Wednesday, May 21, 2014

ટેક ઓફ : માતૃત્વ અને પિતૃત્વ કદી ભૂતકાળ બનતાં નથી...


Sandesh - Ardh Saptahik Purti - 21 May 2014
ટેક ઓફ 
"સંતાનના મૃત્યુનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. એને માત્ર દબાવી રાખવાનું હોય છે. હૃદયમાં એક એવો ઓરડો છે જેને હું ખોલતી નથી,બંધ રાખવાની કોશિશ છું પણ આ ઓરડો એવો ને એવો રહેશે, હું જીવીશ ત્યાં સુધી."

પંદર-સોળ વર્ષની એક તરુણી. ભાવનગરના સુસંસ્કૃતકલાપ્રેમી અને મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી. યોગિની એનું નામ. એના માટે જીવનનો નકશો એટલે હું ભણીશ-ગણીશ, લગ્ન કરીશ, વ્યવસાય કરીશ, મારું ઘર હશે, વર હશેસંતાનો હશે! સંતાન જન્મે એની બહુ પહેલાં માતૃત્વ અને પિતૃત્વ માણસની કલ્પનામાં જન્મી જતું હોય છે, એક ખયાલ રૂપે, એક સંકલ્પના રૂપે.
લગ્ન થયાં. યોગિની પંડયા હવે યોગિની જયંત ભટ્ટ બન્યાં. પહેલું સંતાન ગર્ભમાં હતું ત્યારે તબિયત ખૂબ નરમ-ગરમ રહ્યા કરે. ઘરમાં ધીમા અવાજે ગંભીર ચર્ચા ચાલતી હોયઃ બાળકને બચાવી શકાશે? ધારો કે બચશે તો પણ એ ખોડખાંપણવાળું નહીં હોય તેની શી ખાતરી? મૃત્યુની છાયા, અદીઠ અનિષ્ટની છાયા સંતાન કૂખમાં હતું ત્યારે જ પહેલી વાર પડી ગઈ હતી...
... અને દીકરો અવતર્યો. બિલકુલ તંદુરસ્ત, નોર્મલ. એ ધન્યતાની અનુભૂતિ હતી - માતા અને પિતા બન્ને માટે. એ સાચા અર્થમાં ઘરદીવડો હતો એટલે નામ પાડવામાં આવ્યુંઃ ચિરાગ. બહુ આનંદી અને લાગણીશીલ છોકરો. સાવ નાનપણથી સંગીત પ્રત્યે રુચિ સપાટી પર આવવા લાગી હતી. યોગિનીબહેન સ્કૂલમાં ટીચર. નવરાત્રિમાં વિદ્યાર્થિનીઓને ગરબાની પ્રેક્ટિસ કરાવે ત્યારે ત્રણ વર્ષનો ચિરાગ કન્યાઓના વર્તુળની વચ્ચે તબલાં પર થાપ મારતો હોય.

"એ વખતે મને પહેલી વાર થયું હતું કે આ છોકરાને તાલ અને લયની કુદરતી સમજ છે," યોગિનીબહેન કહે છે, "ચિરાગ પાંચ વર્ષનો થયો ત્યારે મારો નાનો દીકરો અવતર્યો - કૃતાર્થ. પરિવાર હવે પૂર્ણ થયો હોય એવો સંતોષ જાગ્યો હતો."
મમ્મી-પપ્પાના અટેન્શનમાં ભાગ પડયો એટલે શરૂઆતમાં તો પાંચ વર્ષનો ચિરાગ ચીડાતોપણ પછી એનેય ભઈલો વહાલો લાગવા માંડયો. મમ્મી-પપ્પા દીકરાઓને લઈને ટેનિસ કોર્ટ લઈ જાય. બાપ-દીકરો ટેનિસ રમેનાનો ટગર ટગર જોતો રહે. કૃતાર્થ પાંચ વર્ષનો થયો ને બીમાર પડયો. એને વિલ્સન ડિસીઝ તરીકે ઓળખાતો રોગ લાગુ પડયો હતો, જેમાં લિવરમાં કોપર ધાતુ જમા થવાને કારણે પેટ ફૂલવા માંડે, હાથ-પગ પાતળા થતા જાય, લોહી બનતું અટકી જાય. બીમારી વારસાગત હતી. અસાધ્ય અને જીવલેણ પણ. યોગિનીબહેનને કોઈ કશું કહે નહીંપણ એ કળી ગયાં હતાં કે વાત બહુ ગંભીર છે. પણ હૃદયમાં શ્રદ્ધા હતી. મારા કૃતાર્થને કંઈ નહીં થાય. ભગવાન અવારનવાર ચમત્કાર કરતો હોય છે તો મારા દીકરાને બચાવવા ચમત્કાર નહીં કરે શું?પણ ચમત્કાર ન થયો. એક બપોરે લોહીની ભયાનક ઊલટી થઈ. રાત્રે નાનકડા બાળે દેહ છોડી દીધો. મા-બાપની છાતી ચિરાઈ ગઈ.
"સંતાનના મૃત્યુનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. એને માત્ર દબાવી રાખવાનું હોય છે," યોગિનીબહેનનો અવાજ તૂટે છે, "હૃદયમાં એક એવો ઓરડો છે જેને હું ખોલતી નથી, બંધ રાખું છું... પણ આ ઓરડો જીવીશ ત્યાં સુધી એવો ને એવો જ રહેશે."
દસમા ધોરણમાં આવ્યો ત્યાં સુધીમાં ચિરાગના મનમાં સ્પષ્ટતા થઈ ચૂકી હતી કે મારે સંગીતના ક્ષેત્રમાં જ આગળ વધવું છે. કોલેજમાં કોમર્સનું ભણતાં ભણતાં એણે તબલાંવાદનની વિશેષ તાલીમ લેવા મુંબઈવાસી અનીશ પ્રધાનને પોતાના ગુરુ બનાવીને ટયુશન શરૂ કર્યું. માત્ર બે કલાકના ટયુશન માટે દર મહિને ત્રણથી ચાર વખત ભાવનગરથી મુંબઈ અપ-ડાઉન કરવા માટે કેટલું જબરદસ્ત પેશન જોઈએ!



ડિસેમ્બર ૨૦૧૨. ચિરાગ બીમાર પડયો. આમ તો ન્યુમોનિયા જેવું લાગતું હતુંપણ ખરી બીમારી પકડાય નહીં. એક રાત્રે એને ઊંઘ ન આવે. પથારી પર દીવાલને અઢેલીને એ બેઠો ને એકાએક એના ચહેરાની રેખાઓ ખેંચાવા લાગી. માએ એની આંખો પર હાથ મૂક્યો. એ "મમ્મી..." કહીને ભેટી પડયો ને જીવ ઊડી ગયો. તબીબી ભાષામાં આને રેસ્પાયરેટરી એરેસ્ટ કહે છે. સાદી ભાષામાં કહીએ તો શ્વસનતંત્રનું એકાએક સંકોચાઈ જવું. આ એક દુલર્ભ બીમારી છેજે ચિરાગની કુંડળીમાં લખાઈ હતી. ચિરાગ ન રહ્યો. બસઆટલું જ અંતર હોય છે એક જીવતાં-જાગતાં-ધબકતાં સંતાનના હોવામાં અને ન હોવામાં.
મા-બાપ ફાટી પડયાં. હૃદયમાં એક કમરો મરણિયા થઈને માંડ માંડ બંધ રાખ્યો હતો. હવે એની બાજુમાં બીજો વધારે મોટો કમરો તૈયાર થઈ ગયો જેનાં કમાડ કેમેય કરીને ચસોચસ બંધ થાય તેમ નહોતાં. જીવનમાં જે કંઈ બની રહ્યું હતું તે સઘળું સહનશક્તિના કિનારા ફાડીને બહાર ફેંકાઈ ગયું હતું. મન-બુદ્ધિ-ઈન્દ્રિયોની સમજણશક્તિ ટૂંકી પડતી હતી. એક પછી એક બબ્બે દીકરાઓને ખેંચી લેવા પાછળ શું તર્ક કે ગણતરી કે યોજના હોઈ શકે ઉપરવાળાનીજો ભગવાન નિયતિને બદલી શકતો ન હોય તો એને ભજવાનો મતલબ શો છેકર્મનો સિદ્ધાંત, ભલાઈનો બદલો, ભક્તિનું ફળ... શું છે આ બધું? દુષ્ટ માણસોનો તું વાળ પણ વાંકો કરતો નથી, જ્યારે તેં જ ચીંધેલા રસ્તે ચાલનારાખરાબ કામોથી ડરનારા ભલા માણસોને તું કેમ મરણતોલ ઘા મારતો રહે છે, ભગવાન?
વત્સલ મા ચિત્તભ્રમ જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ. લગભગ આત્મહત્યાની ધાર સુધી પહોંચી ગઈ... પણ હું આ રીતે જીવન ટૂંકાવીશ તો મારા દીકરાઓનો આત્મા કકળશે એ વિચારે અટકી ગઈ. જીવી જવાયું. કોઈ અકળ શક્તિ જિવાડી નાખતી હોય છે માણસને. મનોબળસંસ્કાર તેમજ જીવનસાથીના સતત સધિયારા જેવાં નક્કર પરિબળો પણ ભાગ ભજવતાં હોય છે. પણ મરવાના વાંકે જીવવાનું નહોતુંઆનંદમાં રહેવાનું હતું. "કૃતાર્થ ગયો ત્યારે ચિરાગે અમને સંભાળી લીધાં હતાં અને ચિરાગ ન રહ્યો ત્યારે એના દોસ્તારોએ અમને સાચવી લીધાં," યોગિનીબહેન કહે છે, "છોકરાઓ સતત અમારી સાથે રહે, અમને હસતાં-હસાવતાં રાખે,ચિરાગની જેમ જ લાડ કરેજીદ કરે. અમે સૌ સાથે બહાર જમવા જઈએ. હવે અમે જ એમને કહીએ છીએ કે છોકરાંવ, બસ કરો,અમને એકલાં, અમારા ખાલીપા સાથે જીવતાં શીખવા દો..."



ચિરાગની સ્મૃતિમાં 'ચિરાગ ભટ્ટ ફાઉન્ડેશન ઓફ પર્ફોમિંગ આર્ટ્સ'ની રચના કરવામાં આવી, www.naadsetu.com વેબસાઈટ જણાવે છે કે ચિરાગ એક તબલાંવાદક તરીકે ઓળખાવા માગતો હતો એટલે ઓલ ગુજરાત તબલાં કોમ્પિટિશનની તૈયારી શરૂ થઈ છે. બબ્બે સંતાનોનાં મૃત્યુની વેદનાને સકારાત્મક માર્ગે વાળવાનો આ ઉદ્યમ છે.
તરુણાવસ્થામાં સંતાનનાં સપનાં જોયાં હતાં. આજે સંતાન ખુદ સપનું બની ગયાં છે. માતૃત્વની કલ્પનાથી એક ચક્ર શરૂ થયું હતું, પણ સંતાનના મૃત્યુથી ચક્ર પૂરું થતું નથી, ફક્ત એની ધરી બદલાય છે. સંતાન ભૂતકાળ બની શકે છેપણ માતૃત્વ અને પિતૃત્વ ક્યારેય ભૂતકાળ બની શકતો નથી. એ સતત ધબકતાં રહે છે, જીવનના અંત સુધી.
"બરાબર સમજાય છે કે આ બધાં થૂંકનાં થીંગડાં છે, એ પણ સમજાય છે કે જીવનમાં સરવાળે તો બધું શૂન્ય થઈ ગયું છેપણ..." યોગિનીબહેન સમાપન કરે છે, "... પણ હું ને મારા પતિ એકમેકનું મોઢું જોઈને અમે જીવતાં રહીએ છીએ. સામેનું પાત્ર ભાંગી ન પડે તે માટે સારામાં સારાં અભિનેતા-અભિનેત્રી બનીને હોઠ હસતાં રાખીએ છીએ..."
...પણ જીવનમાં આ બિંદુએ પણ નવો ઉઘાડ થઈ શકે છે. ઉપરવાળાએ બે દીકરા ભલે છીનવી લીધા, પણ ત્રીજી વખત એ સંતાન હોવાનું સંપૂર્ણ સુખ આપવા માગતો હોય એવું ન બને? અને ત્રીજું સંતાન દત્તક પણ હોઈ શકે છે. માણસને જીવવા માટે ટેકણલાકડી જોઈતી હોય છે. જીવનને અર્થપૂર્ણ અને સહ્ય બનાવવા એ વલખાં મારતો હોય છે, પણ આ વલખાંનું પણ આગવું સૌંદર્ય હોઈ શકે છે!
                                             0 0 0 

Wednesday, May 7, 2014

ટેક ઓફ : નમકહલાલી, નમકહરામી અને મિર્ઝા ગાલિબ

Sandesh - Ardh Saptahik Purty - 7 May 2014
ટેક ઓફ 
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.

"રાણી (ક્વીન વિક્ટોરિયા), ચંદ્ર જેનો મુગટ છે, આકાશ જેનું આસન છે, સૂર્ય પણ એની બરોબરી કરી શકતો નથી. એટલે જ તો એ રોજ રાતે ગાયબ થઈ જાય છે એ (એટલે કે રાણી વિક્ટોરિયા) શસ્ત્રકળા અને અન્ય કળાઓમાં પારંગત છે, એ જ્ઞાાનનો ભંડાર છે, ન્યાયના સર્વોચ્ચ શિખર કરતાંય વધારે ઉચ્ચ છે. એની સાજસજ્જા એવી છે કે મહાનમાં મહાન રાજાઓ પણ એની સામે ભિખારી લાગે. એમના તેજને લીધે જ આકાશમાં સૂર્ય ચમકે છે અને પાણીનું બાષ્પીભવન થઈને વાદળો બને છે."
આપણે ત્યાં દેવ-દેવીઓનાં સ્તુતિગાન કરતી વખતે આ પ્રકારની અલંકારિક ભાષા વપરાતી હોય છે. બ્રિટનની રાણી વિક્ટોરિયા માટે આવું ભયંકર ખુશામતભર્યું વર્ણન કોણે કર્યું છે, કલ્પી શકો છો? સર્વકાલીન શ્રેષ્ઠતમ શાયર તરીકે એ અમર થઈ ગયેલા મિર્ઝા ગાલિબે! ગાલિબને કેમ આટલી હદે જી-હજૂરી કરવાની જરૃર પડી? રાણી વિક્ટોરિયા ખુશ થઈને એમને કીમતી ભેટ-સોગાદ આપે એટલે. ગાલિબ પોતાના કાગળમાં ભેટની રીતસર ઉઘરાણી કરે છેઃ
"રાણી વ્યક્તિગત દાન-દક્ષિણાથી જ્ઞાાનીઓની ઝોળી ભરી દે છે. જો મને રાણીના હાથે કોઈ દાન મળશે તો મારું આ સંસારમાં આવવું સાર્થક થશે."
આ તીવ્ર યાચકભાવ આશ્ચર્ય પમાડે તેવો છે, પણ મિર્ઝા ગાલિબ માટે આ બિલકુલ સહજ હતું. રાજાને ઈશ્વરના પ્રતિનિધિ ગણવા એવા તેમના સંસ્કાર હતા. રાજદ્રોહ એટલે દેશદ્રોહ એવું સીધું સમીકરણ હતું. 'દસ્તંબૂ' નામના પુસ્તકમાં, રાધર નાની ચોપડીમાં,ગાલિબની અંગ્રેજભક્તિ પાને પાને છૂટથી વિખરાયેલી છે. આ ચોપડી એમણે ૧૮૫૭ના સ્વાતંત્ર્યવિગ્રહ દરમિયાન લખી હતી.
અંગે્રજોના દમન વિરુદ્ધ થયેલો ૧૮૫૭નો વિગ્રહ ભારતીય ઇતિહાસનું એક બહુ જ મહત્ત્વનું પ્રકરણ છે. ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી એટલે દેશભરના સૈનિકોના ધૂંધવાટનો પાર ન રહ્યો. બરાબર ૧૫૭ વર્ષ પહેલાં ૧૦ મે,૧૮૫૭ના રોજ વિગ્રહ ફાટી નીકળ્યો. સૌથી પહેલાં મેરઠ સળગ્યું ને પછી સૈનિકો દિલ્હી ધસી ગયા. ક્રાંતિકારીઓએ કર્નલ રિપ્લેની હત્યા કરી દિલ્હી કબ્જે કરવાની કોશિશ કરી. અંગ્રેજોએ પ્રતિકાર કર્યો. ભયાનક કત્લેઆમ થઈ.
એ અરસામાં મિર્ઝા ગાલિબ જૂની દિલ્હીની બલ્લીમારાન મહોલ્લામાં રહેતા હતા. તેમણે આ નરસંહાર સગી આંખે જોયો હતો. એમના યારો-બિરાદરોનું કાં તો મોત થઈ ગયું હતું યા તો દિલ્હી છોડીને નાસી ગયા હતા. બાસઠ વર્ષના મિર્ઝાસાહેબ એકલા પોતાના ઘરમાં ત્રસ્ત જીવન જીવી રહ્યા હતા. ૧૧ મે, ૧૮૫૭થી ૩૧ જુલાઈ, ૧૮૫૭ દરમિયાન એમણે એક ડાયરી લખી. તે પછી'દસ્તંબૂ' નામે પુસ્તકરૃપે પ્રગટ થઈ. દસ્તંબૂ શબ્દનો અર્થ છે ફૂલનો ગુચ્છો, બુકે. અબ્દુલ બિસ્મિલ્લાહે જૂની ફારસી ભાષામાં લખાયેલી આ નાનકડી ચોપડીનો આ જ નામે હિન્દીમાં અનુવાદ કર્યો છે. આ જ પુસ્તકમાં રાણી વિક્ટોરિયાને લખેલો પેલો પ્રશસ્તિપત્ર છે. 'દસ્તંબૂ'ના પ્રકાશન માટે ગાલિબ ખૂબ ઘાંઘાં થયા હતા કે જેથી ઝટ એ અંગ્રેજ સાહેબો તે વાંચે, ઝટ પ્રસન્ન થાય ને ફટાફટ પોતાને આર્થિક મદદની ભિક્ષા આપે. ચોપડીના પ્રકાશનના સંદર્ભમાં એમણે મુનશી હરગોપાલ 'તફ્ત' નામની વ્યક્તિને જે પત્રો લખ્યા હતા તે પણ અનુવાદ કર્યા વિના હિન્દી સંસ્કરણમાં સમાવી લેવામાં આવ્યા છે.

અંગ્રેજો પ્રત્યેની વફાદારીના મામલે ગાલિબના મનમાં કોઈ ગૂંચવણ નહોતી. તેઓ લખે છેઃ
"હું આ ચોપડીમાં જે રીતે શબ્દોનાં મોતી વિખેરી રહ્યો છું તેના પરથી વાચકો અનુમાન લગાવી શકશે કે હું નાનપણથી જ અંગ્રેજોનું નમક ખાતો આવ્યો છું. બીજા શબ્દોમાં કહું તો જ્યારથી મારા મોંમાં દાંત આવ્યા છે ત્યારથી આજ સુધી આ વિશ્વવિજેતાઓએ મારા મોંમાં રોટી મૂકી છે. ખુદા જેને શાસન પ્રદાન કરે છે એને ધરતી પર વિજય મેળવાની શક્તિ પણ ચોક્કસપણે આપે છે, તેથી જે માણસ શાસક વિરુદ્ધ કામ કરે છે એના માથે જૂતાં ફટકારવાં જોઈએ. એ એને જ લાયક છે. પ્રજા થઈને રાજા સામે લડવાનો મતલબ છે, ખુદનો નાશ કરવો."
મજા જુઓ. મિર્ઝા ગાલિબની ખુદની પત્ની ગુપચુપ ક્રાંતિકારીઓને મદદ કરતી હતી! ગાલિબની નજરમાં તો મહાન અંગ્રેજોની સામે પડવાની હિંમત કરનારા ભારતીય ક્રાંતિકારીઓ હલકા જ હોવાના. તેઓ લખે છેઃ
"૧૧ મે, ૧૮૫૭નો દિવસ હતો. અચાનક દિલ્હીની ધરતી ધણધણી ઊઠી. આ કંઈ ધરતીકંપ નહોતો, બલકે મેરઠના બાગી અને નમકહરામ સૈનિકો હતા, જે આ કમનસીબ દિવસે અંગ્રેજોના લોહીથી પોતાની પ્યાસ બુઝાવવા દિલ્હી શહેર પર ચડી આવ્યા હતા. આખા દેશમાં નમકહરામ જમીનદારો અને સિપાઈઓએ એકબીજા સાથે સાઠગાંઠ કરી લીધી છે, જેથી પૂરી તાકાતથી સરકાર વિરુદ્ધ મોરચો લઈ જઈ શકાય. જ્યાં સુધી લોહીની નદીઓ નહીં વહે ત્યાં સુધી તેમને સંતોષ નહીં થાય. હિન્દુસ્તાનમાં હવે ઘાસનાં તણખલાં જેટલી શાંતિની કલ્પના પણ અસંભવ છે. કેટલાંક સિપાઈઓએ બંદૂક અને ગોળા-બારુદ પચાવી પાડીને ખુદને તાકાતવાન બનાવી દીધા છે. જે કૌશલ્ય તેઓ અંગ્રેજો પાસેથી શીખ્યા હતા એ જ કૌશલ્ય હવે તેઓ અંગ્રેજો પર અજમાવી રહ્યા છે. હૃદય કંઈ પથ્થર કે લોઢું નથી, એ જરૃર તરફડશે. આંખ કંઈ દીવાલમાં પડેલી તિરાડ નથી કે આ દૃશ્ય જોયા પછી પણ રડે નહીં. અંગ્રેજ સાહેબોની હત્યા પર આંસુ વહેવાં જ જોઈએ. હિન્દુસ્તાનની બરબાદી જોઈને રડવું જ જોઈએ."
અંગ્રજોની સામે પડનારા જાંબાઝ ભારતીય સ્વાતંત્ર્યસેનાનીઓ મિર્ઝા ગાબિલની નજરમાં નમકહરામ હતા! અંગ્રેજો અને ભારતીયોની સરખામણી તેઓ કેવી રીતે કરે છે?
"એક એ આદમી જે નામાંકિત અને સુવિખ્યાત હતો (મતલબ કે અંગ્રેજ). એની તમામ પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ છે. બીજો એ,જેની પાસે નહોતી ઇજ્જત કે નહોતી દોલત (મતલબ કે હિન્દુસ્તાની), જે હવે (અંગ્રેજોનો વિરોધ કરીને) પછેડી કરતાં પગ વધારે લાંબા કરી રહ્યો છે."
ખૂંચે એવી તુલના છે આ! બળવાખોરોએ દિલ્હીને શી રીતે કબ્જે કર્યું અને તેને લીધે દિલ્હીવાસીઓએ શી હાલાકી ભોગવવી પડી તેનું ઝીણવટભર્યું વર્ણન ગાલિબે કર્યું છેઃ
"બે-ત્રણ દિવસ સુધી કાશ્મીરી ગેટથી લઈને લાલ કિલ્લાના ચોક સુધી ઘમસાણ યુદ્ધ ચાલતું રહ્યું. દિલ્હી ગેટ, તુર્કમાન ગેટ અને કાશ્મીરી ગેટ ભારતીય સેનાના કબ્જામાં હતા. મારા જેવા માણસનું શોકાતુર ઘર કાશ્મીરી ગેટ અને દિલ્હી ગેટની વચ્ચોવચ્ચ પડે છે. આ બન્ને દરવાજા મારા ઘરથી એકસમાન અંતરે છે, પણ મારી ગલીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. છતાંય થોડા થોડા સમયે હિંમત કરીને દરવાજા ખોલવામાં આવતા અને અમે ખાવા-પીવાનો સામાન લઈ આવતા."
Mazar of Mirza Ghalib, Nizammuddin, Delhi

આ બધી ધમાલમાં ગાલિબને એ વાતની પણ ચિંતા છે કે મારો કાગળ રાણીને લંડનમાં મળ્યો હશે કે નહીં! એક દિવસ ગાલિબને પહોંચનો પત્ર મળે છે. કોઈ મિસ્ટર રેજિંગ્ટને ગાલિબને આશ્વાસન આપતાં લખ્યું હતું કે તમારો પત્ર રાણી સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે અને સાથે ભલામણ પણ કરવામાં આવી છે કે તમને અંગ્રેજ સરકાર તરફથી આજીવિકાનું સાધન (ટૂંકમાં, પેન્શન) આપવામાં આવે. ગાલિબ મિયાં રાજીરાજી.
ગાલિબ માટે આ આત્મસન્માનનો મુદ્દો હતો જ નહીં. રાજ્યાશ્રય યા તો સરકારી મદદના ટુકડા પર જીવવું એમના માટે સ્વીકૃત જીવનશૈલી હતી. ગાબિલની ડાયરી આત્મદયા અને લાચારીના ભાવથી લથપથ છે. એમણે પોતાનાં પારિવારિક જીવન, પાગલ ભાઈનું મોત અને દોસ્તો વિશે પણ હૃદયપૂર્વક લખ્યું છે. ગાલિબ વિલાયતી શરાબ વગર ટળવળતા હોય ત્યારે મહેશદાસ નામનો ઉદાર મિત્ર ઊંચો માંહ્યલો દેશી દારૃ પીવડાવતા. ગાલિબ લખે છેઃ
"મહેશદાસ દેશી દારૃ મોકલાવીને મારા હૃદયની આગ ઠંડી કરતો ન હોત તો હું જીવતો રહી શક્યો ન હોત. હું આ શરાબની તરસમાં જ મૃત્યુલોક સિધાવી જાત. ઘણાં સમયથી ઇચ્છા હતી કે મને અસલી શરાબ મળે, મારી મનોકામના પૂરી થઈ જાય અને એક-બે પ્યાલા મારા હોઠ સુધી પહોંચે. જ્ઞાાની મહેશદાસે મને એ અમૃત ઉપલબ્ધ કરાવી આપ્યું, જે સિકંદરે પોતાના માટે શોધ્યું હતું."
દરિદ્ર ગાલિબનું પરાવલંબીપણું આ વાતમાંથીય ઊપસે છે. ખેર, મહાન સર્જકના વ્યક્તિત્વનાં તમામ પાસાં મહાન નથી હોતાં, હોઈ શકે પણ નહીં, હોવા જરૃરી પણ નથી. આપણી નિસ્બત એમના સર્જકકર્મ સાથે હોવી જોઈએ. મિર્ઝા ગાલિબ અંગ્રેજોના આંધળા ભક્ત બનીને ભયંકર ચાપલૂસી કરતા એ હકીકત એક વિગત પૂરતી ઠીક છે, પણ આપણે તો એમની સમૃદ્ધ શેરો-શાયરી પર જ ફોકસ કરવાનું.
0 0 0 

Thursday, May 1, 2014

ટેક ઓફ : મૃત્યુ વખતે સાવ એકાકી ન રહેવા માટે સદભાગ્ય જોઈએ

Sandesh - Ardh Saptahik Purty - 1 May 2014


ટેક ઓફ 
નોબલ પારિતોષિક વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝે લેટિન અમેરિકન સાહિત્યને વિશ્વના નકશા પર મૂકવાનું મોટું કામ કર્યું છે. એમણે મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ શી રીતે શોધી કાઢયું હતું?

"...ને મેં મારી જાતને વર્ષોથી નહીં, પણ દાયકાઓથી માપવાનું શરૃ કર્યું. પચાસનો દાયકો નિર્ણાયક પુરવાર થયો, કેમ કે મને ભાન થવા માંડયું કે મોટાભાગના લોકો મારા કરતાં ઉંમરમાં નાના છે. સાઠથી સિત્તેર વર્ષનો ગાળો સૌથી ઇન્ટેન્સ રહ્યો, કેમ કે મને સતત એ વાતની સભાનતા રહેતી કે મારી પાસે હવે ભૂલો કરવાનો સમય બચ્યો નથી. સિત્તેરથી એંસીનો દાયકો સૌથી ભયજનક હતો. જીવનનો આ અંતિમ દાયકો બની રહેશે તેવી સંભાવના સતત હવામાં ઝળુંબ્યા કરતી. છતાંય મારી જિંદગીના નવમા દાયકાના પહેલાં દિવસે હું જીવતો હતો. હવે મને બહુ આસાનીથી રડવું આવી જાય છે. કંઈ પણ કોમળ કે ભલમનસાઈભર્યું જોઉં યા તો અનુભવું તો હવે તરત મારી છાતીમાં ડૂમો ભરાઈ આવે છે."
જીવનનું આ સત્ય 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નામની લઘુનવલના નાયકનું છે. આ અનામી નાયક એક લેખક છે. પોતાના નેવુંમા બર્થડે પર એ ખુદને એક વર્જિન વેશ્યાની ભેટ આપે છે. એવી વેશ્યા જે હજુ માંડ તરુણી છે, જેની જુવાની પણ હજુ પૂરી ફૂટી નથી. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ' નોબેલ પ્રાઇઝ વિનર સાઉથ અમેરિકન લેખક ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝની અંતિમ કૃતિ હતી. ૧૭ એપ્રિલે ૮૭ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. પોતાના અંતિમ નાયકની માફક માર્ક્વેઝના નસીબમાં પણ દીર્ઘ જીવન લખાયું હતું.  
માર્ક્વેઝ સ્પેનિશમાં લખતા. આ નોબેલ પ્રાઇઝ વિજેતા કોલંબિયન લેખક, પત્રકાર, ફિલ્મ રિવ્યૂઅર અને ફિલ્મરાઇટર પણ રહી ચૂક્યા છે. આજે સલમાન રશદી સહિત દુનિયાભરના કેટલાય લેખકોનાં લખાણમાં મેજિકલ રિઅલિઝમનું તત્ત્વ જોવા મળે છે. આ શૈલી માર્ક્વેઝે પોતાની સૌથી વિખ્યાત નવલકથા 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' સૌથી પહેલી વાર ઇન્ટ્રોડયુસ કરી હતી.
તેઓ અઢાર-વીસ વર્ષની ઉંમરથી આ નવલકથા લખવા માગતા હતા. એક એવી નવલકથા જેના કેન્દ્રમાં પોતે જ્યાં ઉછર્યા હતા તે નાના-નાનીનું ઘર હોય, જેમાં બાળપણનાં વર્ષોની વાતો હોય. આ નવલકથામાં માર્ક્વેઝે મકોન્ડો નામનું કાલ્પનિક નગર કલ્પ્યું છે. એમાં બ્યુએન્ડિયા પરિવાર રહે છે. આ પરિવારની ચાર પેઢીઓમાં શું શું બને છે? કેવા કેવા ચઢાવ-ઉતાર આવે છે?નવલકથાનું આ વિષયવસ્તુ છે. માર્ક્વેઝ વર્ષો સુધી કોશિશ કરતા રહ્યા, પણ એમનાથી આ નવલકથાનું સ્ટ્રક્ચર અથવા તો ફોર્મેટ પકડાતું નહોતું. શું લખવું છે તે ખબર હતી, પણ કેવી રીતે લખવું, કયા સ્વરૃપમાં લખવું છે તે સ્પષ્ટ થઈ શકતું નહોતું. એ સ્પષ્ટતા વર્ષો પછી થઈ. તદ્દન અણધારી રીતે.
માક્ર્વેઝ એક વાર વીકએન્ડ માણવા બહારગામ જઈ રહ્યા હતા. સાથે પત્ની અને બન્ને દીકરા હતાં. માર્ક્વેઝને ડ્રાઇવિંગ કરવું ખૂબ ગમે. તે દિવસે લોન્ગ ડ્રાઇવ દરમિયાન તેઓ ખૂબ મૂડમાં હતા. અચાનક કોણ જાણે ક્યાંથી તેમના દિમાગમાં નવલકથાનું પહેલું વાક્ય સ્ફુર્યું. તે એક વાક્યની પાછળ આખી નવલકથા છુપાયેલી હતી. આ વાક્ય જાણે સિક્રેટ ફોર્મ્યુલા જેવું હતું. માર્ક્વેઝે બ્રેક મારી યુ-ટર્ન લીધો અને કાર પાછી મેક્સિકો તરફ મારી મૂકી. વીકએન્ડ કેન્સલ! ઘરે આવતાંવેંત માર્ક્વેઝ ટાઇપરાઇટર પર લખવા બેસી ગયા. તેર મહિનાને અંતે 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'ની પ્રત તૈયાર હતી.
નાટયાત્મક લાગતી આ ઘટનાનાં ઘણાં વર્ઝન છે. એક વર્ઝન એવું છે કે માર્ક્વેઝના મનમાં નવલકથાનું પહેલું વાક્ય નહીં, પણ નાનાજી નાના છોકરાને કિસ્સો સંભળાવી રહ્યા હોય તેવી ઇમેજ ઉપસી હતી. બીજું વર્ઝન એવું છે કે માર્ક્વેઝ એ જ ઘડીએ યુ-ટર્ન લઈને પાછા ઘરે નહોતા આવી ગયા. પ્લાનિંગ પ્રમાણે તેઓ સપરિવાર જે જગ્યાએ જવાનું હતું ત્યાં જરૃર ગયા હતા, છુટ્ટી માણી હતી, પણ આ બે દિવસ દરમિયાન એમણે પુષ્કળ નોંધ તૈયાર કરી નાખી હતી. પછી ઘરે ગયા બાદ તેમણે આ નોંધના આધારે નવલકથા લખવાનું શરૃ કર્યું હતું. બધાં વર્ઝનમાં બે દિવસની રજા દરમિયાન આઇડિયા સુઝ્યો તે વાત કોમન છે.

અલગ અલગ વર્ઝન બહાર આવવાનું કારણ માર્ક્વેઝે ખુદ એક ઇન્ટરવ્યૂમાં કહેલી વાત છેઃ "સાચું કહું તો 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ'નવલકથા લખવામાં મને સૌથી વધારે આકરું જો કંઈ લાગ્યું હોય તો તે હતી શરૃઆત! પહેલં વાક્ય, પહેલો ફકરો લખતા તો મોઢે ફીણ આવી ગયાં હતાં. સખત ગભરાટ થતો હતો. મનમાં થતું હતું કે આટલું તો લખાયું, પણ હવે આગળ શું લખવાનું?"
ખેર, વીજળીની જેમ ત્રાટકેલી પેલી 'યુરેકા મોમેન્ટ' શું હતી? માર્ક્વેઝને ઓચિંતા સમજાયું કે મારે મારા બાળપણ વિશે નવલકથા નથી લખવી, મારે મારા બાળપણની 'સ્મૃતિ' વિશે નવલકથા લખવી છે. બાળપણમાં જે કંઈ થયું તે યથાતથ મૂકી દેવાનું તેમ નહીં, બલકે તે ઘટનાઓને વર્તમાનના પ્રિઝમમાંથી જોવાની. મારે રિયાલિટી વિશે નહીં, પણ 'રિપ્રેઝન્ટેશન ઓફ રિયાલિટી' વિશે લખવું છે. મારે કોઈ ચોક્કસ ગામ વિશે નહીં, પણ દુનિયા તે ગામને કેવા દૃષ્ટિકોણથી જુએ છે તે વિશે લખવું જોઈએ. ગામને બાકીની દુનિયાથી અલગ કરીને જોવાને બદલે આખી દુનિયાને મારા ઘર અને ગામ સુધી લાવવી જોઈએ. આ રીતે સીમાડા ખૂલી જતા હતા. એકસાથે અનેક સ્તરો પર કામ થઈ થઈ શકતું હતું. આ સ્થિતિએ માર્ક્વેઝને આઝાદીનો અહેસાસ કરાવ્યો.


જેવી દિમાગની બારીઓ ખૂલી, નવલકથાનું સ્ટ્રક્ચર પકડાયું અને લખવાનું શરૃ થયું કે માર્ક્વેઝને સમજાવા લાગ્યું હતું કે આ નવલકથા ઉત્તમ બનવાની. એમની શૈલી પછી 'મેજિકલ રિઅલિઝમ' તરીકે મશહૂર બની. મેજિકલ રિઅલિઝમમાં સાવ સાદી, દુન્યવી બાબતો અને જાદુઈ ઘટનાઓ સાથે સાથે બનતી રહે, બન્નેની એકબીજામાં સેળભેળ થતી રહે. પરિણામે વાચક સામે અસાધારણ અને અદ્ભુત અસર ઊભી થાય.
જેવા માર્ક્વેઝ કમ્ફર્ટ ઝોનમાં આવ્યા કે તેમની કલમ યા તો ટાઇપરાઇટર ફટાફટ ચાલવા માંડયાં. રોજ માંડ એક ફકરો લખી શકતો માણસ પાનાંનાં પાનાં ભરવા લાગ્યો. પહેલાં અઠવાડિયા દરમિયાન જ એમણે ખૂબ બધું લખી નાખ્યું હતું. એમને અંદાજ આવી ગયો કે મારો પહેલો ડ્રાફ્ટ આઠસો પાનાંનો થશે, જેમાંથી કાપીકૂપીને હું ચારસો પાનાંનો ફાઇનલ ડ્રાફ્ટ બનાવી શકીશ. ચારસો પાનાંમાં બ્યુએન્ડિયા પરિવારની ચાર પેઢીની વાતો આવી જાય. ઓગણીસમી સદીના કોઈ બિંદુથી વાર્તાની શરૃઆત થાય અને સો વર્ષના સમયગાળામાં ધીમે ધીમે આખી નવલકથા ફેલાય. બ્યુએન્ડિયા પરિવારની વાતોની સાથે સાથે કોલંબિયાનો સો વર્ષનો ઇતિહાસ પણ એમાં વણાતો જાય.
માર્ક્વેઝને તરત સમજાઈ ગયું કે આ નવલકથા લખવાનું કામ સંપૂર્ણ એકાગ્રતા માગી લે તેવું છે. તે સમયે તેઓ એક એડવર્ટાઇઝિંગ એજન્સી સાથે સંકળાયેલા હતા. આ સિવાય બીજું એક પુસ્તક લખવાનું કામ પણ તેમને મળ્યું હતું. આ બન્ને કામમાંથી નિશ્ચિત પૈસા મળતા હતા, જેનાથી ઘર ચાલતું હતું. માર્ક્વેઝે હાથમાં લીધેલી નવલકથાને સંપૂર્ણ ન્યાય આપવા માટે એક મોટો નિર્ણય લીધો. તેમણે એડ એજન્સી અને પેલું પુસ્તક બન્ને છોડી દીધાં. બીવી-બચ્ચાં લઈને બેઠેલા માણસ માટે આ મોટો જુગાર હતો.


પણ આ જુગાર બરાબરનો ફળ્યો. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ તેમને વિશ્વસ્તરની ખ્યાતિ અપાવી. આ નવલકથા માર્ક્વેઝે ૩૮ વર્ષની ઉંમરે લખવાની શરૃ કરી હતી. નવલકથા પ્રકાશિત થઈ ત્યારે ૪૦ વર્ષના હતા. ત્રણ વર્ષ પછી તેનો અંગ્રેજી અનુવાદ થયો. પછી તો દુનિયાભરની કુલ ૩૭ ભાષાઓમાં તે અનુદિત થઈ. આજ સુધીમાં તેની ત્રણ કરોડ નકલો વેચાઈ ચૂકી છે. 'વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટયુડ' નવલકથાએ માર્ક્વેઝને સુપરસ્ટાર રાઇટર બનાવી દીધા. એમની 'લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા' પણ ખૂબ વંચાઈ અને વખણાઈ છે. ૧૯૮૨માં માર્ક્વેઝને એમની નવલકથાઓ અને નવલિકાઓ માટે સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું. તે વખતે તેમની ઉંમર પંચાવન વર્ષ હતી. પોતાના જીવનકાળ દરમિયાન તેમણે છ નવલકથાઓ, ચાર લઘુનવલો, પાંચ નવલિકાસંગ્રહો અને સાત નોન-ફિક્શનનાં પુસ્તકો લખ્યાં છે. લેટિન અમેરિકન સાહિત્ય હિપ-એન્ડ-હેપનિંગ બનાવવામાં માર્ક્વેઝનો મોટો ફાળો છે. જેરાલ્ડ માર્ટિન નામના બ્રિટિશ લેખકે 'ગેબ્રિઅલ ગાર્શિયા માર્ક્વેઝ' નામની અફલાતૂન અને દળદાર જીવનકથા લખી છે. માર્ક્વેઝ અને તેમના સાહિત્યમાં રસ પડતો હોય તો આ પુસ્તક વાંચી જવા જેવું છે.
ધેર ઇઝ નો ગ્રેટર મિસફોર્ચ્યુન ધેન ડાઇંગ અલોન. 'મેમરીઝ ઓફ માય મેલેન્કલી વ્હોર્સ'નો પેલો વયોવૃદ્ધ નાયક કહે છે કે મરતી વખતે તમે સાવ એકાકી હો તો એના કરતાં મોટું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. જીવનના અંતિમ તબક્કે માર્ક્વેઝ પાસે સર્જક સંતોષ,ચાહકોની સદ્ભાવના અને પરિવાર આ બધું જ હતું. માર્ક્વેઝ એ રીતે નસીબદાર હતા.