Monday, August 31, 2015

ટેક ઓફ : મારે ઘેર આવજે, બેની!

Sandesh - Ardh Saptahik Purti - 26 Aug 2015

ટેક ઓફ 

પોતાને પહાડનું બાળક ગણતા ઝવેરચંદ મેઘાણી પૂરાં ૫૧ વર્ષ પણ ન જીવ્યા. માત્ર સાડાપચાસ વર્ષનાં આયુષ્યમાં મેઘાણીએ ગુજરાતી સાહિત્યજગતને તર-બ-તર કરી દીધુંહંમેશ માટે. એમણે પુરવાર કર્યું કે ટૂંકી જિંદગીમાં પણ પ્રચુર માત્રામાં અમર સર્જન કરવું શક્ય છે! મેઘાણીનો બર્થડે આપણે તો આખો દિવસ એમનું સાહિત્ય વાંચીનેએમણે સર્જેલી દુનિયામાં રમમાણ રહીને સેલિબ્રેટ કરવાના છીએ. તમે?



સૌથી પહેલાં એક કવિતાની થોડી પંક્તિઓ જુઓઃ

મારે ઘેર આવજે, બેની!
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટયાં ને
સળગે કાળ દુકાળ.
ફૂલ વિના મારી બેનડી! તારા
શોભતા નો'તા વાળ.

એક ભાઈ પોતાની વહાલી બહેનને ઉદ્દેશીને કહી રહ્યો છે કે બેની, ભલે દેશમાં કારમો દુકાળ પડયો હોય, નીર ખૂટી પડયાં હોય,ઝાડ સુકાઈને ઠૂંઠાં થઈ ગયાં હોય, પુષ્પો કરમાઈ ગયાં હોય, પણ તેથી તું વાળમાં વેણી નાખવાનું બંધ કરી દે તે ન ચાલે. વેણી તો તને અતિ પ્રિય છે, એના વગર તને એક દિવસ ચાલતું નહોતું. વેણી વગરનું તારું સૂનું માથું મારાથી જોવાતું નથી. તું મારે ઘેર આવી જા. તારી વેણી માટે ફૂલનો પ્રબંધ કોઈ પણ રીતે કરી આપવાનું કામ તારા વીરાનું.
ભાઈ-ભાભી બેય ભેળાં બેસીને -
ગૂંથશું તારે ચૂલ.
થોડી ઘડી પે'રી રાખજે વીરનાં
વીણેલ વેણી! ફૂલ-
મારે ઘેર આવજે બેની
લાંબી તારી ગૂંથવા વેણી...

ભાઈ આગળ કહે છે, તારી માટે ફૂલડાં વીણવા માટે હું પહાડની ઊંચી ટોચે ચડી જઈશ, તળેટી ફરી વળીશ, ખેતરો ખૂંદી વળીશ ને પછી એ ફૂલડાંમાંથી વેણી બનાવવાનું કામ હું અને તારી ભાભી બન્ને ભેગાં મળીને કરીશું. પછી તું ભારે શોખથી તારા ચોટલામાં વેણી ગૂંથજે. ચૂલ એટલે ચોટલાનો છેડો.
અહીં ભાઈ અને ભાભી સાથે વેણી ગૂંથે છે તે મહત્ત્વનું છે. નણંદ પિયરમાં આવે ત્યારે ઘણી વાર ભાભીઓનું મોઢું ચડી જતું હોય છે. એમાંય પોતાનો વર નણંદનો શોખ પૂરો કરવા આકરી જહેમત ઉઠાવે એ તો એનાથી સહેજે સહન ન થાય. ભાભી માન જાળવતી હોય તો જ દીકરીને પિયરમાં રહેવું ગમતું હોય છે, તેથી અહીં ભાઈ કહે છે કે બેનડી, ભાભીની તું જરાય ચિંતા ન કરીશ. તું આવીશ તો હું એકલો નહીં, તારી ભાભી પણ રાજી થશે. એને ખુશ રાખવાની જવાબદારી મારી. અરે, એ તો તારા માટે વેણી બનાવવાના કામમાં મને મદદ પણ કરવાની છે. બસ, તું ફક્ત આવ. વેણી પહેરતી વખતે તારા ચહેરા પર જે પ્રસન્નતા ફેલાશે તે જોવા હું અધીરો થયો છું.
કેટલી મજાની વાત! અહીં વેણી કેવળ એક પ્રતીક છે. બહેનનું દુઃખ દૂર કરવા માટે, બહેનની ખુશાલી અને સુખ માટે ભાઈ કોઈ પણ હદે જઈ શકે છે તેની લાગણીસભર વાત અહીં સુંદર રીતે રજૂ થઈ છે.
આ કૃતિ છે ઝવેરચંદ મેઘાણીની. આજથી બરાબર બે દિવસ પછી એટલે કે ૨૮ ઓગસ્ટના રોજ ઝવેરચંદ મેઘાણીનો ૧૧૯મો જન્મદિવસ છે. પછીના દિવસે એટલે કે ૨૯ ઓગસ્ટે રક્ષાબંધન છે. આ અવસરે મેઘાણી અને એમની કસદાર કલમમાંથી ભાઈ-બહેનના પ્રેમ વિશે જન્મેલી બે ઉત્તમ કૃતિઓની વાત કરવી છે. મેઘાણી પૂરાં ૫૧ વર્ષ પણ ન જીવ્યા. દેશ આઝાદ થાય એના સાડાપાંચ મહિના પહેલાં તેમનું નિધન થઈ ગયું. માત્ર સાડાપચાસ વર્ષનાં આયુષ્યમાં મેઘાણીએ ગુજરાતી સાહિત્યજગતને તર-બ-તર કરી દીધું, હંમેશ માટે. ટૂંકી જિંદગીમાં પણ પ્રચુર માત્રામાં અમર સર્જન કરવું શક્ય છે, જો તમે ઝવેરચંદ મેઘાણી હો તો!
"હું પહાડનું બાળક છું," મેઘાણીએ એક જગ્યાએ લખ્યું છે, "મારા વડવાઓનું વતન ભાયાણીનું બગસરા અને મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડમાતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોરવાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. મારા મોટેરા ભાઈઓએ મને એ બચોળિયાની દશામાં છાતીએ તેડી તેડી ડુંગર ફરતા આંટા લેવરાવ્યા છે."
પોલીસ-લાઇનમાં જન્મ થયો હોવાથી મેઘાણીનું એક હુલામણું નામ 'લાઇન બોય' પડી ગયું હતું. સરકાર દ્વારા ચોટીલાસ્થિત ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળ સ્મારકની બાજુમાં આવેલા નવીન પોલીસ સ્ટેશનને 'રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ભવન' નામ આપવાનો જે નિર્ણય લેવાયો છે તે અભૂતપૂર્વ છે. ભારતભરમાં પોલીસ સ્ટેશનો સામાન્ય રીતે એરિયાના આધારે ઓળખાય છે. કોઈ પોલીસ સ્ટેશનને એક મહાનુભાવનું અને એમાંય સાહિત્યકારનું નામ આપવામાં આવ્યું હોય એવી સંભવતઃ આ પહેલી ઘટના છે.


હવે ભાઈ-બહેનના પ્રેમને દર્શાવતી બીજી કૃતિની વાત કરીએ, જે ઝવેરચંદ મેઘાણી રચિત 'સૌરાષ્ટ્રની રસધાર'ના ત્રીજા ભાગમાં છે. ઓક્ટોબર ૧૯૨૩માં એટલે કે લગભગ ૯૨ વર્ષ પહેલાં 'સૌરાષ્ટ્રની રસધાર'નો પહેલો ભાગ પ્રગટ થયો હતો. સીમાચિહ્ન બનવા માટે, ચિરંજીવી થવા માટે, સતત રિલેવન્ટ રહેવા માટે કૃતિમાં કેટલું કૌવત હોવું જોઈએ? 'ભાઈ' નામની આ કથા સંક્ષિપ્તમાં જોઈએ.
વાત છે ખાંભા ગામમાં રહેતી એક વિધવા આયરાણીની. દુકાળ પડયો છે. ભૂખથી પીડાતાં એનાં સંતાનો રીડિયારમણ કરી રહ્યાં છે. એક ભાઈને બાદ કરતાં દુખિયારી બાઈને બીજી કોઈ ઓથ નથી. પાડોશીને બે હાથ જોડીને એ વિનવણી કરે છે, "બાપુ, બે દિવસ મારાં ગભરુડાંને ટીપું ટીપું રાબ પાજો. ત્યાં હું મારા ભાઈને ઘરે આંટો જઈને આવતી રહું છું."
બહેન મિતિયાળા ગામ પહોંચી. ઘરના બારણામાં જ ભાઈને ઊભેલો ભાળ્યો, પણ ભાઈને તો કળજુગે ઘેરી લીધો હતો. "આ લેણિયાત ક્યાં આવી?" એટલું બોલીને સગો ભાઈ પાછલી છીંડીએથી પલાયન થઈ ગયો. બહેન દુઃખી થઈ ગઈ. તોય પિયરની ઓસરીએ પહોંચી. ભાભીએ મોંમાંથી 'આવો' પણ ન કહ્યું. બાઈએ પૂછયું, "ભાભી! મારો ભાઈ ક્યાં ગયો?"
"તમારા ભાઈ તો કાલ્યુના ગામતરે ગયા છે."

ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું. નિસાસો મૂકીને એ પાછી વળી ગઈ. ભાભી કહે, "રોટલા ખાવા હોય તો રોકાઓ."
"ભાભી! હસીને જો ઝેર દીધું હોત તોય પી જાત" એટલું કહીને બોર બોર જેવાં આંસુડાં પાડતી બહેન ચાલી નીકળી. ગામના ઝાંપા બહાર હરિજનવાસ હતો (મેઘાણીએ અહીં 'હરિજનવાસ'ને બદલે આપણે હવે જે વાપરતા નથી તે શબ્દ પ્રયોજ્યો છે). ઓસરીમાં બેઠા બેઠા હોકો પી રહેલા જોગડા હરિજનની નજર બાઈ પર પડી. જોગડો એને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતાં જ હરખમાં આવી જઈને એ બહાર આવ્યો. પૂછયું:
"કાં, બાપ, આમ રોતી કાં જા?"

"જોગડાભાઈ! મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ મારો માનો જણ્યો સગો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે. ઈ વાતનું મને રોવું આવે છે."
"અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ના! હાલ્ય મારી સાથે."
જોગડો ધરમની માનેલી બહેનને પોતાને ઘેર લઈ ગયો. જુવારથી આખું ગાડું ભરી દીધું, રોકડી ખરચી આપી અને પોતાના દીકરાને કહ્યું, "બેટા, ફુઈને લઈને ખાંભે મૂકી આવ્ય, અને આ દાણા ફુઈને ઘેર ઉતારી મેલજે."
આખા રસ્તે આયરાણી સંસારના સાચજૂઠ પર વિચાર કરતી રહી. સગો ભાઈ મને જોઈને દૂરથી નાઠો, પણ આ પારકા હરિજને મને બહેન ગણી, મારી પીડા સમજીને વહારે ધાયો!
બીજા દિવસે જોગડાનો છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. જોગડાએ પૂછયું, "બેટા! ગાડું-બળદ ક્યાં?"
""ફૂઈને દીધાં."

"કાં?"

"બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફુઈને ફુયારું ન આપી આવું?"

આ સાંભળીને જોગડાની પત્ની રાજી થઈ ગઈ. કહે, "રંગ છે, બેટા! હવે ભગતનો દીકરો સાચો."
દિવસો વીત્યા. એક વાર મિતિયાળા ગામ પર દુશ્મનની ફોજ ચડી આવી. જોગડો પાછળ રહે? એ સામે છાતીએ ધસી ગયો. ધીંગાણું કરીને સહુથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જનમભોમને ઝાંપે છાંટયું.
વાત ખાંભા સુધી પહોંચી. આયરાણી ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. કોઈએ ખબર આપ્યાઃ "તારો ધરમનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો."
સાંભળીને બાઈએ નિસરણીની ટોચથી પોતાના શરીરનો ઘા કર્યો. ધબ કરતી નીચે પડી. માથું ઢાંકીને માનવીની અને પશુની છાતી ભેદાઈ જાય તેવા મરશિયા ગાવા લાગીઃ
વણકર અને વણાર, નાતે પણ નેડો નહીં,
(પણ) ગણને રોઉં ગજમાર, તારી જાત ન પૂછું, જોગડા!
અર્થાત્ હે ભાઈ જોગડા! તું લૂગડાં વણવાનું કામ કરનારો હરિજન હતો અને હું તો વણાર શાખની આયરાણી છું. નાતજાતના હિસાબે તો આપણી વચ્ચે કાંઈયે સંબંધ નથી, પણ હું તારી હલકી જાત સામે શું જોઉં? હું તો તારી ખાનદાનીને રડું છું. હે હાથીઓના હણનારા જોદ્ધા!
આગળ ગાય છેઃ

રાંપીનો રાખણહાર, કલબાં લે વેત્રણ કિયા
વીજળી તણો વિચાર, તેં કિં જાણ્યો, જોગડા!
એટલે કે હે વીરા જોગડા! તું તો રાંપી લઈને મરેલાં ઢોરનાં ચામડાં ચીરવામાં કુશળ કહેવાય, એને બદલે તેં તરવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની યુક્તિ આપોઆપ ક્યાંથી સૂઝી ગઈ?
આયરાણીએ ભાઈને સંભારી સંભારીને આંખોનાં આંસુ અને હૈયાના મરશિયા ઠાલવ્યે જ રાખ્યા. એનાં પોપચાં ફૂલી આવ્યાં. સગો ભાઈ તો અજનબી થઈને જીવતો હતો. હવે જોગડાના જવાથી બાઈ સાચેસાચ નોંધારી થઈ ગઈ.

આંખો છલકાવી દે એવી તાકાતવાન આ કથા છે. ઝવેરચંદ મેઘાણીનો બર્થડે આપણે તો આખો દિવસ એમનું સાહિત્ય વાંચીને,એમણે સર્જેલી દુનિયામાં રમમાણ રહીને સેલિબ્રેટ કરવાના છીએ. તમે?

                                            0 0 0 

Sunday, August 30, 2015

મલ્ટિપ્લેક્સ : ટ્વિન્ક્લનાં પુસ્તકમાં શું છે?

Sandesh - Sanskar purti - 30 Aug 2015

મલ્ટિપ્લેક્સ 

કોણે કલ્પ્યું હતું કે હિરોઈન તરીકે સુપર ફલોપ ગયેલી ટ્વિન્કલ ખન્ના વર્ષો પછી એકાએક લેખિકા તરીકે ઊભરશે? તાજેતરમાં અેનું હેલું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' પ્રકાશિત થયું. ટ્વિંન્કલની હિટ વીક્લી કોલમના ચુનંદા લેખોનું આ સંકલન છે. એનાં લખાણમાં ભારોભાર રમૂજ, તીખાં નિરીક્ષણો, હકીકત અને કલ્પનાનું ઇન્ટરેસ્ટિંગ કોકેટલ અને પોતાની જાતને સાવ હળવાશથી લેવાનો એટિટયૂડ છે,  પુસ્તકની એક ઝલક પ્રસ્તુત છે... 




કોણે કલ્પ્યું હતું કે ત્રણેય ખાન સાથે કામ કર્યું હોવા છતાં ફિલ્મલાઇનમાં જરાય ન ચાલેલી ટ્વિન્કલ ખન્ના વર્ષો પછી એકાએક લેખિકા તરીકે ઊભરશે? સૌને થતું કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા જેવાં ધરખમ મા-બાપની દીકરી સાવ આવી પ્રતિભાવિહોણી? કેન્ડલના અને ઇન્ટીરિયર ડિઝાઇનિંગના છોટા-મોટા બિઝનેસમાં શું વળે? પણ એકાએક એક રાષ્ટ્રીય અંગ્રેજી અખબારમાં એની કોલમ શરૂ થાય છે. ભારોભાર રમૂજ, તીખાં નિરીક્ષણો, હકીકત અને કલ્પનાનું ઇન્ટરેસ્ટિંગ કોકેટલ અને પોતાની જાતને સાવ હળવાશથી લેવાનો એટિટયૂડ ધરાવતી આ કોલમ ઇન્સ્ટન્ટ હિટ થઈ ગઈ. વાંકદેખાઓ કહેતા રહ્યા કે ટ્વિન્કલને આવું લખતા આવડે જ નહીં, નક્કી કોઈક એને લખી આપતું હશે! ખેર, તાજેતરમાં અક્ષયકુમારનાં આ શ્રીમતીજીનું પહેલું પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' પ્રકાશિત થયું. ડાયરી ફોર્મેટમાં લખાતી એની કોલમના ચુનંદા લેખોનું આ સંકલન છે.
ટ્વિન્કલના લખાણમાં આકર્ષક પ્રવાહિતા છે, સોફિસ્ટિકેશન છે. પુસ્તક વાંચતાં વાંચતાં આપણે એકધારા મરક મરક થઈએ છીએ તો ક્યાંક ખડખડાટ હસી પડીએ છીએ. પેશ છે એના પુસ્તકના કેટલાક અંશો. એન્જોય...
મારી મોમ (ડિમ્પલ કાપડિયા) પેલી ટીવીની જાહેરાતોમાં દેખાડે છે એવી ઘાયલ સંતાનને બેન્ડ-એઇડ લગાડી આપતી, કિચનમાં રાંધતી, છોકરાઓને હોમવર્ક કરવામાં મદદ કરતી ટિપિકલ મમ્મી ક્યારેય નહોતી. મારી મા ફની છે, અંતરંગી છે, વિચિત્ર છે. હંુ છોભીલી પડી જાઉં તે માટેના નિતનવા નુસખા હું જન્મી ત્યારથી સતત શોધતી આવી છે. સૌથી પહેલાં તો એણે મારું નામ ટ્વિન્કલ પાડીને આખી જિંદગી મારી નોનસ્ટોપ મજાક થતી રહે તે સુનિશ્ચિત કરી નાખ્યું. દુનિયાભરના એરપોર્ટો પર ઇમિગ્રેશન ઓફિસરો આજની તારીખેય પાસપોર્ટમાં ટ્વિન્કલ નામ વાંચીને મારી સામે વિચિત્ર નજરે જુએ છે અને દાંત કાઢે છે.
હું ટીનેજ અવસ્થામાં જાડી ઢમઢોલ હતી એટલે મારું વજન ઘટાડવા મારી મા ક્યાંકથી કલર થેરાપી ડાયટ શોધી લાવી હતી. આ અજબગજબની વેઇટ-લોસ થેરાપીમાં એવું હતું કે ફક્ત લાલ અને ઓરેન્જ રંગનાં જ ફળ ખાવાનાં, લાલ રંગની બોટલમાં રાખેલું સોલરાઇઝ્ડ પાણી જ પીવાનું અને ઇન્ફ્રારેડ લાઇટ સામે રોજ પા કલાક બેસવાનું. બે વીક પછી શું પરિણામ આવ્યું? મારું વજન દોઢ કિલો વધી ગયું હતું ને ઇન્ફ્રારેડ લાઇટને લીધે મારા પેટ પર લાલ ચકામાં પડી ગયાં હતાં.
હું ફિલ્મોમાં કામ કરતી હતી એ વર્ષોમાં એક વાર મા મારી સાથે શૂટિંગમાં લંડન આવી હતી. ત્યાંથી એ આગળ ન્યૂ યોર્ક જવાની હતી અને હું મુંબઈ પરત થવાની હતી. મા રોજ એટલી બધી ખરીદી કરતી કે મારા ટચૂકડા હોટલ રૂમમાં શોપિંગ બેગના ખડકલા થઈ ગયા હતા. છેલ્લો દિવસ આવ્યો. એની ફ્લાઇટ મારા કરતાં ચાર કલાક વહેલી ઉપડવાની હતી. મેં એને પૂછયું કે મા,તું આટલો બધો સામાન તારી સૂટકેસમાં ફિટ કેવી રીતે કરીશ? એ મંદ મંદ મુસ્કુરાઈને કહેઃ "ડોન્ટ વરી. તું ટેન્શન લીધા વિના તારું શૂટિંગ પતાવ. હું મારી એકલીનો નહીં, તારો સામાન પણ સરસ રીતે પેક કરી નાખીશ, બસ?"
રાત્રે કામ પતાવીને રૂમ પર પહોંચીને હું શું જોઉં છું. મારી બેય સુટકેસ ગાયબ હતી. એને બદલે એલ્યુમિનિયમના ઘોબાં પડી ગયેલા બે તોતિંગ ટ્રંક પડયા હતા. બન્ને ઉપર મોટા લાલ અક્ષરોમાં અને સાવ ખોટા સ્પેલિંગમાં મારું નામ લખ્યું હતું: ટવીકલ ખાના! મને હવે ખબર પડી કે મારી વહાલી મા શું કરામત કરી ગઈ હતી. પોતાનો ઢગલો સામાન પેક કરવા એ મારી બન્ને બેગ તફડાવી ગઈ હતી અને મારો સામાન ફિલ્મ યુનિટના કોસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટના હડમદસ્તા જેવા ટ્રંકમાં પેક કરી નાખ્યો હતો!

હવે હજુ હમણાં બનેલી એક ઘટના વિશે વાત કરું. મા એક સવારે મને ફોન કરીને કહે છે, 'તું સાંજે ઘરે આવી જા. મારી એક ઓળખીતી લેડી દિલ્હીથી આવવાની છે. બહુ મજાની બાઈ છે બિચારી. એની પાસે પૈસા ઈન્વેસ્ટ કરવાની હાઈકલાસ સ્કીમ છે. તું ય ફાયદો ઉઠાવ આ સુપર્બ સ્કીમનો.'
સાંજે પેલી મહિલા ઘરે આવી. એકદમ સ્માર્ટ અને ચાર્મિંગ હતી એ. પટ પટ કરતી અમને સમજાવવા માંડી. એણે અમને લગભગ કન્વિન્સ કરી નાખ્યા કે અમારી પાસે જે કંઈ સેવિંગ પડયું છે એમાંનો મોટો ભાગ એની સ્કીમમાં ઈન્વેસ્ટ કરવો. આફટરઓલ, સવાસો ટકા વળતર મળવાનું હતું. મેં મનોમન ગણતરી કરી. તે સાથે જ મને ખતરાની ઘંટડી સંભળાવા લાગી. આપણી બેન્કો માંડ નવ ટકા વ્યાજ આપી શકતી હોય ત્યારે આ સ્કીમવાળા સવાસો ટકા વળતર કેવી રીતે આપી શકે? મેં એને સવાલો પૂછ્યા. એ ગલ્લાતલ્લા કરવા માંડી. મિટીંગ પડી ભાંગી. એ પોતાનાં કાગળિયાં સંકેલીને રવાના થઈ ગઈ. 
એ ગઈ પછી મા મારા પર બરાબરની રોષે ભરાઈ. પૈસા બનાવવાની આવી અદભુત તક હું કેવી રીતે જવા દઈ શકું? મેં કહૃાું કે મા, આવા બધામાં ન પડાય, આ મની-મેકિંગ રેકેટ છે, પૈસા ખંખેરવાના ધંધા છે, બીજું કંઈ નહીં. એ લોકો કોઈ હિસાબે આટલું વળતર આપી શકે જ નહીં. મારું કેલ્કયુલેશન ખોટું હોય જ નહીં. મા કહે, 'બસ હવે. મેથ્સ ટીચરની જેમ વર્તવાનું બંધ કર.'હું સામું તાડૂકીઃ મને ચેલેન્જ ન કર. કેમ, ભૂલી ગઈ, મને એસએસસીની બોર્ડ એકઝામમાં મેથ્સમાં સોમાંથી ૯૭ માર્ક્સ આવ્યા હતા? માને આ યાદ હતું, કેમ કે એ અને મારી માસી તે વખતે મારી ટીખળ કરતાં કે અમારી હૃાુમન કેલ્કયુલેટરના માર્કસ પણ ૯૭ ને વજન પણ ૯૭ (કિલો).
હું સાચી પડી. પેલા પોન્ઝી સ્કીમવાળાઓની પછી સીબીઆઈએ ધરપકડ કરી. એમાં બે ભૂતપૂર્વ એમએલએ પણ સંડોવાયેલા હતા. માએ મને પછી ફોન કરીને કહૃાું, 'હું મારી પેલી દિલ્હીવાળી ફ્રેન્ડનો નંબર કયારની ટ્રાય કરું છું, પણ એનો ફોન લાગતો જ નથી. મારો તો હજુ જીવ બળે છે. તું કેટલી ઉદ્ધતાઈથી એની સાથે વાત કરતી હતી. બિચારીએ સરખો ચા-નાસ્તો પણ ન કર્યો. પણ તારી વાત સાચી છે. પૈસા રોકીને પસ્તાવા કરતાં સાવધાની વરતવી શું ખોટી. અચ્છા સાંભળ, મને કોઈ નાઈજીરીઅન માણસનો ઈમેઈલ આવ્યો છે. ભલો માણસ લાગે છે. એ કંઈક આપણા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માગે છે...'
એ આગળ કંઈ બોલે તે પહેલાં હું જોરદાર ભડકીઃ મોમ, પ્લીઝ, સ્ટોપ ઈટ! 
મા હસી પડી. કહે, 'અરે, મજાક કરું છું. ગુસ્સે કેમ થાય છે?' 
મેં કહૃાું: આ મજાકની વસ્તુ નથી. તું છેને કયારેક સાવ સ્ટુપિડ જેવી ભુલો કરે છે.
માએ વળતો ફટકો માર્યો, 'સાવ સાચું કહૃાું તેં. જોને, મેં તને પેદા કરી. આનાથી વધારે સ્ટુપિડ બીજું શું હોવાનું.'
                                              0 0 0

તે દિવસે મમ્મી ઘરે આવી હતી. અમે બેઠાં બેઠાં ચા પી રહૃાાં હતાં ત્યાં એકાએક મારો પનોતો પુત્ર રુમમાં ધસી આવ્યો અને મોટેથી બરાડયોઃ મારે ઈંગ્લિશ અસાઈન્મેન્ટ માટે એક બુક ખરીદવાની છે, હમણાં જ! મારા ઘરની બાજુમાં જ એક મોલમાં જાણીતો બુકસ્ટોર છે. મેં ઘાંઘી થઈને તરત એક હાથમાં પર્સ લીધું, બીજા હાથે મારી નાની બેબલીને ઊંચકી અને મમ્મીને કહૃાું કે મમ્મી,પ્લીઝ તું અમને મોલ પર ડ્રોપ કરી દે. જતાં જતાં વોચમેનને સૂચના આપી કે ડ્રાઈવરને કહેજે કે વીસ મિનિટમાં મોલ પહોંચીને અમને પિક-અપ કરી લે. 
સ્ટોરમાંથી પનોતા પુત્રે એની ચોપડી ખરીદી. મેં કહૃાું, 'મારે માર્કર પેન લેવી છે, ચાલ પેલી બાજુ જઈએ.' તરત મારી નાની બેબલી ઉછળી, 'કયાં છે પેન? મને દેખાડો, દેખાડો!' નાની બેબલીની ઉંમર જ એવી છે કે એને બધું જ જોવું હોય, બધું જ અડીને ચેક કરવું હોય અને હજાર સવાલો કરવા હોય. ખરીદી કરીને અમે બહાર આવ્યા. અમારી ગાડી કયાંય દેખાતી નહોતી. મેં ડ્રાઈવરનો નંબર ટ્રાય કર્યો. ફોન અનરીચેબલ આવતો હતો. પા કલાક સુધી કારની રાહ જોતા આમતેમ ડાફરિયા માર્યા પછી અને લોકોની વિચિત્ર નજરોના બાણ ઝીલ્યા પછી આખરે પનોતા પુત્રે કહૃાું કે એના કરતાં રિક્ષામાં ઘરે જતા રહીએ. મારી કાખમાં કયારની હલ-હલ થયા કરતી નાની બેબલી તરત ટહૂકી, 'કયાં છે રિક્ષા? મને દેખાડો, મને દેખાડો!'
પનોતા પુત્રે એક રિક્ષા ઊભી રાખી. અમે અંદર બેઠાં. નાની બેબલી જિંદગીમાં પહેલી વાર રિક્ષામાં સવારી કરી રહી હતી એટલે એને તો મજા પડી ગઈ. અમે જેવા લાંબા પ્રાઈવેટ રોડ પર અમારી બિલ્ડિંગ તરફ આગળ વધ્યા કે ઓચિંતા રિક્ષાવાળાએ કહૃાું, 'મેડમ, હીરો અક્ષય કુમાર પહેલાં આ બાજુ જ રહેતો હતો. હવે બાંદ્રામાં રહે છે.'
મારું મોઢું ખુલ્લું રહી ગયું. હું વિરોધ નોંધાવું તે પહેલાં રિક્ષાવાળો પોતાની ધૂનમાં કહેવા લાગ્યો, 'અરે, એણે રાજેશ ખન્નાની દીકરી સાથે મેરેજ કર્યા છેને. એમ તો ડિમ્પલ કાપડિયા પણ બાંદ્રામાં જ રહે છે, પણ મા-દીકરીને જરાય બનતું નથી. આમેય એ એકની એક દીકરી છે એટલે હવે રાજેશ ખન્નાનો બધો વારસો એને મળવાનો છે. એટલે રાજેશ ખન્નાના બંગલા પર હક જમાવવા અક્ષય ફેમિલી સાથે ત્યાં રહેવા જતો રહૃાો છે.'
આ ચક્રમ માણસનો નોનસ્ટોપ બકવાસ સાંભળીને હું તો આભી બની ગઈ. ક્રોધ જેમતેમ દબાવીને મેં ફકત એટલું જ કહૃાું, 'એમ?તને આ બધી કેવી ખબર પડી?' પટ્ કરતો જવાબ આવ્યો, 'મેડમ, રિક્ષા ચલાતા હૂં, સબ પતા હૈ.'
પનોતો પુત્ર મોટે મોટેથી ગાંડાની જેમ હસવા લાગ્યો. મેં ભાડાના સત્તર રુપિયા પકડાવીને પેલાને રવાના કર્યો. પગથિયાં ચડીને ઘરે પહોંચીને જોયું કે ઘરનો મોભી (એટલે કે અક્ષય કુમાર) સોફા પર પહોળો થઈને પડયો હતો. મેં એકી શ્વાસે હમણાં જે કંઈ બન્યું તે એને કહેવા માંડયું, 'સો ફની! તને ખબર છે, અક્ષય કુમાર પહેલાં આ બિલ્ડિંગમાં રહેતો હતો પણ હવે બાંદ્રા જતો રહૃાો છે અને એની વાઈફને પોતાની મા સાથે ઊભું બનતું નથી અને....'
ઘરના મોભીએ આંખો ઝીણી કરી, 'અત્યાર સુધી મને શંકા હતી, પણ હવે કન્ફર્મ થઈ ગયું. તારું ચસકી ગયું છે. આ તું શું અક્ષય કુમાર ને એની વાઈફ ને એની મા ને એવો બધો બબડાટ કરી રહી છે? આ તું આપણા ફેમિલીની જ વાત કરી રહી છે,ગાંડી! પોતાના ફેમિલી વિશે કોણ આ રીતે વાત કરે? તું સાચ્ચે જ એક નંબરની ઈડિયટ છે.'
નાની બેબલીએ તરત ચાની કિટલીથી રમવાનું બંધ કરીને ઉપર જોયું, 'કયાં છે ઈડિયટ? મને દેખાડો, મને દેખાડો!'
હે ભગવાન...

0 0 0 

Tuesday, August 18, 2015

ટેક ઓફ : ઉત્તમ જિંદગી એટલે લાર્જર-ધેન-લાઇફ પ્રોજેક્ટ્સનો સરવાળો...

Sandesh - Ardh Saptahik Purti - 19 Aug 2015

ટેક ઓફ
"એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાં કરિયર બનાવવી હોય તો સૌથી પહેલાં તો મૂળભૂત પ્રતિભા અને કમ્યુનિકેશનની શિસ્ત હોવાં જોઈએ. નિરીક્ષણશક્તિ સતેજ હોવી જોઈએકેમ કે આઇડિયાઝ આપણી આસપાસ જ હોય છે. અંગ્રેજી પર માસ્ટરી નહીં હોય તો ચાલશેપણ જિંદગીને એના બધા રંગોમાં જીવવી અને સમજવી જરૂરી છે."

તો વાત એડગુરુ મનીષ ભટ્ટની ચાલતી હતી. ગયા બુધવારે આપણે જોયું કે વડોદરા જિલ્લાના ખોબા જેવડા વરસડા ગામમાં જન્મેલા અને ગુજરાતી માધ્યમની દેશી નિશાળમાં ભણેલા મનીષ ભટ્ટ આજે સમગ્ર વિશ્વની ટોચની ઇન્ડિપેન્ડન્ટ એડ એજન્સીઝની સૂચિમાં સોળમું સ્થાન ધરાવતી સ્કેરક્રો કમ્યુનિકેશન્સના ફાઉન્ડર ડિરેક્ટર છે. તેમણે એમ.એસ. યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું હતું, પણ દિલ-દિમાગ સાથે આ ભણતરના સૂર ન મળ્યા. લગભગ આકસ્મિકપણે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એડમિશન લીધું ને નજર સામે જાણે કે આખી જિંદગીનો નકશો ખૂલી ગયો. અબ આગે...
અપેક્ષા કરતાં વધારે આપો
"મુંબઈની એડ એવન્યુ નામની એજન્સીમાં કરેલી ઇન્ટર્નશિપ દરમિયાન મને જે સોલિડ એક્સપોઝર અને અનુભવ મળ્યા હતા તેના પ્રતાપે મારો ફાઇનલ યરનો પ્રોજેક્ટ બીજાઓ કરતાં એકદમ અલગ તરી આવ્યો," મનીષ ભટ્ટ વાત સાધે છે, "મેં અઢાર હજાર રૂપિયા ખર્ચીને એક ડેનિમ બ્રાન્ડ માટે એડ કેમ્પેન તૈયાર કર્યું હતું. એ જમાનામાં એક સ્ટુડન્ટ માટે આ રકમ બહુ મોટી ગણાય. પ્રિન્ટ એડ ઉપરાંત હોર્ડિંગ પણ તૈયાર કરેલું અને એક એડ ફિલ્મ પણ શૂટ કરી હતી. વ્યક્તિગત રીતે હું ભલે રૂઢિચુસ્ત હોઉં, પણ મારું કામ શરૂઆતથી જ બોલ્ડ અને પોલિશ્ડ રહ્યુંં છે. આ પ્રોજેક્ટના આધારે મને દિલ્હીની કેપિટલ નામની એડ એજન્સી તરફથી મારી કરિયરની પહેલી જોબ ઓફર મળી. એ વર્ષ હતું ૧૯૯૪નું."
ટચૂકડી ટીમ ધરાવતી કેપિટલમાં સાતેક મહિના કામ કર્યા બાદ કોન્ટ્રેક્ટ નામની એડ એજન્સીમાં જોડાયો. કોન્ટ્રેક્ટની દિલ્હી બ્રાન્ચ એ જમાનામાં ભારતના એડવર્લ્ડમાં 'મોસ્ટ હેપનિંગ' ગણાતી હતી. અહીં ત્રણ એવાં ક્રિએટિવ ભેજાં કામ કરતાં હતાં જે ભવિષ્યમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝળકી ઊઠવાનાં હતાં. એક, ક્રિએેટિવ ડિરેક્ટર પ્રદીપ સરકાર ('પરિણીતિ', 'મર્દાની' વગેરેના ડિરેક્ટર), સિનિયર રાઇટર દિવાકર બેનર્જી ('ખોસલા કા ઘોસલા', 'લવ સેક્સ ઔર ધોકા' વગેરેના ડિરેક્ટર) અને બીજા સિનિયર રાઇટર જયદીપ સાહની ('કંપની', 'ચક દે ઇન્ડિયા' વગેરેના લેેેખક)
"મારી પહેલી પ્રિન્ટ એડ આ અરસામાં છપાઈ હતી," મનીષ ભટ્ટ કહે છે, "પ્લેગની સંબંધિત દવાની તે જાહેરાત હતી. બ્રોડશીટનું પા પાનું ભરાઈ જાય એવડી આ એડ દેશભરનાં અખબારોમાં છપાયેલી. એડના કેપ્શનનો આઇડિયા પણ મારો હતો. આઇ વોઝ થ્રિલ્ડ! હું આખો દિવસ કમ્પ્યૂટર પણ કંઈક ને કંઈક એક્સપ્લોર કર્યા કરતો, શીખ્યા કરતો. લોકોએ મારું નામ કોરલ ડ્રો પાડી દીધું હતું! જોકે, હું નવો હતો, જુનિયર હતો એટલે મારી પાસે બહુ કામ આવતું નહીં. બહુ બહુ તો બ્રોશર કે એન્યુઅલ રિપોર્ટ બનાવવાનું કામ સોંપાય, પણ હું ખાસ્સો પ્રો-એક્ટિવ રહેતો. ટચૂકડું સ્ટિકર બનાવવાનું કામ સોંપાયું હોય તોય આખેઆખું એડ કેમ્પેન તૈયાર કરી નાખતો. ત્રણ વર્ષમાં આ રીતે મારી પાસે ૪૫ કેમ્પેન એકઠું થઈ ગયેલું!"
આ જ અરસામાં એક કોમન દોસ્તારે મનીષ ભટ્ટની ઓળખાણ કોન્ટ્રેક્ટમાં જ કામ કરતા એક તેજસ્વી સાઉથ ઇન્ડિયન કોપી રાઇટર સાથે કરાવી. એનું નામ હતું રઘુ ભટ. ભટ્ટ નહીં પણ ભટ. તે વખતે બન્નેમાંથી કોઈએ ક્યાં કલ્પ્યું હતું કે તેમની જોડી સમયની સાથે ગાઢ બનતી જવાની છે અને ભવિષ્યમાં સ્કેરક્રો નામની હોટશોટ એડ એજન્સીને જન્મ આપવાની છે!
The faces of Scarecrow: Manish Bhatt (R) and Raghu Bhat

સ્થગિત ન થાઓ, વહેતા રહો
 "મારે બોમ્બે જવું હતું" મનીષ ભટ્ટ વાત આગળ વધારે છે, "કારણ કે બોમ્બે એટલે ભારતની એડવર્ટાઇઝિંગની દુનિયાનું પાટનગર. મેં મુંબઈની ટોચની એજન્સીઓનો સંપર્ક કર્યો, અહીંનાં મોટાં માથાંને મળ્યો. મને ક્લેરીઅન એજન્સીમાંથી જોબ ઓફર થઈ, પણ દિલ્લી ઓફિસ માટે. ક્રિએટિવ ગ્રૂપ હેડની પોસ્ટ હતી. અહીં કામ કરતાં અમુક લોકો તો પંદર-પંદર વર્ષના અનુભવી હતા. પગાર ૧૧ હજારથી કૂદીને સીધો ૩૦ હજાર પર પહોંચી જવાનો હતો. મેં ઓફર સ્વીકારી લીધી. રઘુ પણ મારી સાથે ક્લેરીઅનમાં જોડાયા."
મનીષ ભટ્ટ આ મોટો જમ્પ લગાવી શક્યા, કેમ કે તેમની પાસે ટેલેન્ટ, પોતાના કામ પ્રત્યેની પેશન અને સમૃદ્ધ પોર્ટફોલિયો ઉપરાંત એક એવી વાત હતી જે એડવર્ટાઇઝિંગ ફિલ્ડના સાહેબ લોકોને ગમી જતી હતી. તે હતી, તેમનું દ્વિભાષીપણું. તેઓ કોન્વેન્ટ સ્કૂલમાંથી આવતા 'અંગ્રેજ' નહોતા, બલ્કે ગામડામાં ઉછરેલા હોવાથી તેઓ ગ્રામ્ય તેમજ નાનાં સેન્ટરોમાં વસતા લોકોની માનસિકતા સમજતા હતા, 'ઇન્ડિયા' અને 'ભારત' બન્ને સાથે સહજપણે રિલેટ કરી શકતા હતા. તેમના વ્યક્તિત્વમાં સાદગી અને સોફિસ્ટિકેશનનું આકર્ષક કોમ્બિનેશન હતું, જે તેમના કામમાં સ્પષ્ટપણે ઝળકતું.
"ક્લેરીઅન-દિલ્હી તે વખતે સ્ટ્રગલ કરી રહ્યું હતું. પહેલા સાત મહિનામાં અમે ૩૦ ક્લાયન્ટ્સને પિચ કર્યા હતા, પણ એક પણ કામ નહોતું મળ્યું. કદાચ અમે વધારે પડતા આદર્શવાદી હતા, બિઝનેસ ટ્રિક્સ જાણતા નહોતા. ક્લાયન્ટ્સ તમારી પાસેથી ક્રિએેટિવિટી ઉપરાંત માર્કેટિંગ સ્ટ્રેટેજીની અપેક્ષા પણ રાખતા હોય છે. ક્લેરીઅનનાં અઢી-ત્રણ વર્ષ દરમિયાન અમે ખૂબ શીખ્યા, ઘડાયા, નવા અખતરા કર્યા. દરમિયાન પ્રસૂન જોશી દ્વારા ઓગિલ્વી એન્ડ મેથર (ઓ-એન્ડ-એમ) એજન્સીમાં જોડાવા માટે ઓફર આવી. મેં અને રઘુએ ક્રિએટિવ ગ્રૂપ હેડ્સ તરીકે ઓ-એન્ડ-એમની દિલ્હી ઓફિસ જોઇન કરી."
તે વખતે જુહી ચતુર્વેદી એમની જુનિયર હતી. જુહી એટલે 'વિકી ડોનર' અને 'પિકૂ'ની રાઇટર. ઓગિલ્વીમાં લોટસ આઇબીએમ,સત્યમ સિનેપ્લેક્સ વગેરે જેવી કેટલીય એવોર્ડવિનિંગ એડ્સ બનાવી. બે વર્ષમાં ભારતભરમાં ફેલાયેલી ઓ-એન્ડ-એમની પાંચ ઓફિસોમાં દિલ્હીની શાખા મોસ્ટ એવોર્ડવિનિંગ ઓફિસ તરીકે ઊભરી આવી. ૨૦૦૦ની સાલમાં મનીષને મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા. થોડા સમય માટે મલેશિયા મોકલવામાં આવ્યા. ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટનું આકર્ષણ જરૂર હતું, પણ અનુભવે સમજાયું કે જે તે પ્રદેશના કલ્ચરનો ફર્સ્ટ-હેન્ડ અનુભવ ન હોય તો કામ કરવામાં મજા આવતી નથી. તે સમય ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓના ઉદયનો હતો. ત્રિકાયા, એન્ટરપ્રાઇઝ, રિડિફ્યુઝન, એમ્બિયન્સ જેવી સ્વતંત્ર એજન્સીઓ સરસ કામ કરી રહી હતી. મનીષ ભટ્ટ એમ્બિયન્સ પબ્લિસીમાં જોડાયા. ઇલેક્ટ્રોનિક મીડિયાથી પરિચિત થયા. પેરાશૂટ, નેરોલેક, ટાટા પ્રેસ યલો પેજીસ જેવી નેશનલ બ્રાન્ડ્સ માટે કામ કર્યું. એવોર્ડ્ઝનો સિલસિલો ચાલતો રહ્યો. એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં મનીષ-રઘુની કોપી-આર્ટ જોડી મશહૂર થઈ ચૂકી હતી. મનીષ કહે છે, "રઘુની પ્રકૃતિ અંતર્મુખી છે. એ વધારે અભ્યાસુ અને તાર્કિક છે, જ્યારે હું વધારે બહિર્મુખ છું, અપ્રોચમાં આક્રમક અને ઇન્સન્ટિક્ટિવ છું. અંતઃસ્ફુરણાને હું વધારે માન આપું છું."
એમ્બિયન્સ બાદ મેક્કેન એરિક્સન નામની ઔર એક એજન્સીના હિસ્સા બન્યા. આ વખતે મુંબઈ બ્રાન્ચના સિનિયર ક્રિએટિવ ડિરેક્ટર તરીકે. નેત્રદાન વિશેની 'હોલી - લેટ્સ હેલ્પ અધર્સ સી કલર્સ' નામની એક અત્યંત હૃદયસ્પર્શી, આંખો ભીની કરી દે તેવી પબ્લિક ઇન્ટરેસ્ટ એડ મેક્કેનના કાર્યકાળ દરમિયાન બની. અપંગ વૃદ્ધવાળી 'રિસ્પેક્ટ ધ નેશનલ એન્થમપણ એટલી જ અદ્ભુત છે. ઇન્ટરનેટ પર સૌથી વધારે જોવાયેલી આ ક્લાસિક એડ્સ તમે હજુ સુધી ન જોઈ હોય તો બધાં કામ પડતાં મૂકીને અબ્બી હાલ યુ ટયૂબ પર જોઈ લેવા જેવી છે.  


કન્વિક્શન અને સ્વતંત્રતા હશે તો જીવનની ગુણવત્તા વધવાની


"અમે હવે અનુભવ અને ક્રેડિબિલિટીના એવા સ્ટેજે પહોંચી ગયા હતા કે મોટી બ્રાન્ડ્સ સામેથી અમારો અપ્રોચ કરવા લાગી હતી." મનીષ ભટ્ટ કહે છે, "અત્યાર સુધીમાં અમને ગ્રૂપને હેન્ડલ કરવાનો સારો અનુભવ મળી ગયો હતો. અમારી કામ કરવાની શૈલી એવી હતી કે જાણે કે એજન્સીની અંદર મિનિ એજન્સી ચલાવતા હોઈએ. બિઝનેસ કેવી રીતે થવો જોઈએ તે વિશે અમારો નક્કર અભિપ્રાય રહેતો. અત્યાર સુધી અમે જે એજન્સીમાં કામ કરતા હોઈએ તેની ફિલોસોફી અપનાવતા હતા, પણ હવે સમય આવી ગયો હતો કે અમે અમારા કન્વિક્શન પ્રમાણે કામ કરીએ. મેં અને રઘુએ ખુદની એડવર્ટાઇઝિંગ એજન્સી ખોલવાનો નિર્ણય લીધો. અમે ક્રિએટિવિટી, સ્ટ્રેટેજી અને ડિઝાઇન આ ત્રણેય પાસાંને આવરી લેતી સંપૂર્ણ સર્વિસ એજન્સી ઊભી કરવા માગતા હતા. આ રીતે ૨૦૦૯માં સ્કેરક્રો કમ્યુનિકેશન્સ લિમિટેડનો જન્મ થયો."
મજાની વાત એ હતી કે એજન્સી કાયદેસર જન્મે તે પહેલાં જ રેલીગેર મેકવેરી નામની વેલ્થ મેનેજમેન્ટ બ્રાન્ડ તેમના પોર્ટફોલિયોમાં બોલતી હતી. કામમાં સરળતા માટે બીજા બે સાથીઓ જોડાયા - જોય સેનગુુપ્તા અને વિવેક સુચાન્તી. આ જ અરસામાં સરસ કામ કરતી ત્રણ ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઓ એક-એક વર્ષના ગાળામાં શરૂ થઈ હતી - ટેપરુટ, ક્રિએટિવ લેન્ડ એશિયા અને સ્કેરક્રો. જોકે, આમાંથી ટેપરુટ હવે એક જાપાની એજન્સીમાં ભળી ગઈ છે.

આંગળીને વેઢે ગણી શકાય એટલા માણસોથી શરૂ થયેલી સ્કેરક્રોમાં હાલ ૭૫ માણસોનો સ્ટાફ છે. મુંબઈ ઉપરાંત દિલ્હીમાં પણ એની ઓફિસ ધમધમે છે. એજન્સીના પોર્ટફોલિયોમાં ૪૫ કરતાં વધારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ બોેલે છે. વિશ્વની ટોચની ઇન્ડિપેન્ડન્ટ એડ એજન્સીઓમાં સ્થાન પામી ચૂકેલી સ્કેરક્રો હવે મનીષ-રઘુના નામથી નહીં, પણ મનીષ-રઘુ હવે સ્કેરક્રોના નામથી ઓળખાય છે. મનીષ ભટ્ટ માટે આ મોટા સંતોષની વાત છે. ફ્રાન્સમાં યોજાતા કાન લાયન્સ, એબી સહિત કેટલાય નેશનલ અને ઇન્ટરનેશનલ એડ ફેસ્ટિવલ્સમાં જ્યુરી યા તો જ્યુરી ચેરમેન તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા મનીષ ભટ્ટનું લેટેસ્ટ પેશન રેડિયો છે. વર્ચ્યુઅલ એડ મ્યુઝિયમ ઊભું કરવાનું સપનું હજુ તેમની આંખોમાં સળવળે છે.
એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાં કરિયર બનાવવી હોય તો...
"એડવર્ટાઇઝિંગના ફિલ્ડમાં કરિયર બનાવવી હોય તો સૌથી પહેલાં તો તમારામાં મૂળભૂત ટેલેન્ટ અને કમ્યુનિકેશનની શિસ્ત હોવાં જોઈએ," મનીષ ભટ્ટ ટિપ્સ આપતાં કહે છે, "તમારી નિરીક્ષણશક્તિ સતેજ હોવી જોઈએ, કેમ કે આઇડિયાઝ આપણી આસપાસ જ હોય છે. અંગ્રેજી પર માસ્ટરી હોવી જરૂરી નથી, પણ જિંદગીને બધા રંગોમાં જીવવી જરૂરી છે. બને તેટલા વધારે લોકોને મળોે. સારા-ખરાબનો અભિપ્રાય બાંધ્યા વગર તેમને સમજવાની કોશિશ કરો. યુ નીડ ટુ કનેક્ટ વિથ પીપલ. દરેક ફિલ્મ, નાટક, વાર્તામાં એક મોમેન્ટ-ઓફ-ટ્રુથ હોય છે. તે સમજો. પ્લોટમાં જે ટ્વિસ્ટ્સ છે તેને સમજો. તમારે નવેનવ રસનો ઉપયોગ કરીને એવી એડ બનાવવાની છે જે લોકોને યાદ રહી જાય. ઇન્ટરનેટ પર adsoftheworld.com જેવી વેબસાઇટ્સનો અભ્યાસ કરો. જાતે એડ્સ બનાવવાની એક્સરસાઇઝ કરો. એડ એજન્સીઓની મુલાકાત લો, પૈસાની ચિંતા કર્યા વગર ઇન્ટર્નશિપ કરો. વિઝ્યુઅલ સ્કિલ અને વર્બલ સ્કિલ એટલે કે તમને દૃશ્યો અને શબ્દો આ બેમાંથી શામાં વધારે ફાવટ છે તે વિશે સ્પષ્ટ થાઓ. તમે સીધા ટીવી એડ્સથી શરૂઆત નહીં કરી શકો, તે માટે પ્રિન્ટનો થોડાં વર્ષનો અનુભવ જોઈએ."
આમ કહીને મનીષ ભટ્ટ એક સરસ વાત સાથે સમાપન કરે છે, "લાઇફને અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં વહેંચી દો. દરેક પ્રોજેક્ટ એવો હોવો જોઈએ કે એમાં આખી જિંદગી નીકળી જાય. જો આ રીતે જીવીશું તો જીવનની ગુણવત્તા બેસ્ટ જ હોવાની."
0 0 0 

Tuesday, August 11, 2015

ટેક ઓફ : હોટશોટ એડગુરુ કેવી રીતે બનાય?

Sandesh - Ardh Saptahik Purti - 12 Aug 2015

ટેક ઓફ 

ક્રિએટિવ ભેજુ ધરાવતા જુવાનિયાઓને એડવર્ટાઇઝિંગના ક્ષેત્રનું આકર્ષણ હોય છેપણ આ ફિલ્ડમાં એક્ઝેક્ટલી કેવી રીતે કરિયર બનાવાયતેમાં સફળ થવા માટે તમારી પાસે શું શું હોવું જોઈએ?આ સવાલના જવાબ એડગુરુ મનીષ ભટ્ટ પાસેથી સાંભળવા જેવા છે.

લે ગમે તેટલું પાક્કું સરનામું અપાયું હોય, પણ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસથી ફ્લોરા ફાઉન્ટન તરફ જતાં એક મ્યુઝિક સ્ટોરને સાવ અડીને આવેલી પાતળી ઇયળ જેવી નાની અમથી અળવીતરી ગલી તમારાથી મિસ થવાની, થવાની ને થવાની જ. વાસ્તવમાં આ ગલી પણ નથી, સાંકડો અંધારિયો પેસેજ છે, જે છુપાઈને ગુપચુપ ઊભેલા બિલ્કિસ મેન્શન નામના બહુમાળી મકાનની લિફ્ટ પાસે ખૂલે છે. ગલી ભલે અંધારી અને અનાકર્ષક રહી, પણ આ ઇમારતમાં ક્રિએટિવિટીથી ફાટફાટ થતા માણસોનો અડ્ડો ધમધમે છે. આ અડ્ડો એટલે એક તેજસ્વી એડ એજન્સીની સ્ટાઇલિશ ઓફિસ. એજન્સીનું નામ ભારે અળવીતરું છે - સ્કેરક્રો! સ્કેરક્રો એટલે કે ખેતરમાં હાથ ફેલાવીને ઊભેલો કદરૂપો ચાડિયો! એજન્સીને હજુ માંડ છએક વર્ષ થયાં છે, પણ ભારતની સૌથી યંગ અને સૌથી ઝપાટાભેર વિકસી રહેલી ઇન્ડિપેન્ડન્ટ ક્રિએટિવ એજન્સી તરીકે એણે ખુદને પ્રસ્થાપિત કરી દીધી છે. કેવળ ભારતની નહીં, પણ સમગ્ર વિશ્વની ટોચની ઇન્ડિપેન્ડન્ટ એજન્સીઝની સૂચિમાં સ્કેરક્રો આ વર્ષે સોળમા ક્રમે મુકાઈ છે.
સ્કેરક્રોના કોન્ફરન્સ રૂમની એકાધિક શેલ્ફમાં એટલા બધા એવોર્ડ્ઝ કતારબદ્ધ ગોઠવાયેલા છે કે ગણવા બેસો તો થાકી જવાય. એક આખી દીવાલ ક્લાયન્ટ્સના લોગોથી ખીચોખીચ છલકાય છે: રિલાયન્સ ડિજિટલ, એન્કર, નેસલે, ઓન્લી વિમલ, રેડિયો સીટી, રેલિગેર હેલ્થ ઈન્શ્યોરન્સ, રુપા, વાયકોમ એઈટીન, ઝી નેટવર્ક, એન્ડ પિક્ચર્સ, ડીએલએફ, સ્પાયકર, ક્વીકર, માહિન્દ્રા લાઈફસ્પેસીસ, ઝંડુ, કલર્સ ઈન્ફિનિટી વગેરે. દેશ-દુનિયામાં જાણીતી કેટલીય બ્રાન્ડ્સની વિજ્ઞાાપનોના પાયામાં એક ગુજરાતી બંદો છે - મનીષ ભટ્ટ. સ્કેરક્રો કમ્યુનિકેશન્સ લિમિટેડના ફાઉન્ડર ડિરેક્ટર.    
સામાન્ય છાપ તો એવી છે કે એડવર્ટાઇઝિંગની દુનિયાના ક્રિએટિવ માણસો અંતરંગી હોય, ચિત્રવિચિત્ર વેશભૂષા ધારણ કરતા હોય, બગાસાં અને છીંક પણ અંગ્રેજીમાં ખાતા હોય તેમજ શો-બાજી કરવાની એક તક ન છોડતા હોય. આવી લાઉડ છાપ કેવી રીતે ઊભી થઈ એ તો રામ જાણે. મનીષ ભટ્ટને મળો એની થોડી મિનિટોમાં જ તમે સમજી લો છો કે તેઓ પેલી સ્ટિરિયોટાઇપ ઇમેજથી જોજનો દૂર છે. તેઓ સૌમ્ય છે, એમનાં વર્તન-વ્યવહારમાં સરળતા અને સહજતા છે. તેમના પગ ધરતી સાથે સજ્જડ રીતે શા માટે જોડાયેલા છે અને તેમની કેટલીય વિજ્ઞાાપનોમાં અર્થહીન ઝાકઝમાળને બદલે મિટ્ટી કી ખુશબૂ શા માટે મહેકે છે તેનાં કારણ તમને ક્રમશઃ સમજાતાં જાય છે.
મનીષ ભટ્ટ ગુજરાતના એવા ગામડામાં જન્મ્યા હતા જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ નહોતી. આજે લોકોને આઇફોનના લેટેસ્ટ મોડલ માટે જેવું કુતૂહલ હોય છે એવું કૌતુક મનીષ ભટ્ટને લાઇટના બલ્બને જોઈને થતું. આવા માહોલમાં ઉછરેલો અને ગુજરાતી માધ્યમની દેશી નિશાળમાં ભણેલો છોકરો દેશની હોટ-એન્ડ-હેપનિંગ એડ એજન્સીનો જનક કેવી રીતે બન્યોે? યાત્રા ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. ક્રિએટિવ ભેજુ ધરાવતા જુવાનિયાઓને એડવર્ટાઇઝિંગના ક્ષેત્રનું આકર્ષણ હોય છે, પણ આ ફિલ્ડમાં એક્ઝેક્ટલી કેવી રીતે કરિયર બનાવાય, તેમાં સફળ થવા માટે તમારી પાસે શું શું હોવું જોઈએ તે વિશે ગૂંચવાયા કરતા હોય છે. મનીષ ભટ્ટની યાત્રામાંથી આ સવાલોના જવાબ સહજપણે મળતા જાય છે, લેસન્સ-ઓફ-લાઇફના સ્વરૂપમાં. જેમ કે, જીવનનો પહેલો પાઠ એટલે આઃ
(૧) પોતાનાં મૂળિયાંનું સન્માન કરવાનું હોય, અવગણના નહીં

"ડાકોરથી તેર-ચૌદ કિલોમીટરના અંતરે આવેલું મારું વરસડા ગામ એટલે વડોદરા જિલ્લાની ભાગોળ," પિસ્તાલીસ વર્ષીય મનીષ ભટ્ટ શરૂઆત કરે છે, "પછી તરત ખેડા જિલ્લો શરૂ થઈ જાય. મારાં શરૂઆતનાં બારેક વર્ષ સુધીનું જીવન વરસડામાં પસાર થયું છે. ત્રણ ભાઈઓમાં હું સૌથી નાનો. મમ્મી-પપ્પા બન્ને પ્રાઇમરી સ્કૂલનાં ટીચર એટલે ગામમાં ખૂબ માન. અમે પ્રણામિ ધર્મને અનુસરનારા એટલે રણછોડરાયના મંદિરે જવાનું પ્રમાણમાં ઓછું બનતું, પણ શ્રીમુખવાણી ધર્મગ્રંથની પારાયણ, કંઠી બાંધવી,બળેવની પૂનમે થતો ઉત્સવ - આ બધું બાળપણમાં ખૂબ જોયું છે. સ્કૂલની લાઇબ્રેરીમાંથી કનૈયાલાલ મુનશીથી લઈને પ્રિયકાંત પરીખ સુધીના લેખકોની ચોપડીઓ વાંચી નાખી હતી. હું ખુશમિજાજ અને વાંચતો-વિચારતો છોકરો હતો. બીજા છોકરાઓ કરતાં જરા અલગ પડતો.'
ગામમાં વીજળી આવી તેની પહેલાં રેડિયો આવી ગયો હતો. પિતાજી લંડનનું બીબીસી સ્ટેશન સાંભળતા. મનીષ ભટ્ટને ત્યારે ક્યાં ખબર હતી કે આ રેડિયોે અજાગ્રતપણે એમનું માનસ ઘડવામાં ભવિષ્યમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો છે. આઠમા ધોરણ પછી ડાકોરની શાળામાં એડમિશન લીધું. અહીં નાનીમાનું ઘર હતું. ડાકોરના જે ડેલામાં નાનીમા રહેતાં હતાં ત્યાં ત્રીસ પરિવારો વચ્ચે ફક્ત બે જ ટોઇલેટ હતા. જાતજાતના ને ભાતભાતના લોકોનો શંભુમેળો અહીં એકઠો થયો હતો. ડાકોરમાં એકાંકીઓ થતી, ઓફબીટ નાટકો થતાં. મનીષે 'પપ્પા ખોવાઈ ગયા' નામના વિજય તેંડુલકર લિખિત નાટકમાં ભાગ લઈને ઇનામ જીતેલું. સ્પોર્ટ્સ ઓછું ગમે, પણ બૌદ્ધિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધારે. કોણ જાણે કઈ રીતે પણ ખરાબ સોબતને લીધે એક મોટો ભાઈ અઠંગ વ્યસની બની ગયો હતો. એની પોઝિટિવ પ્રતિક્રિયા મનીષમાં આ રીતે આવીઃ ભાઈ કરે છે એવું તો નહીં જ કરવાનું!

સડસડાટ વહી જતી જિંદગીમાં અપ્રિય લાગે એવો પહેલો વળાંક બારમા ધોરણમાં આવ્યો. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ભણવામાં અત્યાર સુધી ઉત્તમ માર્ક્સ લાવનારા મનીષે બારમા ધોરણમાં ડ્રોપ લેવો પડયો. આત્મવિશ્વાસને ઝટકો લાગ્યો. ચિત્રકામની એલિમેન્ટરી અને ઇન્ટરમિડિએટ પરીક્ષાઓ ઓલરેેડી આપી દીધી હતી એટલે ખાલી સમય ભરવા ડ્રોઇંગ કરવા લાગ્યા, 'કાગઝ કી કશ્તી સે કોલંબો તક' પ્રકારની કવિતાઓ લખવા લાગ્યા. તેઓ કહે છે, "મને શબ્દો અને દૃશ્યો બન્ને ગમતાં હતાં, પણ હું નહોતો પૂરો પેઇન્ટર કે નહોતો પૂરો રાઇટર. હું આ બન્નેની વચ્ચે કશેક હતો. હું પેન્સિલ ડ્રોઇંગ કરતો અને પછી નીચે કેપ્શન જેવું લખતો. તે વખતે સ્પષ્ટતા નહોતી, બટ ઇટ વોઝ એક્ચ્યુઅલી અન એડ! જાહેરાતોમાં આ જ હોય છેને - વિઝ્યુઅલ અને સ્લોગન! એડવર્ટાઇઝિંગની દુનિયા તરફ અભાનપણે માંડેલું એ મારું પહેલું પગલું હતું."
બાળપણ અને તરુણાવસ્થા જેટલાં વધારે ભાતીગળ એટલું વધારે સારંુંં. જો જીવનનું સુકાન પોતાના હાથમાં મજબૂતીથી પકડી રાખેલું હશે તો બાળપણમાં થયેલી અનુભૂતિઓના સઘળા રંગો ભવિષ્યમાં કોઈક ને કોઈક રીતે ક્રિએટિવ અભિવ્યક્તિ પામ્યા વગર રહેતા નથી.    
(૨) અંદરનો અવાજ સાંભળીને લાઇફમાં શું નથી જ કરવું તે વિશે સ્પષ્ટ થઈ જાઓ

બારમા ધોરણમાં બહુ ઓછા ટકા આવ્યા એટલે એસએસસીની ટકાવારીના આધારે વડોદરાની પોલિટેક્નિક કોલેજમાં એડમિશન લઈ સિવિલ એન્જિનિયરિંગ કરવા લાગ્યા. થિયરી જરાય ન ગમે, પણ ડ્રોઇંગ શીટ્સ અફલાતૂન બનાવે. ટેક્સ્ટબુક્સને બદલે ભગવદ્ગીતા વાંચવામાં વધારે રસ પડે. ધીમે ધીમે સત્ય ઊપસતું ગયું: આ લાઇન મારા માટે છે જ નહીં. ડિપ્લોમા મેળવ્યા પછી એક-બે કંપનીઓમાં એન્જિનિયર તરીકે કામ કરવાનો અનુભવ લઈ જોયો અને પેલું સત્ય સજ્જડ બનતું ગયું: ધિસ ઇઝ નોટ મી. મારી લાઇફ આ રીતે તો પસાર નહીં જ થાય!
"મારા મોટા ભાઈ પણ સિવિલ એન્જિનિયર હતા," મનીષ ભટ્ટ કહે છે, "મારા પપ્પાના મનમાં એમ કે બન્ને દીકરાઓ ભેગા થઈને કન્સ્ટ્રક્શન કંપની જેવું કશુંક ખોલે એટલે બેયની લાઇફ સેટ થઈ જાય, પણ મને મારા કામમાંથી સંતોષ મળતો નહોતો. મને થતું કે હું તો કેવળ બીજાઓની ફોર્મ્યુલા અને આઇડિયાને એક્ઝિક્યૂટ કરું છું, આમાં મારું શું? પણ જો આ નહીં તો આના બદલે બીજું શું કરું? શું ભણું? કશું સમજાતું નહોતું."
એક દિવસ વડોદરાના કમાટી બાગ સામે ફેલાયેલી ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ પાસેથી મનીષ પસાર થઈ રહ્યા હતા. ફાઇન આર્ટ્સ કઈ ચીડિયાનું નામ છે એની કશી જ ખબર નહીં. કદાચ આ ડ્રોઇંગ ટીચર બનવાનો કોર્સ હશે એવું થોડું ઘણું સમજાય. મનીષ એમ જ ફેકલ્ટીની અંદર ગયા. એન્જિનિયરિંગ કોલેજ કરતાં સાવ જુદા જ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી હતી. બગલથેલા લટકાવીને આમતેમ ફરતા સ્ટુડન્ટ્સ પોતાનામાં મસ્ત દેખાતા હતા. અહીંની હવામાં કશુંક વિશિષ્ટ હતું. અહીંનો માહોલ જોઈને મનીષને મજા પડી. ઓફિસમાં જઈને પૂછપરછ કરીઃ અહીં એડમિશન લેવું હોય તો શું કરવાનું? સામો પ્રશ્ન પુછાયોઃ શામાં એડમિશન જોઈએ છે - પેઇન્ટિંગમાં, શિલ્પમાં, અપ્લાઇડ આર્ટ્સમાં? જવાબ આપી દીધોઃ અપ્લાઇડ આર્ટ્સમાં! મનીષે તૈયારી કરી, એન્ટ્રન્સ ટેસ્ટ આપી. એડમિશન મળી ગયું. યાદ રહે, એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં દેશવિદેશથી સ્ટુડન્ટ્સ ભણવા આવે છે અને અહીં એડમિશન મેળવવું ખૂબ અઘરું ગણાય છે.
મનીષ ભટ્ટ કહે છે, "ફાઇન આર્ટ્સમાં ભણવાનું ખૂબ મોંઘું હતું. મમ્મી-પપ્પા અને ભાઈ ત્રણેયના અડધા પગાર મારા ભણવા પાછળ ખર્ચાઈ જતા, પણ પપ્પાને મારામાં અજબ કોન્ફિડન્સ હતો. મારા દરેક પગલાને એ હંમેશાં કોઈક રીતે જસ્ટિફાય કરી લેતા. ફાઇન આર્ટ્સમમાં એડમિશન લેવું મારા માટે પુનર્જન્મ થવા બરાબર હતું."
(૩) પ્રો-એક્ટિવ બનો અને તકો જાતે ઊભી કરો

કોલેજમાં મનીષ ખૂબ લો-પ્રોફાઇલ રહેતા. તેમનું સંપૂણપણે ધ્યાન ભણવામાં રહેતું. થિયરીના સબજેક્ટ્સ જોકે હજુય નહોતા ગમતા. મેથોડોલોજીને ન અનુસરતા, પણ કામમાં એટલું બધું ઝીણું કાંતે કે શિક્ષકો એને પૂછતાં કે ભાઈ, તું સોનીનો દીકરો છે?પહેલાં જ વર્ષથી વિઝિટિંગ કાર્ડ્સ વગેરે ડિઝાઇન કરવા માંડયા હતા. ચાની એક બ્રાન્ડ માટે જે કેલિગ્રાફી કરી હતી તે આજેય એના પેકિંગ પર વપરાય છે. આ હતું એમનું સૌથી પહેલું પ્રોફેશનલ અસાઇનમેન્ટ. સેકન્ડ યરમાં દોસ્તારની સાથે મળીને નાનકડી એજન્સી જેવું ઊભું કર્યું. કોલેજમાં પહેલી વાર પગ મૂકનારા ક્લાસના બીજા છોકરાઓ કોલેજલાઇફ એન્જોય કરવામાં પડયા હતા, પણ મનીષે અસલી કામ શરૂ કરી દીધું હતું. તેઓ બીજાઓ કરતાં વધારે જાણતા, પ્રો-એક્ટિવ રહેતા. એમનો અપ્રોચ બીજાઓથી અલગ રહેતો. થર્ડ યરના વેકેશનમાં કોઈ પ્રોફેશનલ એડ એજન્સીમાં ઇન્ટર્નશિપ કરવાનું આવ્યું ત્યારે મનીષે ટોચની વીસ એજન્સીઓમાં અપ્લાય કર્યું.
"મને મુંબઈની 'એડ એવન્યૂઝ' નામની એડ એજન્સીમાં ઇન્ટર્નશિપ કરવાનો મોકો મળ્યો," મનીષ કહે છે, "આ એ જ એજન્સી છે જેણે ઓનિડા ટીવીની ડેવિલવાળી સુપરહિટ કેમ્પેઇન તૈયાર કરેલી. 'એડ એવન્યૂઝ'માં મને એડવર્ટાઇઝિંગની અસલી દુનિયાનું જબરદસ્ત એક્સપોઝર મળ્યું. પાંચ ફિલ્મશૂટ, ચાર પ્રિન્ટશૂટ અને એક રેડિયો સ્પોટનો ફર્સ્ટહેન્ડ અનુભવ મળ્યો. આ ઇન્ટર્નશિપ મારા માટે એક ઔર ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો."
ફાઇન. પછી? મનીષ ભટ્ટ એડગુરુ કેવી રીતે બન્યા? બાકીની વાત આવતા બુધવારે.
0 0 0 

મલ્ટિપ્લેક્સ : જીવન, મૃત્યુ અને સંજય મિશ્રા

Sandesh - Sanskaar purti - 9 Aug 2015

મલ્ટિપ્લેક્સ 

સંજય મિશ્રાએ ઈમોશનલ થઈને કુદરતના એક અજબ ખેલ વિશે વાત કરી છે. તર્ક કે વૈજ્ઞાાનિક તથ્યના ત્રાજવે તોળ્યા વગર સાંભળવા જેવી આ વાત છે. એક પુત્ર જ્યારે પોતાના મૃત્યુ પામેલા બાપનું સ્મરણ કરતો હોય ત્યારે તે મામલો દિલનો બની જતો હોય છે, જેને કેવળ લાગણી અને શ્રદ્ધાના ચશ્માં પહેરીને જોવો જોઈએ.




મુક કલાકારો એવા હોય છે જે મોટા કે નાના પડદે આપણી આંખ સામે અવારનવાર આવતાં હોય છે, પણ આપણે એમને કયારેય અલગ તારવીને જોેતા નથી કે કયારેય એમના વિશે માંડીને વાત કરતા નથી. સાદી ભાષામાં એમને 'કેરેકટર આર્ટિસ્ટ' કહે છે. તેમની આસપાસ નામી કલાકારોનું ગ્લેમર એટલા જોશથી ફૂંકાતું રહે છે કે તેઓ સેન્ટર સ્ટેજ પર આવી શકતા નથી. આ સ્થિતિ કયારેક બદલાતી હોય છે. કયારેક કોઈ ચરિત્ર અભિનેતા પોતાનાં અભિનય અને સાતત્યના જોરે પ્રકાશી ઊઠે અને પોઈન્ટ-ઓફ-ડિસ્કશન બની જાય છે. સંજય મિશ્રા આ પ્રકારના એકટર છે. એમણે ફિલ્મી કરિયરની શરૂઆત તો વીસ વર્ષ પહેલાં 'ઓહ ડાલિંર્ગ! યે હૈ ઈન્ડિયા'થી કરી હતી. આપણે એમને 'સત્યા', 'ગોલમાલ' સિરીઝ, 'અતિથિ તુમ કબ જાઓગે?' જેવી કેટલીય ફિલ્મોમાં છોટી-મોટી કોમિક ભૂમિકાઓમાં પણ જોયા છે અને 'ફંસ ગયા રે ઓબામા', 'આંખો દેખી', 'દમ લગા કે હઈશા' તેમજ લેટેસ્ટ 'મસાન'માં ચાવીરૂપ કિરદાર રૂપે જોયા છે.
નીરજ ઘેવાને ડિરેકટ કરેલી અફલાતૂન ફિલ્મ 'મસાન'માં સંજય મિશ્રા એક એવા પિતા બન્યા છે, જેમનો વર્તમાન પીંખાઈ ગયો છે. એમની એકની એક જુવાનજોધ દીકરી એમએમએસ કાંડમાં ફસાઈ ગઈ છે. બાપના દિલ પર કદાચ ભૂતકાળનું કશુંક ગિલ્ટ પણ છે. એ રિટાયર્ડ પ્રોફેસર છે, સંસ્કૃતના અચ્છા જાણકાર છે, પાર્ટટાઈમ અનુવાદક તરીકે કામ કરે છે અને ગંગાકિનારે ક્રિયાકાંડનો સામાન વેચતી હાટડી પણ ચલાવે છે. એ રોજેરોજ મોત જુએ છે, મૃત્યુ પામેલા સ્વજનને યાદ કરીને વિધિવિધાન કરતા લોકોને જુએ છે. સંજય મિશ્રાએ સ્વયં જીવન અને મૃત્યુ સાથે સાપસીડી રમી છે. ૨૦૦૯માં એમના પિતાનું મૃત્યુ એક વિશેષ સંકેત લઈને આવ્યું હતું. પોતાના ઈન્ટરવ્યૂઝમાં સંજય મિશ્રાએ ઈમોશનલ થઈને એકાધિક વખત કુદરતના આ અજબ ખેલ વિશે વાત કરી છે. તર્ક કે વૈજ્ઞાાનિક તથ્યના ત્રાજવે તોળ્યા વગર સાંભળવા જેવી આ વાત છે. એક પુત્ર જ્યારે પોતાના મૃત્યુ પામેલા બાપનું સ્મરણ કરતો હોય ત્યારે તે મામલો દિલનો બની જતો હોય છે, જેને કેવળ લાગણી અને શ્રદ્ધાના ચશ્માં પહેરીને જોવો જોઈએ.
સંજય મિશ્રા બનારસમાં મોટા થયા છે. એમના પિતાજી શંભુનાથ મિશ્રા પત્રકાર હતા. સંગીતના જબરા શોખીન. એમનો આ શોખ સંજયમાં પણ ઊતર્યો છે. તેઓ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભિનયની તાલીમ લેવા ગયા ત્યારથી લઈને ફિલ્મોમાં કામ કરવા મુંબઈ આવ્યા ત્યાં સુધી અને તે પછીય પિતાજીએ એમને સતત સપોર્ટ કર્યો હતો. આ વાત ૨૦૦૮-૨૦૦૯ ની છે. સંજયની ઉંમર તે વખતે ૪૪-૪૫ વર્ષ થઈ ગઈ હતી. ફિલ્મો અને ટીવીમાં ઠીક ઠીક કામ મળવા માંડયું હતું, પણ લગ્ન હજુ નહોતાં થયાં. પાકટ વય સુધી કુંવારા રહી ગયેલાં સંતાનનાં માતા-પિતાને થાય એવી ચિંતા સંજયનાં માતા-પિતાને પણ થતી. બન્યું એવું કે ઓકટોબર ૨૦૦૮માં હરવા ફરવાના શોખીન સંજય મમ્મી-પપ્પાને લઈને કારમાં નીકળી પડયા. પહાડોમાં ફરવાનું,મન થાય એટલા દિવસ રહેવાનું. પ્રવાસ દરમિયાન માતાને ખબર પડી કે ફલાણી જગ્યાએ કોઈ ચમત્કારી મહિલા રહે છે, જેમનાં શરીરમાં દેવીનો વાસ છે. દૂર દૂરથી લોકો એમનાં દર્શન કરવા આવે છે. મમ્મીએ કહૃાું: આપણે પણ એમનાં દર્શને જવું જોઈએ. સંજય કહેઃ મમ્મી, શું કામ આ બધામાં પડે છે? આપણે ફરવા નીકળ્યા છીએ તો ફરવામાં જ ધ્યાન આપને. મમ્મી માન્યાં નહીં.
Sanjay Mishra and Richa Chadda in Masaan

આખરે અગરબત્તી અને એક કિલો ચોખા લઈને ત્રણેય પહોંચી ગયાં. પેલી મહિલા કહેઃ બોલો, કયા પૂછના હૈ? ખરેખર તો પૂછવા જેવું કશું હતું જ નહીં, પણ તોય સંજયનાં મમ્મીએ પૂછી લીધું કે મારો દીકરાનાં લગ્ન કયારે થશે. મહિલાએ જવાબ આપ્યોઃ આવનારો સમય ભારે છે. જો તારો દીકરો ફેબ્રુઆરી ૨૦૦૯ સુધી જીવી જશે તો આપોઆપ યોગ્ય કન્યા એના જીવનમાં આવશે અને લગ્ન થઈ જશે!
બધાં બહાર આવ્યાં. મહિલા આ શું બોલી ગઈ? સંજયને શું થવાનું છે? ખેર, ચમત્કારી લોકોને તો ટેવ હોય છે કંઈ પણ બોલવાની. હશે. એને કંઈ ગંભીરતાથી લેવાનું ન હોય. દિવસો વીતતા ગયા. વાત વિસરાઈ ગઈ.
૨૦૦૯ની સાલ શરૂ થઈ. ફેબ્રુઆરીમાં સંજય મિશ્રાને કોઈ ટીવી ચેનલના લોન્ચિંગ માટે પટના જવાનું આમંત્રણ મળ્યું. એમનો ઈન્ટરવ્યૂ પણ શૂટ થવાનો હતો. જેવું આ શૂટિંગ પૂરું થયું કે અચાનક સંજયને પેટમાં જોરદાર દઃુખાવો ઉપડયો. દવા લીધી,પેઈનકિલર ખાધી. કોઈ અસર નહીં. દઃુખાવો એટલો તીવ્ર બની ગયો કે હોસ્પિટલમાં એડમિટ થવું પડયું. દિલ્હી રહેતાં સંજયનાં માતા-પિતાને ખબર પડતાં એમની ચિંતાનો પાર ન રહૃાો. તાત્કાલિક સંજયને દિલ્હી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ડોકટરે કહી દીધું: પેટમાં પુષ્કળ પસ (પરું) જમા થઈ ગયું છે. હાલત અત્યંત ગંભીર છે. વધારે ખેંચી શકે એવું લાગતું નથી. આઠથી નવ કલાક કાઢી નાખે તોય ઘણું છે. બહુ બહુ તો એકાદ દિવસ.
સૌની હાલત ખરાબ થઈ ગઈ. એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ... સંજયની તબિયત આમથી તેમ ઝોલાં ખાતી રહી. ધીમે ધીમે કરતાં એક મહિનો થઈ ગયો. બહુ પીડાદાયી તબક્કો હતો આ. 'હું સૂઈ નહોતો શકતો. કયારેક આંખ લાગી જતી તો જાતજાતનાં સપનાં આવ્યા કરતાં,' સંજય કહે છે, 'એક વાર મેં તંદ્રાવસ્થામાં જોયું કે હું લાંબો થઈને સૂતો છું. મને સફેદ ચાદર ઓઢાડવામાં આવી છે. લોકો હાથ જોડીને અંદર આવી રહૃાા છે. મને જોઈને રડી પડે છે...'
આ મોતનું સપનું હતું, જે સદભાગ્યે તંદ્રાવસ્થા પૂરતું જ સીમિત રહૃાંુ. સંજયની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. 'દરમિયાન એક ઘટના બની,' સંજય યાદ કરે છે, 'હું લાકડીના ટેકે હોસ્પિટલની લોબીમાં ફરી રહૃાો હતો ત્યારે એક માણસ મારી પાસે આવ્યો. કહે, તમને 'ઓફિસ ઓફિસ' સિરીયલમાં અને ફિલ્મોમાં ખૂબ જોયા છે. મારી પત્ની તમારી ફેન છે. બહુ બીમાર છે બિચારી. લાંબું નહીં જીવે. પ્લીઝ, તમે બે મિનિટ એને મળવા આવશો? એ સ્ત્રીને મારી બાજુની રૂમમાં જ એડમિટ કરવામાં આવી હતી. એનું લીવર ખતમ થઈ ગયું હતું. મને જોતાં જ એ મલકાઈ ઉઠી. એ એક-બે પળ માટે પોતાનું બધું જ દરદ ભૂલી ગઈ. મને થયું કે જો હું મરતા માણસના ચહેરા પર સ્મિત લાવી શકતો હોઉં તો અત્યાર સુધી જીવનમાં જે કંઈ કર્યુ  છે એ સઘળું સાર્થક છે. જાણે ઓસ્કર એવોર્ડ મળી ગયો હોય એવો સંતોષ મને તે વખતે થયો હતો...'

થોડા દિવસો પછી સંજયને ડિસ્ચાર્જ મળ્યો. તબિયત હજુય નરમ હતી એટલે દિલ્હીનાં ઘરમાં મમ્મી પપ્પાએ ખૂબ સંભાળ લીધી. સંજય કયારેક પપ્પા પર ચિડાઈ જતા. નાનીનાની વાતમાં જીભાજોડી થઈ જતી. પુખ્ત દીકરા અને બાપ વચ્ચે કયારેક ક્ષુલ્લક મુદ્દા પર ગરમાગરમી થઈ જતી હોય છે. એક બાજુ એમની તબિયત નોર્મલ થઈ ને બીજી બાજુ દિલ્હીમાં જ 'ઓફિસ ઓફિસ'નું શૂટિંગ ગોઠવાયું. સંજય મિશ્રા કામે ચડી ગયા. તેઓ આખી ટીમ સાથે જે હોટલમાં ઊતર્યા હતા ત્યાં બિહારી સ્ટાઈલનું ખાણું સરસ મળતું હતું (સંજય મૂળ બિહારીબાબુ છે). એમણે પપ્પાને ફોન કર્યોઃ પપ્પા, તમારા માટે કાર મોકલું છું. મારી હોટેલ પર આવી જાઓ. ડિનર સાથે કરીશું. પપ્પાએ કહૃાું: ના બેટા, આજે મન નથી. સંજયે ખૂબ આગ્રહ કર્યો. પપ્પા ન માન્યા.
'...અને બીજા દિવસે વહેલી સવારે મને ફોન આવ્યોઃ તાત્કાલિક ઘરે આવી જા, અર્જન્ટલી...' સંજય યાદ કરે છે, 'હું ભાગ્યો. હૉલમાં પપ્પાનું બોડી પડયું હતું. ઉપર સફેદ ચાદર ઓઢાડવામાં આવી હતી. લોકો પ્રણામની મુદ્રામાં એક પછી એક આવી રહૃાા હતા,ઘરના લોકો રડી રહૃાા હતા. એ જ દશ્ય, જે મેં સપનામાં જોયું હતું. ફકત મારી બોડીને બદલે પપ્પાની બોડી પડી હતી એટલો જ ફરક હતો. ફિલ્મ એ જ હતી, કાસ્ટિંગ બદલાઈ ગયું હતું. પછી કોઈએ મને સમજાવ્યંુ કે કાસ્ટિંગ બદલાયું તે સારું જ થયું, કેમ કે તને કંઈ થઈ ગયું હોત તો તારો બાપ સહન ન કરી શકત.'
પેલી ચમત્કારી મહિલાની ભવિષ્યવાણી સાચી પડી રહી હતી. ફેબ્રુઆરી ૨૦૦૯માં સંજય મિશ્રા ખરેખર મૃત્યુની ધાર સુધી પહોંચીને પાછા આવ્યા હતા. કદાચ કોઈકે તો મરવાનું જ હતું. દીકરો જીવી ગયો તો બાપ તદ્દન અણધારી રીતે જતો રહૃાો. પિતાએ દીકરાના જીવનના બદલામાં પોતાનાં મોતનો સોદો કરી નાખ્યો!
સંજય ઉમેરે છે, 'કુદરતે સ્ક્રિપ્ટ લખી રાખી હતી તે પ્રમાણે એક પછી એક ઘટના બનતી ગઈ. મારા માટે માગું પણ આવ્યું. ઈશ્વરની ઈચ્છાનો વિરોધ કરવાનો મતલબ ન હતો. મેં હા પાડી. કિરણ સાથે મારાં લગ્ન લેવાયાં. એક વર્ષની અંદર મારી મોટી દીકરી પલનો જન્મ થયો. જો દીકરો જન્મ્યો હોત તો એનું નામ હું આગમન રાખવાનો હતો. પલ પછી નાની દીકરી લમ્હાનો જન્મ થયો. હું હ્ય્દયપૂર્વક માનું છું કે પલમાં મારા પપ્પાના આત્માનો વાસ છે. દીકરીના ખોળિયામાં એ પાછા અમારાં ઘરમાં પધાર્યા છે...'
સંજય મિશ્રાનાં જીવનમાં ચમત્કારી મહિલાની આગાહી પ્રમાણે ઘટનાઓ બનવી કદાચ કેવળ એક યોગાનુયોગ હતો. આ કદાચ કાગને બેસવાનો અને ડાળને પડવાનો ઘાટ હતો, પણ માણસનાં મન-હ્ય્દય આગવાં સમીકરણો અને માન્યતાઓ બનાવી લેતું હોય છે. માણસની શ્રદ્ધાનું ગણિત તર્કથી હંમેશાં પર હોય છે!  
શો-સ્ટોપર

બ્લડી હેલ! એક 'હૈદર'માં શાહિદની મા બની એટલે શું મને જગત-માતા બનાવી દેશો? મને માના રોલ જ આપ્યા કરશો?
- તબ્બુ

Wednesday, August 5, 2015

ટેક ઓફ : એક પત્રકાર જ્યારે સંન્યાસી બને છે...

Sandesh - Ardh Saptahik Purti - 5 Aug 2015

ટેક ઓફ 

"અચાનક મહર્ષિએ આંખો ખોલીને મારી આંખોમાં સીધું જોયું. બસ,એ એક જ દૃષ્ટિએક જ નજરધેટ્સ ઓલ. મને ખાતરી થઈ ગઈ કે એ એક ક્ષણમાં મહર્ષિએ મારું છીછરાપણુંમૂંઝવણોઅશ્રદ્ધા અને ડર માપી લીધાં છે. મને એવી અનુભૂતિ થઈ કે જાણે હું ખુલ્લો પડી ગયો છુંખાલી થઈ ગયો છુંસાફ થઈ ગયો છું અને મારી પીડાઓ દૂર થઈ ગઈ છે."

દેશને આઝાદી મળવાને હજુ બે વર્ષની વાર હતી તે વખતની વાત છે. પત્રકાર તરીકે કરિયર બનાવવા એક તરવરિયો યુવાન દિલ્હીથી પ્રગટ થતાં 'ધ નેશનલ હેરલ્ડ' નામના અંગ્રેજી અખબારમાં ટ્રેઇની તરીકે જોડાય છે. એનું નામ છે, બાલકૃષ્ણ મેનન. કેરળના સંપન્ન પરિવારનું ફરજંદ છે. બધા એને બાલન કહીને બોલાવે છે. લખનૌ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે એ સ્નાતક થયો છે. કોલેજમાં એ ખૂબ એક્ટિવ હતો. નાટકો કરે, ડિબેટ્સમાં જોરશોરથી ભાગ લે, ટેનિસ રમે. દરેક જગ્યાએ એ કાયમ ડિમાન્ડમાં હોય. એની હાજરીથી માહોલ એકદમ જોશીલો બની જાય. નાનપણથી એ આવો જ હતો. બ્રિલિયન્ટ અને બહિર્મુખ.
કોલેજ કેમ્પસમાં ધમાલમસ્તી કરવા ઉપરાંત એ આઝાદીની ચળવળમાં પણ પોતાનાથી જે કંઈ થાય તે કર્યા કરતો. એને લખવું ખૂબ ગમતું એટલે દેશપ્રેમથી છલકતું લખાણ લખી, એનાં ચોપાનિયાં બનાવી લોકોમાં વહેંચે. જાહેરમાં ભાષણો આપે, આંદોલનોમાં આગેવાની લે. કેટલીય વાર એનાં નામનાં વોરંટ નીકળતાં. એક વાર એ પકડાઈ ગયો. કેટલાય મહિના સુધી જેલમાં સબડવું પડયંું. અહીં એકલા એકલા એને વિચારવાનો ખૂબ સમય મળતો. કોઈ પણ વિચારશીલ જુવાન માણસને સામાન્યપણે થતા હોય છે એવા તાત્ત્વિક સવાલો એને પણ થવા માંડયાઃ જિંદગી આખરે શું છે? આ બધી હાયવોયનો કોઈ મતલબ છે ખરો? જીવનમાં કશુંય કાયમી હોય છે ખરું? જો હોય તો એ શું છે? બાલનનો પરિવાર ખાસ્સો ધાર્મિક હતો, પણ એને ભગવાનની કોન્સેપ્ટ ક્યારેય સમજાઈ નહોતી એટલે આ બધા સવાલોના જવાબ એ શ્રદ્ધાના ઇલાકામાં પણ શોધી શકતો નહોતો.
બન્યું એવું કે ગંદકીથી છલકાતી જેલમાં બાલનને કોઈ ગંભીર બીમારી લાગુ પડી ગઈ. એ ટપકી પડે તે પહેલાં એને ઊંચકીને જેલની બહાર ફેંકી દેવામાં આવ્યો. માંડ માંડ એ બચ્યો. એણે કોલેજ પૂરી કરી ને પછી જર્નલિસ્ટ બની ગયો. હજુ તો ઊગીને ઊભો થતો ટ્રેઇની પત્રકાર હતો તોપણ 'ધ નેશનલ હેરલ્ડ'ની એડિટોરિયલ મિટિંગોમાં ખૂબ દલીલબાજી કરતો. વાત આઝાદીની હોય કે બીજા કોઈ સામાજિક મુદ્દાની, એને કશુંક તો ઉગ્રતાપૂર્વક કહેવાનું હોય જ. આ આક્રમકતા એનાં લખાણોમાં પણ ઝળકતી. એ જન્મજાત પૈસાદાર હતો અને પત્રકાર બન્યા પછી વધારે 'પ્રિવિલેજ્ડ' બની ગયો હતો, પણ એનો ઝુકાવ હંમેશાં સામાન્ય માણસ તરફ રહ્યો. એ ક્લબો અને પાર્ટીઓમાં મહાલતો, બૌદ્ધિક ચર્ચાઓ કરતો, પત્રકાર તરીકેની પોતાની ફરજ બજાવતો, પણ એને સતત લાગ્યા કરતું કે પોતાની ભીતર એક પ્રકારનો અસંતોષ અને ન સમજાય એવી બેચેની ઉછરી રહી છે. એને થતું કે આ બધાની ઉપર પણ કશુંક હોવું જોઈએ જે વધારે અર્થપૂર્ણ હોય. તે તત્ત્વ શું હોઈ શકે તે એને સમજાતું નહીં.    
એક વાર બાલનના હાથમાં ફિલોસોફીને લગતું કોઈ પુસ્તક આવી ગયું. એને ખૂબ રસ પડયો. પછી તો સ્વામી વિવેકાનંદ, સ્વામી શિવાનંદ, રામતીર્થ, અરવિંદ, રમણ મહર્ષિ વગેરેનું કેટલુંય સાહિત્ય એણે વાંચી કાઢયું. ભારતીય ઉપરાંત યુરોપિયન ફિલોસોફીમાં પણ ઊંડો ઊતર્યો. સ્વામી શિવાનંદનાં લખાણોએ એેના પર સૌથી વધારે અસર કરી હતી. 'સારા બનો, સારું કરો, સેવા કરો, પ્રેમ કરો, શુદ્ધ બનો, ધ્યાન ધરો, પરમ અનુભૂતિ પામો અને મુક્ત થઈ જાઓ' - આ એમનાં લખાણનો મુખ્ય સૂર રહેતો. એક વાર એ સ્વામી શિવાનંદને મળવા એમના ઋષિકેશસ્થિત આશ્રમે પહોંચી ગયો. બાલન સ્વામીને મળીને જાણવા માગતો હતો કે આધ્યાત્મિકતાનો ખરો અર્થ શો છે? સ્પિરિચ્યુઆલિટીથી લાઇફમાં કંઈ નક્કર ફરક પડે ખરો? બાલનના મનમાં એવુંય હતું કે સ્વામીજી પાસેથી સંતોષકારક જવાબ મળે તો ઠીક છે, ન મળે તો કમ સે કમ આશ્રમની મુલાકાતને લીધે આર્ટિકલ લખવા માટે એકાદ વિષય તો મળી જ જશે.
પહેલી જ મુલાકાતમાં સ્વામી શિવાનંદે બાલનના આધ્યાત્મિકતા વિશેના જે કંઈ પૂર્વગ્રહયુક્ત ખ્યાલો હતા એના ભુક્કા બોલાવી દીધા. સ્વામીજીની ગરિમા, બુદ્ધિચાતુર્ય અને આભા જોઈને બાલન હલી ગયો. સ્વામી પણ આ યુવાનમાં કશુંક ભાળી ગયા. એમણે બાલનને કહ્યું, "ભગવાને તને આટલી બધી બુદ્ધિ આપી છે, એને તું ભગવાન માટે જ કેમ વાપરતો નથી? તું ઇચ્છે તો અહીં આશ્રમમાં રહી શકે છે."
બાલન સ્વામી શિવાનંદના આશ્રમમાં એક મહિનો રહ્યો. એ પાછો દિલ્હી ગયો ત્યારે જાણે કોઈ નવી જ વ્યક્તિ બની ગયો હતો. એક વર્ષ પછી એ પાછો સ્વામી શિવાનંદ પાસે આવ્યો. આ રીતે થોડા અરસા માટે એણે દિલ્હી-ઋષિકેશ વચ્ચે આવ-જા કરતો રહ્યો. એની પત્રકાર તરીકેની કરિયર હજુ અકબંધ હતી. આખરે એણે નિર્ણય લઈ લીધોઃ હું સ્વામી શિવાનંદના આશ્રમમાં જ રહીશ,એમનો શિષ્ય બનીને. ૨૫ ફેબ્રુઆરી, ૧૯૪૯ના રોજ સ્વામી શિવાનંદે એને દીક્ષા આપી. લાડકોડમાં ઉછરેલો, કોલેજમાં મંચ ગજાવતો, આઝાદીની લડાઈમાં ભાગ લેતો, પાર્ટીઓમાં મહાલતો, ટેનિસ રમતો અને આશાસ્પદ તેજતર્રાર પત્રકાર તરીકે ઊભરી રહેલો બાલન વિધિવત્ સંન્યાસી બની ગયો. એને નવું નામ આપવામાં આવ્યું: સ્વામી ચિન્મયાનંદ સરસ્વતી.
Swami Chinmayananda (fifth from the left) with Sivanand Saraswati on the day of his diksha,
25 February 1949 at Rishikesh 
 

સ્વામી ચિન્મયાનંદને સૌથી વિશેષ જ્ઞાાનપ્રાપ્તિમાં રસ હતો એટલે એમના ગુરુએ કહ્યું હતું: "તારે હિન્દુ ગ્રંથોનો અભ્યાસ કરવો પડશે. તું ઉત્તર કાશી જા અને વેદાંતના પ્રકાંડ પંડિત સ્વામી તપોવન પાસેથી જ્ઞાાનપ્રાપ્તિ કર." સ્વામી તપોવન પાસે આ યુવાન સાધુ આઠ વર્ષ રહ્યા. બહુ આકરા ગુરુ હતા એ. એક પાઠ ફરી વાર ક્યારેય રિપીટ ન કરે. ચિન્મયાનંદ ભણતા, ગુરુસેવા કરતા અને ગાયની ગમાણમાં પથ્થરનું ઓશિકું બનાવીને સૂતા. તેઓ સ્વામી તપોવનના શ્રેષ્ઠ શિષ્ય પુરવાર થયા. અભ્યાસ પૂરો થયા પછી સ્વામી તપોવને કહ્યું: "લોકોમાં જ્ઞાાન વહેંચવાની ઉતાવળ ન કર. તું દેશનું ભ્રમણ કર, લોકોની વચ્ચે રહેવાનો અનુભવ લે." આથી ચિન્મયાનંદ દેશભરમાં પગપાળા ફર્યા, ભિક્ષા માગીને આશ્રમો અને મંદિરોમાં રહ્યા. આ અલગ પ્રકારનું શિક્ષણ હતું. તેમને ખાતરી થઈ ગઈ કે ભુલાઈ ગયેલી વેદાંત ફિલસૂફીનો પ્રચાર અને પ્રસાર જ મારું જીવનકર્મ બની રહેશે. તેમણે નિર્ણય લીધો કે હું હિન્દુઓને હિન્દુત્વ તરફ પાછો વાળીશ.
સ્વામી ચિન્મયાનંદનું આખું જીવન પછી આ જ નકશા પ્રમાણે જિવાતું ગયું. કોલેજજીવન શરૂ કરી એનીય પહેલાં લગભગ દાયકા અગાઉ સ્વામી ચિન્મયાનંદને રમણ મહર્ષિના આશ્રમમાં અવિસ્મરણીય અનુભવ થયો હતો. એમના ચિત્તમાં પડેલું અધ્યાત્મનું બીજ કદાચ તે વખતે પહેલી વાર સળવળ્યું હતું. આ પ્રસંગ સ્વામી ચિન્મયાનંદના શબ્દોમાં જ સાંભળવા જેવો છેઃ
"હું રમણ મહર્ષિના આશ્રમે ગયો ત્યારે મને કહેવામાં આવ્યંુ કે તેઓ અંદરમાં હોલમાં બિરાજમાન છે અને કોઈ પણ મુલાકાતી એમને મળી શકે છે. હું અંદર ગયો. મહર્ષિ વ્યાઘ્રચર્મ પહેરીને ખાટ પર બેઠા હતા. એમની આંખો બંધ હતી. હું એમના પગ પાસે બેઠો. અચાનક મહર્ષિએ આંખો ખોલીને મારી આંખોમાં સીધું જોયું. બસ, એ એક જ દૃષ્ટિ, એક જ નજર, ધેટ્સ ઓલ. મને ખાતરી થઈ ગઈ કે એ એક ક્ષણમાં મહર્ષિએ મારું છીછરાપણું, મૂંઝવણો, અશ્રદ્ધા અને ડર માપી લીધાં છે. તે એક પળમાં એક્ઝેક્ટલી શું બન્યું તે હું શબ્દોમાં સમજાવી શકું તેમ નથી, પણ મને એવી અનુભૂતિ થઈ કે જાણે હું ખુલ્લો પડી ગયો છું, ખાલી થઈ ગયો છું,સાફ થઈ ગયો છું અને મારી પીડાઓ દૂર થઈ ગઈ છે. જાણે કે મારી નાસ્તિકતા ઓગળવા માંડી છે, પણ બીજી જ પળે મને શંકાઓ અને પ્રશ્નો ઘેરી વળ્યા. મારું તાર્કિક મન પાછું જાગૃત થઈ ગયું. મેં મારી જાતને કહ્યું: "મૂરખ ન બન. મહર્ષિએ તારા પર સંમોહનવિદ્યા અજમાવી છે, તને મેસ્મેરાઇઝ કરી નાખ્યો છે. નરી બેવકૂફી છે આ, બીજું કંઈ નહીં." હું ઊભો થઈને બહાર નીકળી ગયો, પણ આશ્રમમાં પ્રવેશેલો હું અને દસ મિનિટ પછી આશ્રમમાંથી બહાર નીકળેલો હું જુદા હતા. આ દસ મિનિટમાં મારી અંદર કશુંક બદલાઈ ગયું હતું. પછી તો ઘણું બધું બન્યું. દીક્ષા લઈને ગંગા નદીના કિનારે સ્વામી તપોવન પાસે વેદ-ઉપનિષદ ભણ્યો. એ વર્ષોમાં હું જે કંઈ પામ્યો તે વર્ષો પહેલાં જ રમણ મહર્ષિએ આપી દીધું હતું - મારા પર ફક્ત એક નજર ફેંકીને!"
Swami Chinmayanand with Swami Topvan at Tapovan Kutir in Uttarkashi, 1956

એવું તે શું બનતું હશે કે દુન્યવી સુખસાહ્યબીમાં ઉછરેલો આશાસ્પદ પ્રોફેશનલ બધું તોડી-ફોડી-છોડીને, સંન્યાસી બનીને આખું જીવન ધર્મપ્રચાર અર્થે ખર્ચી નાખે? માણસની આધ્યાત્મિકતા અથવા ઈશ્વરને પામવાની ઝંખના અથવા જીવનને ભૌતિકવાદથી અલગ કરીને જુદા જ સ્તર પર લઈ જવાની ખ્વાહિશ કેવી રીતે ટ્રિગર થઈ જતી હોય છે? શંુ પરિસ્થિતિઓના વહેણમાં કશુંક બહારથી રોપાઈ જતું હોય છે? કે પછી, શું માણસની ખુદની માટીમાં જ બીજ પડેલંુ હોય છે જેને યોગ્ય પોષણ મળતાં ઊગી નીકળે છે?
વર્ષો વીતતાં સ્વામી ચિન્મયાનંદ દેશવિદેશમાં જાણીતા બન્યા. ખાસ કરીને ભગવદ્ગીતા અને ઉપનિષદ વિશેનાં એમનાં પ્રવચનો ખૂબ લોકપ્રિય બન્યાં. ચિન્મય મિશન નામની સંસ્થાના પ્રણેતા પણ એ જ. આજે ચિન્મય મિશનનાં દુનિયાભરમાં સેંકડો સેન્ટર છે જ્યાં વેદાંતના પ્રચાર-પ્રસાર ઉપરાંત શિક્ષણ અને મેડિકલ કેરને લગતાં કામ થાય છે. ત્રીજી ઓગસ્ટ, ૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની ઉંમરે સ્વામી ચિન્મયાનંદનું નિધન થયું. તે પછી મિશનનું કામકાજ એમના શિષ્યોએ ઉપાડી લીધું છે. 
0 0 0