્ચે એક જ શબ્દ દીવાદાંડી જેવો બની રહે છે - ખુદવફાઈ. પોતાની જાત પ્રત્યે વફાદાર રહેવું તે આપણી સૌથી પહેલી ફરજ છે, જો ખુદવફાઈ એની જગ્યા પર સ્થિર હશે તો જીવનનાં બાકીનાં બધાં સમીકરણો વહેલાં-મોડાં સચવાઈ જશે.
સિતાંશુ યશશ્ચંદ્ર અંતે લખે છે :
તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવા સીમાડે,
તે પછી કોઈ સીમાડો કયાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારુંં સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે.
કવિ જે સીમાડાની વાત કરે છે તે શું આ જ છે - ખુદવફાઈનો ઈલાકો ? કદાચ. એકવાર ખુદવફાઈનાં વર્તુળમાં પહોંચી ગયા પછી બીજા કોઈ સીમાડા આડા આવતા નથી. વેદના જાણે કોઈ સામર્થ્યવાન દેવીનું સ્વરૂપ હોય તે રીતે કવિ તેની પાસેથી જ્ઞાાની માણસનું ધૂનીપણું માગે છે, ભરપૂર પ્રસન્નતા સાથે આગ-ખેલ કરી શકાય એવી ક્ષમતા પણ માગી લે છે.
તો આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે વેદનાથી ભાગીશું નહીં. બે હાથ પહોળા કરીને એને આવકારીશું. આનું આવવાનું પ્રયોજન શું છે તે જાણવાની કોશિશ કરીશું. વેદના જે સંદેશો લાવી છે તે કાન માંડીને સાંભળીશું, તેનો મર્મ સમજીશું અને પછી તે અનુસાર આપણાં વર્તન-વ્યવહારમાં - આંતરિક અને બાહ્ય એમ બંને સ્તરે - જ્યાં જરૂર લાગે ત્યાં પરિવર્તન લાવીશું.
0 0 0  

1 comment: