Wednesday, December 24, 2014

ટેક ઓફ : કોઈનાં લાડકવાયાં

Sandesh - Ardh Saptahik Purti - 24 December 2014
ટેક ઓફ 
સંતાન નાનપણમાં મૃત્યુ પામ્યું હોય, એની સાથે પ્રમાણમાં ખૂબ ઓછો સમય ગાળ્યો હોય છતાંય એના પ્રત્યેનો પ્રેમ ગજબની તીવ્રતા શી રીતે ધારણ કરી લેતો હશે? 


પેશાવરની ઘટનાએ એટલો મોટો ઘા કર્યો છે આપણાં સૌનાં દિલ પર કે જખમ પર રૂઝ આવતા બહુ વાર લાગવાની છે. એક પછી એક ૧૩૨ માસૂમ જીવ રહેંસાઈ રહ્યા હશે તે બિહામણી ક્ષણોનું સત્ય કેવી રીતે પકડી શકાય? પેશાવરની શાળામાં જે બન્યું તે માનવસર્જિત હતું, પણ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના રોજ ધરતીકંપના તાંડવને લીધે ગુજરાતની કેટલીક શાળાઓમાં જે બનેલું તે પ્રકૃતિનું પાપ હતું. પ્રજાસત્તાક દિને સ્કૂલમાં તિરંગો ઝંડો લહેરાવવા ગયેલાં કેટલાંય માસૂમ બાળકો ક્યારેય પાછાં આવ્યાં નહીં. વાત પેશાવરની હોય કે અંજારની, બે કાંઠે વહેતી વેદનાના ઘૂઘવાટમાં તર્ક થીજી જાય ત્યારે ક્યારેક કવિતાની કૂંપળ જન્મી જતી હોય છે. કૃષ્ણ દવેએ ગુજરાતના ધરતીકંપમાં જીવ ખોનાર સ્કૂલી બચ્ચાંઓ માટે 'વંદે માતરમ્' નામનું અત્યંત હૃદયસ્પર્શી કાવ્ય લખ્યું હતું. તેના કેટલાક અંશોને પાકિસ્તાની હત્યાકાંડના સંદર્ભમાં પણ જોઈ શકાય છે. કવિ લખે છે -
હમણાં આવું છું એમ કહીને ગયેલી આ પગલીના વાયદાનું શું?
અધખુલ્લી પાંપણ પર છાપી નાખેલ તારા ખરબચડા કાયદાનું શું?
                 ઝાકળને જોખવામાં ફૂલની જગ્યાએ કાંઈ પથ્થરના હોય નહીં તોલ!
મનગમતા તડકાને પહેરીને છોડ બધા કેવા થયેલા તૈયાર!
કોની એ કાળમીંઢ આંખોમાં ખટક્યો આ લીલપનો આખો તહેવાર?
                   ખેતરની ચીસ એ તો ઢેફું થઈ જાય આંખ સામે વઢાઈ ગયો મોલ!
આંગળીએ વળગેલી ધૂળ કહે અહીંયાંથી મુઠ્ઠી ભરીને લઈ જાવને,
સન્નાટો તોડીને કૂંપળ ફૂટે ને અહીં એવું એકાદ ગીત ગાવને!
                   શોધી આપોને હજુ હમણાં ખોવાયા મારા માટીમાં રમવાના કોલ!
કહે છે ને કે નાનકડી કોફિનનો ભાર સૌથી વધારે લાગે છે. મૃત સંતાનના શબનો બોજ બાપ કેમેય કરીને જીરવી શકતો નથી. નિકોલસ ગોર્ડન નામના કવિનો પ્રલાપ જુઓઃ
લાગે છે, અનહદ પીડાને કારણે મારું હૃદય ધડકતું બંધ થઈ જશે.
તું મને એટલો બધો યાદ આવે છે, મારા બચ્ચા...
કે તારી સ્મૃતિનો અંધકાર મારો જીવ ખેંચી લેશે.
મને ખબર છે કે તું હવે ક્યારેય પાછો નહીં આવે,
પણ તોય તારા શરીરને અળગું કરી શકતો નથી.
તારા પર વહાવેલું સઘળું વાત્સલ્ય વ્યર્થ ગયું,
ઓહ, મારું આખું જીવન વેડફાયું.

તારાથી દૂર થવા માગું છું, પણ કેવી રીતે થાઉં?
મારા વહાલા બચ્ચા, ફરી મારી પાસે આવ.
તું જ મારો સૂરજ ને તું જ મારી વર્ષા,
મારું સુખ તું, મારું સર્વસ્વ તું,

મારી શક્તિનો સ્રોત તું,
લાગે છે કે આ વેદના મારો જીવ લઈ લેશે.
મારા વહાલા બચ્ચા, ફરી મારી પાસે ક્યારે આવશે?
સંતાન નાનપણમાં મૃત્યુ પામ્યું હોય, એની સાથે પ્રમાણમાં ખૂબ ઓછો સમય ગાળ્યો હોય છતાંય એના પ્રત્યેનો પ્રેમ ગજબની તીવ્રતા શી રીતે ધારણ કરી લેતો હશે? મેરી યાર્નેલ પોતાના મૃત્યુ પામેલા સંતાનને ઉદ્દેશીને કહે છે -
જિંદગી હજુ તો માંડ શરૂ થઈ હતી,
હજુ તો જગતમાં સ્થાન બનાવવાનું હતું બાકી,
કેટલું બધું કરી શક્યો હોત તું,
પણ તને સમય જ ન મળ્યો,
પણ બેટા, તેં ભરપૂર પ્રેમ જરૂર મેળવ્યો.

ન તેં દુનિયા જોઈ, ન પ્રકૃતિની સુંદરતા,
હજુ ઘરની બહાર પગલાં જ ક્યાં પાડયાં હતાં તેં?
ન તેં ગીત ગાયાં, ન મન મૂકીને નાચ્યો,
પણ બેટા, તેં ભરપૂર પ્રેમ જરૂર મેળવ્યો.

દીકરા, જે વધુ જીવે છે એણે વધુ સહેવું પડે છે,

એ રીતે તું ભાગ્યશાળી ખરો.
ન તેં નફરત જોઈ, ન આંસુ, ન ક્રોધ જોયો, ન વિશ્વાસઘાત,
તારી નાનકડી જિંદગીમાં તેં જોયો પ્રેમ, પ્રેમ અને કેવળ પ્રેમ...
સંતાન વહેલું જતું રહ્યું એટલે જીવનના કારમા સંઘાતોથી બચી ગયું એમ વિચારતી મા કે બાપ જરૂર જાણતાં હોય છે કે આ તો પોતાની જાતને છળવાની વાત થઈ, પણ સત્ય સ્વીકારવું પડે છે. ગમે તેમ કરીને જીરવવું પડે છે, જીવવું પડે છે. સ્વજનો સાંત્વન આપવાની કોશિશ કરે છે એમ કહીને કે, સંતાન ભગવાન પાસેથી અમુક જ વર્ષો લઈને આવ્યું હતું, એ વર્ષો પૂરાં થઈ ગયાં એટલે આપણને છોડીને પાછું ભગવાન પાસે જતું રહ્યું. માણસ માત્ર આખરે તો પ્રભુનું જ સંતાન છેને! એક બહુ સુંદર અંગ્રેજી કાવ્ય છે જેનાં એકાધિક વર્ઝન બન્યાં છે. તેમાં ઈશ્વર અને મનુષ્ય વચ્ચે સામસામા સંવાદ થાય છે. સાંભળોઃ



પ્રભુએ કહ્યું, લે, લઈ જા મારું બાળક.
પણ થોડા સમય માટે જ હં,
કાયમ માટે નહીં.
તારી પાસે રહે એટલી વાર ખૂબ વહાલ કરજે એને.
એ વિદાય લે ત્યારે શોકથી રડી લેજે.
એ તારી પાસે છ-સાત વર્ષ રહે
કે વીસ-બાવીસ વર્ષ પણ રહે.
પણ જ્યાં સુધી એને પાછું ન બોલાવું હું,
એની હૃદયપૂર્વક સંભાળ રાખીશ તું?
એના હોવા માત્રથી પુલકિત થઈ જઈશ તું.
ભલે રહે એ થોડો સમય
એની યાદોથી સમૃદ્ધ બની જઈશ તું.
આ સ્મૃતિ જ પછી બનશે તારા દર્દની દવા.
એ કાયમ તારી પાસે જ રહેશે એવું કોઈ વચન આપતો નથી તને.
પણ ત્યાં નીચે મૃત્યુલોકમાં એણે કેટલાક પાઠ છે શીખવાના.
ઇચ્છું છું હું કે એ તારી પાસે રહીને શીખે.
મેં ખૂંદી નાખ્યો આખો સંસાર.
જોયું, કોણ એને સારામાં સારી રીતે
શીખવી શકે તેમ છે જિંદગીના પાઠ?
અને મેં પસંદગીનો કળશ ઢોળ્યો તારા પર.
તો શું તું એના પર વરસાવી શકીશ પ્રેમ લગાતાર?
એ વિદાય લેશે ત્યારે 'મારો પ્રેમ વેડફાઈ ગયો'
એવું તો નહીં કહેને?
હું એને મારી પાસે પાછું બોલાવી લઈશ ત્યારે
મને ધિક્કારશે તો નહીંને?
તારી સઘળી શરતો મને મંજૂર છે, પ્રભુ!
આ બાળક એટલું બધું સુખ આપવાનું છે કે
સઘળી પીડાનું જોખમ ઉઠાવવા તૈયાર છું હું...
હે પ્રભુ! એનું જીવ કરતાંય વધારે જતન કરીશ હું.
ભીંજવી દઈશ ભરપૂર વાત્સલ્યથી...
જેટલો સમય અમારી સાથે રહેશે
ધન્યતા ને સાર્થકતા અનુભવ કરીશું અમે.
પણ હે ઈશ્વર! તેં એને આટલો જલદી પાછો બોલાવી લીધો?
કેમ એને લેવા ફરિશ્તાને આટલો વહેલો મોકલી દીધો?
એને વિદાય આપવા અમે હજુ તૈયાર નહોતાં...
પણ હે પ્રભુ! જીવ શોષી લે એવી કારમી વેદનાની વચ્ચે પણ
અમે હિંમત ટકાવી રાખીશું
તેં જે શરતો મૂકી હતી
તેને યાદ કરવાની ને સ્વીકારવાની કોશિશ કરીશું...
પોતાની અણધારી વિદાયથી મા-બાપ ફાટી પડયાં છે એ શું ઉપરથી સંતાનો જોતાં નહીં હોય? એક અનામી કવિની અંગ્રેજી કવિતામાં સ્વર્ગે સિધાવેલો નાનકડો દીકરો પોતાની માને કહે છેઃ
મા, પ્લીઝ દુઃખી ના થા.
મનેય તારા વગર ગમતું નથી.
અહીં બધું બહુ સરસ છે,
પણ મને તારી ફિકર થયા કરે છે.
અહીં ફરિશ્તાઓ મારું ખૂબ ધ્યાન રાખે છે,
અહીં ફક્ત પ્રેમ જ પ્રેમ છે.
અહીં ક્યારેય એકલું એકલું લાગતું નથી,
મને ક્યારેય ડર લાગતો નથી,
કેમ કે ભગવાન અહીં મારી આસપાસ જ હોય છે હંમેશ.
હું રોજ ભગવાન સાથે ચાલવા જાઉં છું.
બહુ જ પ્રેમાળ અને ભલા છે એ.
મારી જરાય ચિંતા ન કરતી, મા,
સોનેરી સડક ઓળંગતી વખતે,
ભગવાન મારી આંગળી પકડે છે.
હું ક્યારેય રડતો નથી, કોઈને હેરાન કરતો નથી.
દાદાજીને રોજ મળું છું,
ખૂબ રમું છું, હસું છું, મજા કરું છું.
તું પ્રાર્થના કરતી હોય ત્યારે કાન દઈને તારા શબ્દો સાંભળું છું.
પ્લીઝ મા, ભગવાન પર નારાજ ન થા.

એ પણ મને બહુ વહાલ કરે છે.
ભલે હું તારી આસપાસ ન હોઉં

છતાંય હું તારી સાથે જ છું, હરહંમેશ...      

0 0 0 

Wednesday, December 17, 2014

Take off : ચોલી મેં દિલ હૈ મેરા


Sandesh - Ardh Saptahik Purti - 17 Dec 2014

મુંબઈની લો ક લ ટ્રેનમાં મધરાત સુધી ભટકયાં કરતી સડકછાપ વેશ્યા, ભીતરથી કુંઠિત થઈ ગયેલો યુવાન પોલીસ અને એક પશ્ચાદભૂમાં પડઘાતું ગીત... આજ જાને કી ઝીદ ના કરો!



વેશ્યા છે. મુંબઈની લોકલ ટ્રેનોમાં મધરાત સુધી ભટકયાં કરતી લગભગ સડકછાપ રુપજિવીની. ઉંમર હશે પચ્ચીસેક વર્ષની આસપાસ. ચળકતાં ટાઈટ કપડાં. રુપને ઑર ભડકામણું કરી મૂકતો મેકઅપ. હાથમાં સસ્તું પર્સ ને એમાં જાતજાતનો સામાન. એનાં લટકાંમટકાં એવાં છે કે તરત બીજાઓનું ધ્યાન ખેંચાય. એની ભાષા અને આખું વ્યકિતત્ત્વ ખડબચડાં છે, પણ એનાં તોછડાં અલ્લડપણામાં એવું કશુંક તત્ત્વ છે જે તમને કહે છે કે આ માનવપ્રાણી પાસે શરીર સિવાય પણ કશુંક છે. આ કશુંક એટલે કદાચ એનું ડહાપણ અથવા તો જિંદગીનાં કુરુપ સત્યો વિશેની સમજદારી, જે કારમી ચોટ ખાઈ ખાઈને ટીપે ટીપે ભીતર જમા થઈ  છે. જેમે જેમ તમે એને ઓળખતા જાઓ છો તેમ તેમ તમે એને કેવળ માદા તરીકે નહીં, પણ એક સ્ત્રી તરીકે જોવા લાગો છે. એવી સ્ત્રી જેની પાસે એક ઘબકતું દિલ છે જેમાં લાગણીનાં  સ્પંદનો જાગી શકે છે, જેના દિમાગમાંથી વિચારોના તણખા ફૂટી શકે છે. આ સ્ત્રીનાં ભદ્દા બાહૃા આવરણની નીચે કમાલની માસૂમિયત છૂપાયેલી છે. તમને સમજાય છે કે આસપાસનું ભલે બધું ક્રૂર રીતે છેદાઈ-ભેદાઈ ગયું હોય, પણ નિર્દોષતાનો એક ટાપુ એની ભીતર સલામત રહી ગયો છે.

...અને એક યુવાન પોલીસ છે. ખડૂસ. પોલીસોની પ્રવર્તમાન ઈમેજમાં મિસફિટ કહેવાય એવો સાચુકલો. એ સતત સહમેલો રહે છે. એ ખૂલીને વાત ભલે ન કરી શકતો હોય, પણ તમને એટલું જરુર સમજાય છે કે આ માણસની અંદર કશુંક બહુ જ ખરાબ રીતે ધ્વસ્ત થઈ ગયું છે. કશાક કારમા સંઘાતને લીધે એ થીજી ગયો છે, કુંઠિત થઈ ગયો છે. આ એકલવાયા માણસની કઠોરતાની નીચે તમને એક પ્રકારની અસહાયતા સળવળતી દેખાય છે. તમે એ પણ જોઈ શકો છો કે એની ભીતર એક જ્વાળામુખી ભભૂકી રહૃાો છે જે કોઈ પણ ક્ષણે પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી શકે તેમ છે.

એક વેશ્યા અને એક પોલીસ - આવાં બે કિરદાર એક મોડી રાતે મુંબઈની લાસ્ટ લોકલમાં આકસ્મિકપણે અથડાઈ જાય તો એમની વચ્ચે શું બને? કેવી કેમિસ્ટ્રી સર્જાય? કેવી શકયતાઓ આકાર લે? આ પ્રશ્નોનો અફલાતૂન ઉત્તર એટલે સૌમ્ય જોશીનું લેટેસ્ટ ગુજરાતી નાટક "આજ જાને કી ઝીદ ના કરો". અમદાવાદ સ્થિત સૌમ્ય જોશી છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ માત્ર ગુજરાત તેમજ મુંબઈની ગુજરાતી રંગભૂમિને જ નહીં, બલ્કે  તેના ઓડિયન્સને પણ નવેસરથી ડિફાઈન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંય સહજતાપૂર્વક કરી રહૃાા છે. એમનાં આ પહેલાંનાં બન્ને સુપરડુપર હિટ નાટકો "વેલકમ જિંદગી" અને "૧૦૨ નોટઆઉટ" પ્રેક્ષકોએ દિલપૂર્વક માણ્યા છે. જરાય સ્થૂળ બન્યા વગર, કળાના નામે અર્થહીન બૌદ્ધિક પટ્ટાબાજી ખેલ્યા વગર શી રીતે રંગભૂમિનું સત્ત્વ અને એસ્થેટિકસ જાળવી શકાય, શી રીતે પ્રેક્ષકને સતત જકડી રાખીને યાદગાર મનોરંજન પૂરું પાડી શકાય તે સમકાલીન ગુજરાતી નાટયજગતમાં સૌમ્ય કરતાં બહેતર કદાચ બીજું કોઈ જાણતું નથી. એક પછી એક શ્રેષ્ઠ મૌલિક ગુજરાતી નાટકો આપતો આ રંગકર્મી જ્યારે બીજી ભાષાનું નાટક એડપ્ટ કરે ત્યારે તે ઘટના પણ કુતૂહલ અને અભ્યાસનો વિષય બની જતી હોય છે.

"આજ જાને કી ઝીદ ન કરો"નાં મૂળિયાં "પ્રપોઝલ" નામનાં મરાઠી નાટકમાં દટાયેલાં છે. પ્રેક્ષકને ચકિત કરી નાખે, એને હચમચાવીને સ્તબ્ધ કરી મૂકે એવું માતબર આ નાટક છે.   સુરેશ ચિખલેએ તે લખ્યું છે ને રાજન ત્હામણેએ ડિરેકટ કર્યું છે. બોકસઓફિસ પર પણ સુપરહિટ. સૌથી પહેલાં તો આવાં જોખમી નાટકને કમર્ર્શિયલ ગુજરાતી રંગભૂમિ પર લાવવાનું વિચારવું એ જ હિંમતની વાત છે. પ્રશ્નો ઘણા હતા. સોશ્યલ કોમેડી નાટકો જોવા ટેવાયેલો ટિપિકલ ગુજરાતી પ્રેક્ષક ભૂંડા ચાળા કરતી ને અપશબ્દો બોલતી વેશ્યાવાળું બોલ્ડ નાટક સ્વીકારી શકશે? મરાઠીમાં મુંબઈની સેકસવર્કર અને તેની આસપાસ રચાતું વાતાવરણ સહજ લાગે, પણ મોબાઈલ પર ઘરાકના ઓર્ડર લેતી ગુજરાતી વેશ્યા અપિરિચિત માહોલ પેદા કરી નાખશે એનું શું? આવાં કિરદારને અને એની વાર્તાને કઈ રીતે બિલીવેબલ બનાવવાં?

Saumya Joshi

"આજ જાને કી ઝીદ ના કરો"માં રુપજીવિનીની ભુમિકા ગજબની પ્રભાવશાળી ઢંગથી પેશ કરનાર અભિનેત્રી જિજ્ઞાા વ્યાસ કહે છે, "મુંબઈમાં કયારેક નાઈટ શો પતાવીને લોકલ ટ્રેનમાં જતી વખતે કદાચ એકાદ-બે વાર આ પ્રકારની સેકસવર્કરને જોઈ હશે, પણ એ સિવાય આ પ્રકારની સ્ત્રીઓની રહેણીકરણી અને રંગઢંગ વિશે મને કશી જ ખબર નહોતી. તેથી આ નાટકમાં મારે ઓબ્ઝર્વેશન નહીં, પણ પ્યોરલી ઈમેજિનેશનથી કામ લેવાનું હતું. અમને છોકરીઓને કોઈ પુરુષ અડધી મિનિટ માટે તાકયા કરતો તો એટલું પણ સહન થતું હોતું નથી ત્યારે આ પ્રકારની સ્ત્રીઓ  કેવી રીતે જીવતી હશે? માણસ તરીકે એ કેવી હોય, એ શું અનુભવતી હોય? આ બધું જાણવામાં મને ખૂબ રસ પડયો. મને સમજાતું હતું કે ખૂબ મહેનત કરવી પડશે, પણ મારે આ રોલ કરવો જ હતો."

હોમવર્કના ભાગ રુપે મન્ટોની વાર્તાઓ વંચાઈ. "બોર્ન ઈનટુ બ્રોથેલ" નામની ઓસ્કરવિનર ડોકયુમેન્ટરી, પ્રોસ્ટિટયુટનાં પાત્રવાળી દેશવિદેશની કેટલીક ફિલ્મો જોવાઈ. શરુઆતમાં એવું નક્કી થયું હતું કે સૌમ્ય જોશી ફકત કાગળ પર નાટક ગુજરાતીમાં રુપાંતરિત કરે અને મૂળ ડિરેકટર રાજન ત્હામણે જ ગુજરાતી વર્ઝન ડિરેકટ કરે. સૌમ્યનું લિખિત-દિગ્દર્શિત "વેલકમ જિંદગી" જોયા પછી "૧૦૨ નોટઆઉટ" જોવા રાજન મુંબઈથી છેક અમદાવાદ ગયા. તે જોયા પછી એમણે વિચાર ફેંસલો સુણાવી દીધોઃ સૌમ્ય, ગુજરાતી વર્ઝનનું ડિરેકશન પણ તમે જ કરો! સૌમ્યને પોતે જ લખેલાં નાટકો ડિરેકટ કરવાની આદત, પણ આ વખતે એમણે બીજા કોઈનાં ચિત્તમાં જન્મેલાં પાત્રોેનો પુનર્જન્મ કરાવવાનો હતો.

"રિહર્સલનાં પહેલાં ૨૮ દિવસ મેં બિલકુલ ડિરેકશન ન કર્યું," સૌમ્ય કહે છે, "હું લખી-લખીને કાગળો જિજ્ઞાા અને જયેશ (મોરે, પોલીસની ભુમિકા ભજવનાર તગડો કલાકાર)ને  આપતો જાઉં. એ બન્ને વાચિક અભિનય કરે, પોતાની રીતે પાત્રનો ઘાટ ઘડવાનો પ્રયત્ન કરે. મારાં ઈનપુટ્સ ઓછામાં ઓછા હોય. આ વખતે મેં નક્કી કર્યું હતું કે એકટરો પોતે એક વાર કલર પકડે પછી જ ડિરેકટર તરીકે હું હસ્તક્ષેપ કરવાનું શરુ કરીશ. તેથી એકટરોને શરુઆતથી હેલ્પ કરવાને બદલે તેમને પછીથી મોલ્ડ કર્યા."

ગુજરાતી વર્ઝનમાં વેશ્યાના લગભગ અડધોઅડધ સંવાદો હિન્દીમાં લખીને સૌમ્યએ સ્માર્ટ  પગલું ભર્યું છે. અમુક સંવાદો ગુજરાતીમાં સંભવતઃ બેહૂદા લાગ્યા હોત, પણ હિન્દીમાં  તે ધારી અસર ઊપજાવીને સડસડાટ પસાર થઈ જાય છે. સૌમ્ય કહે છે, "શરુઆતની રીડીંગ સેશન દરમિયાન જિજ્ઞાા કયારેક કહેતી કે, મારું પાત્ર આવું ન બોલે. એ પોતાની રીતે અમુક વાકયોને હિન્દીમાં ફેરવી નાખતી. શરુઆતની દસ મિનિટના નાટકની પ્રોસેસ દરમિયાન આવું બન્યું. તે પછી મેં જિજ્ઞાાની  રિધમ અપનાવી લીધી અને એ જ ઢાળમાં ગુજરાતી-હિન્દી મિશ્ર ભાષામાં લખતો ગયો."




સૌમ્યએ ગુજરાતી વર્ઝનમાં નાના-મોટા ઘણાં ફેરફારો કર્યા છે. બન્ને પાત્રો વચ્ચે ક્રમશઃ બંધાતી જતી લાગણીનો આલેખ અસરકારક બનાવવા માટે કેટલાંક સ્ટ્રકચરલ ફેરફારો કરવા જરુરી હતા. જેમ કે, નાયક પોલીસ છે તે વિગત મરાઠી વર્ઝનમાં ઈન્ટરવલ પોઈન્ટ પર ખૂલે છે, પણ સૌમ્ય આ વાત નાટકની શરુઆતમાં જ એસ્ટાબ્લિશ કરી દે છે. જો બન્ને કિરદારોનાં પ્રોફેશન પહેલેથી સ્પષ્ટ થાય તો જ તેમની વાતચીત માટેનું કોમન ગ્રાઉન્ડ વધારે સારે રીતે રચાય એવું સૌમ્યનું માનવું હતું. સેકન્ડ એકટમાં પણ લવસ્ટોરીને વધારે સુરેખ અને તાર્કિક બનાવવામાં આવી. સૌથી નાટયાત્મક પરિવર્તન નાટકમાં અંતમાં કરવામાં આવ્યું છે, પણ તેના વિશે અહીં વધારે કહેવું નથી. તે તમારે સ્વયં જોઈ લેવાનું છે.

જિજ્ઞાા ધરાર ઓછાં નાટકો કરે છે, પણ જે કરે છે એમાં જીવ રેડી દે છે. કયાં "વેલકમ જિંદગી"ની પંચાવન વર્ષીય ગૃહિણી ને કયાં "આજ જાને કી ઝીદ ના કરો"ની વેશ્યા. એ કહે છે, ""વેલકમ જિંદગી"માં એવી કેટલીય લાઈન્સ છે કે જેમાં સીધું લાફ્ટર ફૂટે, પણ "આજ જાનેકી..."માં ઓડિયન્સનું રિસ્પોન્સ મિકેનિઝમ અલગ પ્રકારનું છે. અહીં સ્ટેજ પર જે કંઈ ચાલે છે તે જોઈને ઓડિયન્સ ગંભીર થઈ જાય છે, ખામોશ બની જાય છે. આ ખામોશીની ભાષા સમજવી જરુરી છે. શું ઓડિયન્સ નાટકમાં એકદમ ખૂંપી ગયું છે એટલે ખામોશ છે કે પછી એને નાટક જરાય સ્પશ્યું નથી એટલે ચુપચાપ બેઠું છે? આવા સમયે એકટર તરીકેનો તમારો અનુભવ કામે લાગે છે."

નાટક દરમિયાન સ્તબ્ધ બેઠેલું ઓડિયન્સ જાણે સાટું વાળી દેતા હોય તેમ પડદો પડતા જ  પોતાની સીટ પર ઊભા થઈને તાળીઓના ગડગડાટથી ઓડિટોરિયમ છલકાવી દે છે. તાળીઓના આ ગુંજારવમાં જાણે કે તમને ગુજરાતી ઓડિયન્સની પરિપકવતા, સજ્જતા અને પોતાને ઓછા ન આંકવાની વિનંતી પણ સંભળાય છે. નાટકમાં એક વેશ્યાના દિલની વાત થઈ છે એટલે સૌમ્ય એક તબક્કે નાટકનું ટાઈટલ "ચોલી મેં દિલ હૈ મેરા" રાખવા માગતા હતા. ટેકિનકલી આ શીર્ષક ભલે નાટકની વાર્તા સાથે બંધ બેસતું હોય, પણ ગુણવત્તાસભર નાટકો માટે પંકાયેલા પ્રોડયુસર મનહર ગઢિયાએ તેમને વાર્યા હતા કે સૌમ્ય, આ ટાઈટલ વાંચીને ભળતું જ ઓડિયન્સ નાટક જોવા આવી જશે! વેલ, હકીકત એ છે કે ના-ટ-કમાં રસ પડતા તમામ પ્રેક્ષકોએ "આજ જાને કી ઝીદ ના કરો" માણવું જ પડે. જીદપૂર્વક!

૦ ૦૦


Thursday, December 11, 2014

વાંચવા જેવું : અશ્ર્વિની ભટ્ટે શા માટે ‘ચિત્રલેખા’માં નવલકથા ન લખી?


ચિત્રલેખા - અંક તા. 1 ડિસેમ્બર ૨૦૧૪
 કોલમ: વાંચવા જેવું




હા, તો અશ્ર્વિની ભટ્ટ જેવા પોપ્યુલર લેખકે ‘ચિત્રલેખા’ જેવાં લોકપ્રિય સામયિકમાં શા માટે એક પણ ધારાવાહિક નવલકથા ન લખી?

 અસંખ્ય વાચકોના મનમાં કાયમ ખદબદ ખદબદ થતા કરતા આ સવાલનો જવાબ આખરે વિનોદ ભટ્ટે એમના મસ્તમજાના લેટેસ્ટ પુસ્તક ‘તમે યાદ આવ્યાં’માં આપી દીધો છે. આગળ વધતા પહેલાં સૌથી પહેલાં તો એ સાંભળી લો:

 ‘બજારમાં બીજા કયા કયા પ્રજાપ્રિય લેખકો છે એની હરકિસન મહેતા ખબર રાખતા ને ‘ચિત્રલેખા’માં લખવાનું કહેણ પણ મોકલતા. એકવાર તે અમદાવાદ હતા. મને કહે કે આપણે અશ્ર્વિની ભટ્ટને મળવું છે. મારે ત્યાં સાંજે મુલાકાત ગોઠવી. ચંદ્રકાંત બક્ષી, શેખાદમ આબુવાલા, અશ્ર્વિી ભટ્ટ અને હરકિસનભાઈ. હરકિસનભાઈ મને બીજા રુમમાં લઈ ગયા. પૂછ્યું: ‘જો વિનોદ, મેં અશ્ર્વિનીનું કશું વાંચ્યું નથી. તારો નિખાલસ મત જાણવો છે, તેને ‘ચિત્રલેખા’માં શરુ કરી શકાય?’ મેં તેમને હળવાશથી જણાવ્યું: ‘મારો પ્રામાણિક અભિપ્રાય એવો છે કે તમે એક વાર તેની વાર્તા ‘ચિત્રલેખા’માં શરુ કરશો તો તમારી છુટ્ટી થઈ જશે. વાચકો તેને વાંચતા થઈ જશે.’ મારી સામે લાક્ષાણિક હાસ્ય વેરતાં તે બોલ્યા: ‘તો તો ભારે પડી જાય, પણ ‘ચિત્રલેખા’ના વાચકો ફાવી જતા હોય તો અશ્ર્વિનીને છાપવા આપણે રાજી છીએ.’ અશ્ર્વિની સાથે વાત કરી, પણ તેની નવલકથા ‘સંદેશ’માં ચાલતી હતી. એટલે ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલે ના પાડી દીધી. ત્યાર બાદ અશ્ર્વિની ‘અભિયાન’માં નવલકથા લખતો. પણ હરકિસનભાઈએ તેની સાથે છેક સુધી હૂંફાળો સંબંધ રાખેલો. તેમની દીકરી સ્વાતિનાં લગ્નમાં અમારી સાથે અશ્ર્વિનીનેય આગ્રહ કરીને તેડાવેલો ને બધાંનો પરિચય આપતાં તે કહેતા કે આ અશ્ર્વિની ભટ્ટ છે, મારો નાનો ભાઈ છે. મારા પછી નવલકથાકાર તરીકે મારી ગાદી તેણે સંભાળવાની છે.’

 આટલું લખીને વિનોદ ભટ્ટ ટમકું મૂકી દે છે: ‘નોવેલિસ્ટ લેખે પોતે નંબર વન છે એ બાબતે હરકિસન મહેતાના મનમાં લેશમાત્ર શંકા નહોતી!’

 આ એક કિસ્સામાં મજા પડી ગઈ હોય તો સમજી લો કે ‘તમે યાદ આવ્યાં’ પુસ્તકમાં આવી વિનોદી અને ‘અંદરની’ વાતોનો આખો ભંડાર છે. એક રીતે આ પુસ્તક ‘વિનોદની નજરે’ની સિક્વલ જેવું છે. ૩૫ વર્ષ પહેલાં પ્રગટ થયેલાં આ યાદગાર અને વિવાદાસ્પદ પુસ્તકમાં લેખકે પચ્ચીસ ગુજરાતી સાહિત્યકારોનાં અતિ રમૂજી છતાંય છોતરાંફાડ વ્યક્તિચિત્ર આલેખ્યાં હતાં. એમાંના પંદર સાહિત્યકારો આજે આપણી વચ્ચે હયાત નથી. ‘તમે યાદ આવ્યાં’માં ચંદ્રકાંત બક્ષી, જ્યોતીન્દ્ર દવે અને શેખાદમ આબુવાલા વિશે નવેસરથી લખાયું છે. બાકીના ૨૭ નામ નવાં છે.  

 ઉદાહરણ તરીકે, સુરેશ જોષી. લેખક લખે છે કે, ‘અન્ય સાહિત્યકારોના મુકાબલે એક વાતે તે (સુરેશ જોષી) ઘણા આગળ હતા, તેમના શત્રુઓની સંખ્યા બીજાઓની સરખામણીમાં અનેક ગણી મોટી. દુશ્મનો બનાવવાની બાબતમાં તે સ્વાવલંબી હતા. ચંદ્રકાંત બક્ષીને આ કળા વિકસાવવાની પ્રેરણા સુ.જો.માંથી જ સાંપડી હશે એવું આ લખનાર માને છે - બક્ષીના તે પૂર્વસૂરિ ગણાય.’

 સુરેશ જોષી પોતાનું લખેલું પુસ્તક ફાડતા નહીં. હા પુસ્તક આખેઆખું રદ કરતા ખરા. સુ.જો.નો ‘ઉપજાતિ’ નામે કાવ્યસંગ્રહ પ્રગટ થયો હતો. એ પ્રગટ થયાનાં થોડાંક વર્ષો પછી એ કાવ્યો તેમને બરાબર  નહીં લાગ્યાં એટલે તેમણે જાહેર કર્યું: ‘આથી મારો એ સંગ્રહ રદ કરું છું.’ આ વાંચીને ચુનીલાલ મડિયાથી બોલ્યા વગર ન રહેવાયું: ‘ભાઈ, તમે આજે રદ કરો છો? અમે તો કેદિ’નો કરી નાખ્યો છે...

Harkisan Mehta (seated, right) with Chandulal Selarka and Chandrakant Bakshi (seated, left)


 ચંદ્રકાંત બક્ષીના વ્યક્તિત્ત્વમાં કમાલની એન્ટરટેનિંગ વેલ્યુ આજે પણ વર્તાતી હોય તો એ જ્યારે જીવતા હતા ત્યારે તો વાત જ શી કરવી. એ પ્રવચન આપવા જાય ત્યારે કલાક દોઢ-કલાકથી ઓછું ન બોલે. એ વિનોદ ભટ્ટ લખે છે:

 ‘બક્ષીને પાછું એવું ખરું કે વિષય ગમે તે હોય, તેમને બોલવું હોય એ જ બોલે, રત એટલી કે પ્રેક્ષકોને મજા આવવી જોઈએ... કલકત્તા સાથે જોડાણ હોવાથી બક્ષીબાબુને શરદબાબુની નવલકથા પર બોલવાનું સૂચવાયેલું. બક્ષીબાબુએ શરુ કર્યું, ‘શરદબાબુ આજકાલ આઉટડેટેડ થઈ ગયા છે. તમને શરદબાબુની વાર્તામાં ખાસ ઈન્ટરેસ્ટ નહીં પડે. આજે હું તમને મજા પડે તેવા રાઈટર ચંદ્રકાંત બક્ષીની વાત કરીશ.’ અને લગભગ ૭૦થી ૮૦ મિનિટ સુધી તેમણે પોતાની કેફિયત રજૂ કરી દીધી હતી... બીજી એક બિનસાહિત્યિક સભામાં બક્ષીજીએ ફાળવેલ સમય કરતાં ખાસ્સું લાં...બું બોલ્યા. લાંબુ બોલવાનું કારણ આપતાં નામદાર રાજ્યપાલ, મુખ્યમંત્રી વગેરે તરફ આંગળી ચીંધી શ્રોતાઓને તેમણે જણાવ્યું પણ ખરું, ‘તમે આ લોકોને નહીં, મને સાંભળવા આવ્યા છો.

 આટલું કહીને ભટ્ટજી સહેજ ઈમોશનલ થઈને ઉમેરે છે કે, ‘આજે આપણી પાસે બક્ષી તો શું, એમનો ડુપ્લિકેટ પણ નથી!’

 હરીન્દ્ર દવેનો એક કિસ્સો ખૂબ મજાનો છે. ભાવનગરથી એ નવા નવા મુંબઈ આવેલા. અહીંનું વાતાવરણ, એટિકેટ એમને માટે સાવ અજાણ્યું. જિંદગીમાં ગોળપાપડી, લાડુ જેવા મિષ્ઠ પદાર્થનો સ્વાદ માણેલો, પણ કેક એમણે મુંબઈની એક પાર્ટીમાં પહેલી વાર જોઈ. કેક હાથમાં લીધી તો ખરી, એ કેવી રીતે ખવાય એની ખબર ન પડે. ગોળ કેકની નીચે કાગળ હતો. ગામડિયામાં ગણતરી થઈ જશે એવા ડરથી આજુબાજુ કોઈને પૂછ્યું નહીં અને હરીન્દ્ર કાગળ સહિત કેક ખાઈ ગયા! આ કિસ્સો એમણે સ્વયં સુરેશ દલાલને  સંભળાવ્યો હતો. આ કિસ્સો ટાંકીને સુરેશ દલાલ પછી ઉમેરતા કે, ‘આ કાગળ સાથે કેક ખાઈ ગયો ત્યારથી એની કવિતાના કાગળમાં આટલું ગળપણ આવ્યું છે.’

 હરીન્દ્ર દવેને યાદ કરીએ ત્યારે એમના સિયામીઝ ટ્વિન જેવા સુરેશ દલાલને ન સંભારીએ કેમ ચાલે. વિનોદ ભટ્ટ લખે છે:

 ‘હું તેમને ઓળખતો થયો ત્યારથી તેમને મેં કાયમ જ જોયા છે. ક્યારેક તો મને એવું પણ લાગતું કે તે સફારી સાથે જ જન્મ્યા હશે! સફારીના ખિસ્સાં તે મોટાં રાખતા, માત્ર પોકેટ બુક્સ જ નહીં, મોટું પુસ્તક પણ તેમાં સમાઈ શકે એટલાં મોટાં... પોતાની ફાંદ તરપ ઈશારો કરીને કહેતા: ‘મારી આ ગાગર ઉતારો તો જાણું...’ તેમની કોઈ તંદુરસ્ત ટીખળ કરે તો તે ખેલદિલીથી હસી નાખતા. થોડાં વર્ષો પહેલાં તેમના ભાઈ અરવિંદ દલાલ કોઈને કહેતા હતા કે સુરેશ હમણાં ટીવી પર કાર્યક્રમ માટે જતો નથી, એનું કારણ એ છે કે તે એટલો બધો જાડો થઈ ગયો છે કે તેને જોવા હવે બે ટીવી ભેગાં કરીએ ત્યારે માંડ આખો જોઈ શકાય છે.

 ગુણવંત શાહ અને સુરેશ દલાલ વચ્ચે સરસ ભાઈબંધી. ગુણવંત શાહને હૃદયરોગનો જોરદાર હુમલો આવ્યો ને તે એમાંથી બચી ગયા ત્યારે સુરેશ દલાલની પ્રતિક્રિયા આવી હતી: ‘ગુણવંત નહીં, ખરેખર તો આપણે બચી ગયા!’

 આ સિવાય પણ કેટલાં બધાં પ્રભાવશાળી નામોને આવરી લેવાયાં છે અહીં. મુનશી, કલાપી, ગોવર્ધનરામ, કાન્ત, નર્મદ, ટાગોર, મરીઝ,  રાજેન્દ્ર શાહ વગેરે ઉપરાંત અહીં અમૃતા પ્રીતમ, શેક્સપિયર અને બર્નાર્ડ શૉને પણ આવરી લેવાયા છે.                                                                                     0 0 0


 ‘તમે યાદ આવ્યાં’ 
 લેખક: વિનોદ ભટ્ટ
પ્રકાશક: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ-૧
 ફોન: (૦૭૯) ૨૨૧૪ ૪૬૬૩
 કિંમત:  ‚. ૨૫૦ /
 પૃષ્ઠ: ૧૮૪


Thursday, December 4, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ : 98 : ‘ધ એડવન્ચર’

Mumbai Samachar - Matinee - 3 Dec 2014

હૉલીવૂડ હન્ડ્રેડ 

માઈકલેન્જેલો એન્ટોનિયોનીની ‘ધ એડવન્ચર’માં નૈતિકતાના છોતરાં ઊડી ગયાં છે. હિરોઈન ખોવાઈ જાય અને તે સાથે જ તેનો પ્રેમી અને બહેનપણી એકબીજા સાથે લફરું કરી દે એ કેવું? કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયરમાં જ ઓડિયન્સે હૂરિયો બોલાવ્યો! પણ બીજા સ્ક્રીનિંગ પછી બાજી નાટ્યાત્મક રીતે પલટી. દુનિયાભરમાંથી આવેલા કેટલાક ઉત્તમ ફિલ્મ સમીક્ષકોને ફિલ્મને ‘અદ્ભુત’ ગણાવી. એન્ટોનિયોનીની તદ્દન મૌલિક, બોલ્ડ સિનેમેટિક સ્ટાઈલ, ‘કવિ કહેવા શું માગે છે’ એ સંદેશો સ્પષ્ટ થયાં અને તે સાથે જ ‘ધ એડવન્ચર’ ચર્ચાનો વિષય બની ગઈ. એટલી હદે કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એને જ્યુરીનું પ્રાઈઝ સુધ્ધાં મળ્યું! 

ખાલી હાથ શામ આઈ હૈ... ખાલી હાથ જાએગી



પણે આ સિરીઝમાં અગાઉ મહાન ઈટાલિયન ફિલ્મમેકર ફેલિની અને તેમની ‘લા ડોલ્ચ વિતા’ વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે ઑર એક ગ્રેટ ઈટાલિયન ફિલ્મમેકર માઈકલેન્જેલો એન્ટોનિયોનીની ‘ધ એડવેન્ચર’ વિશે વાત કરવી છે. ‘ધ એડવન્ચર’નું ઓરિજિનલ ઈટાલિયન ટાઈટલ જોકે અલગ છે. આ ફિલ્મ તમને ‘લા ડોલ્ચ વિતા’ની સહેજ યાદ અપાવશે, પણ સાથે સાથે તે પણ સમજાશે કે બન્ને વચ્ચે આભ-જમીનનો ફરક છે.

ફિલ્મમાં શું છે?

રોમમાં વસતા ધનિક સોશ્યલાઈટ્સનું એક ઝુંડ એકવાર પિકનિકનું આયોજન કરે છે. યાટમાં સવાર થઈને તેઓ નજીકના એક નિર્જન ટાપુ તરફ રવાના થાય છે. આ વરણાગી લોકોમાં એક ઍના (લિઆ મેસરી) છે, એનો પ્રેમી સેન્ડ્રો (ગેબ્રિએલ ફર્ઝેેટી) છે અને ઍનાની ખાસ બહેનપણી ક્લોડિયા (મોનિકા વિટ્ટી) છે. આ સિવાય પણ કેટલાક લોકો છો. ઍના અને સેન્ડ્રો લગ્ન કરવાનું વિચારી રહ્યાં છે, પણ તેમના વર્તન-વ્યવહાર પરથી સ્પષ્ટપણે સમજાય છે કે બન્ને વચ્ચે ઓલ-ઈઝ-વેલ નથી. ટચુકડા ટાપુ પર એકલાં પડે છે ત્યારે પોતાની રિલેશનશિપ વિશે ચર્ચા કરતી વખતે તેઓ બાખડી પડે છે. સેન્ડ્રો લાંબી લાંબી બિઝનેસ ટ્રિપ પર જાય છે તે ઍનાને જરાય પસંદ નથી. સેન્ડ્રો ચિડાય છે. ઍના અકળાઈને કહે છે: તું જા, મને થોડીવાર એકલી રહેવા દે. સેન્ડ્રો બીજા દોસ્તો પાસે જતો રહે છે. ઍના એક ખડક પર લાંબી થાય છે.

બસ, તે ઘડી ને આજનો દી’. ઍના પછી કોઈની નજરમાં જ ન આવી! થોડી કલાકો પછી દરિયો તોફાને ચડતાં સૌ પાછાં વળવાનું નક્કી કરે છે ત્યાં સૌનું ધ્યાન જાય છે કે ઍના ક્યાં? ક્લોડિયા એને શોધવા નીકળે છે પણ ઍનાનો ક્યાંય પત્તો નથી. સેન્ડ્રો વ્યાકુળ થવાને બદલે ઊલટો ચીડાય છે: ઍના છે જ એવી. એક નંબરની બિનજવાબદાર. આમ કોઈને કહ્યા વગર જતા રહેવાતું હશે? એવું નક્કી થાય છે કે ક્લોડિયાએ સેન્ડ્રો અને બીજા એક આદમી સાથે ટાપુ પર રોકાઈને શોધખોળ કરવી, જ્યારે બાકીના લોકોએ પાછા ફરીને લાગતાવળગતાઓને જાણ કરવી.



બીજા દિવસે ઍનાના પિતા અને પોલીસના માણસો ટાપુ પર આવે છે. નવેસરથી શોધખોળ થાય છે, પણ પરિણામ શૂન્ય. ઍનાના પિતાને શંકા છે કે દીકરીએ આપઘાત કર્યો છે, જ્યારે પોલીસને લાગે છે કે થોડી કલાકો પહેલાં જે સ્મગલરો પકડાયા છે એ જ ઍનાને કિડનેપ કરી ગયા હોવા જોઈએ. ટાપુને અલવિદા કરતાં પહેલાં સેન્ડ્રો યાટ પર ક્લોડિયાને એકલી જુએ છે. અચાનક એને શું સૂઝે છે કે એ ક્લોડિયાને પકડીને કિસ કરી લે છે. ક્લોડિયા એને હડસેલીને જતી રહે છે. એને નવાઈ લાગે છે કે કેવો છે આ માણસ? પ્રેમિકા ગાયબ થઈ ગઈ છે એ વાતને બે દિવસ પણ થયા નથી ને આને અટકચાળાં સૂઝે છે? નવાઈની વાત એ છે કે કોઈને સેન્ડ્રો પર શંકા સુધ્ધાં જતી નથી. ક્લોડિયા એકલી જ ઍનાની શોધ કરવાનું નક્કી કરે છે, પણ સેન્ડ્રોની નજરમાં હવે ક્લોડિયા વસી ગઈ છે. એ ટ્રેનમાં ક્લોડિયાનો પીછો કરે છે. પેલી પાછી ભડકે છે, પણ અંદરખાને હવે એનેય સેન્ડ્રો પ્રત્યે આકર્ષણ થવા લાગ્યું છે! મિસિંગ ઍના વિશે છાપાંમાં લખનાર એક રિપોર્ટરને સેન્ડ્રો મળે છે. એે ક્લુ આપે છે કે નજીકના એક ગામના કેમિસ્ટ પાસે કદાચ છેલ્લે ઍના જોવા મળી હતી. સેન્ડ્રો તે ગામ તરફ નીકળે છે. ક્લોડિયા પણ એની સાથે જોડાય છે. આખરે જે થવાનું હતું તે થાય જ છે. ઍનાનું પગેરું શોધતાં શોધતાં આ બન્ને એકબીજામાં ગુલતાન થવા લાગે છે. ઍનાની શોધ જાણે કે એમનાં અફેર માટેનું બહાનું બની રહે છે.

એક હોટલમાં બન્ને ચેક-ઈન કરે છે. અહીં પાર્ટીમાં છેલછોગાળા સેન્ડ્રોની નજરમાં એક ઊભરતી એક્ટ્રેસ પર પડે છે. આ બાજુ ક્લોડિયાને હવે ફફડાટ એ વાતનો છે કે ઍના ખરેખર જો પાછી આવશે તો સેન્ડ્રો પોતાને મૂકીને એની પાસે જતો રહેશે. એને ક્યાં ખબર છે કે સેન્ડ્રોની નજરમાં કોઈક ત્રીજું જ છે? એ હોટલમાં સેન્ડ્રોને શોધવા નીકળે છે તો જુએ છે કે સેન્ડ્રો અને પેલી ઊભરતી એક્ટ્રેસ એકાંત માણી રહ્યાં છે. ક્લોડિયા દોડતી હોટલની અગાસી પર જઈને રડવા લાગે છે. પાછળ પાછળ સેન્ડ્રો પણ આવે છે. એ પણ રડવાનું શરૂ કરે છે. ક્લોડિયા થોડીક ખચકાય છે ને પછી સેન્ડ્રોના મસ્તક પર હાથ મૂકે છે. બસ, આ અસ્પષ્ટતાવાળી મોમેન્ટ પર ફિલ્મ પૂરી થાય છે.

કથા પહેલાંની અને પછીની


આ ફિલ્મની વાર્તા ડિરેક્ટર માઈકલેન્જેલો એન્ટોનિયોનીએ જ લખી છે. શૂટિંગ દરમિયાન ગણ્યા ગણાય નહીં એટલા વિઘ્નો આવ્યાં હતાં. એન્ટોનિયોનીનો અંદાજ એવો હતો કે ટાપુ પર જે સીન શૂટ કરવાનાં છે એ ત્રણ વીકમાં આટોપાઈ જશે, પણ ત્રણ વીકનાં ચાર અઠવાડિયાં થયાં. શૂટિંગનું હજુ એક અઠવાડિયું માંડ થયું હતું ત્યાં ફિલ્મને પ્રોડ્યુસ કરનારી કંપનીએ દેવાળિયું ફૂક્યું. યુનિટના લોકોને પૂરતું ખાવાપીવાનું આપવાનાય પૈસા નહીં. સારું હતું કે એન્ટોનિયોની પાસે ફિલ્મનો સ્ટોક પડ્યો હતો એટલે કમસે કમ શૂટિંગ અટક્યું નહીં.



એક વાર એવું બન્યું કે ટ્રાન્સપોર્ટેશન કરતી શિપના માલિકને પૈસા અપાયા નહીં, તો એણે સર્વિસ આપવાનું બંધ કરી દીધું. આખી ટીમ ત્રણ દિવસ સુધી ટાપુ પર લટકી પડી. ક્રૂના મેમ્બરો બરાબરના બગડ્યા. એમણે સ્ટ્રાઈક શરૂ કરી દીધી: અમે એન્ટોનિયોની સાથે ધોળે ધરમેય કામ નહીં કરીએ! એન્ટોનિયોનીના આસિસ્ટન્ટે સમજાવ્યા ત્યારે માંડ એના ડિરેક્શનમાં કામ ચાલુ રાખવા ક્રૂના મેમ્બરો રાજી થયા. અધૂરામાં પૂરું, ઍનાનો રોલ કરતી લિઆ મેસરીને ચાલુ શૂટિંગે હાર્ટ એટેક આવી ગયો. બે દિવસ સુધી એ કોમામાં રહી હતી. સદ્ભાગ્યે એ જલદી રિકવર થઈ ગઈ. એન્ટોનિયોનીની આર્થિક સ્થિતિ પર ધીમે ધીમે રિકવર થવા લાગી. કેટલાય અઠવાડિયાં કડકીમાં પસાર કર્યા પછી કોઈક ફાયનાન્સર મળી ગયો ને શૂટિંગ આગળ વધ્યું.

ફિલ્મ આખરે બની, પણ મુસીબતોનો અંત હજુય નહોતો આવ્યો. ફિલ્મનું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં ગોઠવવામાં આવ્યું હતું. પ્રીમિયરમાં જ ઓડિયન્સે હૂરિયો બોલાવ્યો! યાદ રહે, આ કાન ફિલ્મ ફેસ્ટિવલનું કેળવાયેલું ક્રીમ ઓડિયન્સ હતું, એસીમાં એમ જ ટાઈમપાસ કરવા પિક્ચર જોવા બેસી ગયેલા વંઠેલ લોકોનું ટોળું નહીં. ‘ધ એડવન્ચર’માં ફિલ્મમેકિંગનાં તમામ ધારાધોરણોનો ભાંગીને ભુક્કો કરી નાખવામાં આવ્યો હતો. ઓડિયન્સ માટે આવી ફિલ્મ જોવાનો અનુભવ આ સાવ નવો હતો. લાંબાં લાંબાં સીન, સમજાય નહીં એવો પ્લોટ. જાણે ફિલ્મમાં કશું બનતું જ નથી અને સ્ટોરી એક જ જગ્યાએ ઠપ્પ થઈને ઊભી રહી ગઈ છે એવું લાગે. ઓડિયન્સે એટલી બધી રાડારાડ કરી કે એન્ટોનિયોની અને હિરોઈન મોનિકા વિટ્ટી (ક્લોડિયા)એ ધી એન્ડ પહેલાં ડરીને થિયેટર છોડીને નાસી જવું પડ્યું!



પણ બીજા સ્ક્રીનિંગ પછી બાજી નાટ્યાત્મક રીતે પલટી. આ વખતે પ્રીમિયર કરતાં સાવ વિપરીત રિએક્શન આવ્યું. દુનિયાભરમાંથી આવેલા કેટલાક ઉત્તમ ફિલ્મ સમીક્ષકોને ફિલ્મને ‘અદ્ભુત’ ગણાવી. સિનેમાના માધ્યમનો આ રીતે ઉપયોગ અગાઉ કોઈએ નહોતો કર્યો. એન્ટોનિયોનીની તદ્દન મૌલિક, બોલ્ડ સિનેમેટિક સ્ટાઈલ, ‘કવિ કહેવા શું માગે છે’ એ સંદેશો સ્પષ્ટ થયાં અને તે સાથે જ ‘ધ એડવન્ચર’ ચર્ચાનો વિષય બની ગઈ. એટલી હદે કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એને જ્યુરીનું પ્રાઈઝ સુધ્ધાં મળ્યું! માત્ર ચશ્મિશ ફિલ્મ-વ્યુઅરોએ જ વખાણ કર્યા એમ નહીં, દુનિયાભરમાં બોક્સઓફિસ પર તે હિટ પુરવાર થઈ.

‘ધ એડવન્ચર’ એક સાદી બ્લેક-એન્ડ-વ્હાઈટ આર્ટ ફિલ્મ છે. એની વાર્તામાં નૈતિકતાના છોતરાં ઊડી ગયાં છે. હિરોઈન ખોવાઈ જાય અને તે સાથે જ તેનો પ્રેમી અને બહેનપણી એકબીજા સાથે લફરું કરી દે એ કેવું? ફિલ્મમાં ઘણાં કામુક દશ્યો છે. અલબત્ત, આજની તારીખે તે બાળનાટક જેવાં સીધાસાદાં લાગે છે તે અલગ વાત થઈ. હાઈ સોસાયટીના રુડારુપાળા લોકો અંદરથી કેટલા એકલવાયા હોય છે, તેમના પારસ્પરિક સંબંધો કેટલા ખોખલા અને સંવેદનહીન હોય છે તે હકીકત આ ફિલ્મમાં તીવ્રતાથી પેશ થઈ છે. સમાજના આ વર્ગ માટે પ્રેમ કદાચ ટાઈમપાસનું સાધન છે. રોજર ઈબર્ટ કહે છે તેમ, ખરેખર તો આ પાત્રોમાં પ્રેમમાં હોવાની, પ્રેમ કરવાની કે ભવિષ્યમાં ક્યારેય કોઈને ચાહી શકવાની ક્ષમતા જ નથી. પૉલીન કેઈલને આ કિરદારોમાં જિંદગીથી ભયંકર કંટાળેલા છીછરા લોકો દેખાય છે. કંટાળાથી બચવા તેઓ એકમેક તરફ ઢળે છે, પણ એકબીજા પાસેથી તેમને કંટાળો જ મળે છે. સેક્સ એમના માટે કંટાળાને ક્ષણિક દૂર કરવાનું સાધન છે. કદાચ સેક્સ વખતે જ તેઓ બીજા જીવતાજાગતા માણસના અસ્તિત્વનો સ્પર્શ કરી શકે છે.

ફિલ્મમાં ઍનાની શોધનો કોઈ નીવેડો આવતો નથી. ફિલ્મ એમ જ પૂરી થઈ જાય છે. એક છેડો જાણે હવામાં અધ્ધર લટકતો રહી જાય છે. આ આખી વાતને પ્રતીકાત્મક રીતે જોઈ શકાય. પૈસાદાર અને કહેવાતા સુખી પાત્રોનું જીવન પણ આવું જ છે - અધૂરું, અર્થ વગરનું, લય વગરનું, કોઈપણ પ્રકારની લોજિકલ ગતિ કે અંત વગરનું. ફિલ્મમેકર એન્ટોનિયોનીને ઍનાનું પછી શું થયું તે કહેવામાં રસ જ નથી. એને ખરેખર તો ઍનાના ગયા પછી ક્લોડિયા શું કરે છે તે તપાસવામાં રસ છે.

‘ધ એડવન્ચર’ જોતી વખતે તમને કદાચ લાગશે કે આવી આર્ટ ફિલ્મો તો ઘણી જોઈ છે. યાદ રાખવાની હકીકત એ છે કે એન્ટોનિયોનીએ ‘ધ એડવેન્ચર’ બનાવી ત્યારે એની સામે બીજી કોઈ ફિલ્મોનો રેફરન્સ નહોતો. ‘ધ એડવેન્ચર’ની ઓરિજિનાલિટી અને પ્યોરિટી એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. સમયાંતરે નવો પ્રવાહ ઊભી કરતી ફિલ્મો વર્લ્ડ-સિનેમાના અભ્યાસુઓ નહીં જુએ તો બીજું કોણ જોશે.

‘ધ એડવેન્ચર’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : માઈકલેન્જેલો એન્ટોનિયોની

રાઈટર : માઈકલેન્જેલો એન્ટોનિયોની, ઈલિઓ બાર્ટોેલિની, ટોનિનો ગુએરા

કલાકાર : ગબ્રિએલ ફર્ઝેેટી, મોનિકા વિટ્ટી, લિઆ મેસરી

રિલીઝ ડેટ : ૨૯ જૂન, ૧૯૬૦

ભાષા : ઈટાલિયન

મહત્ત્વના અવૉર્ડઝ : માઈકલેન્જેલો એન્ટોનિયોનીને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી પ્રાઈઝ

0 0 0

Friday, November 21, 2014

હોલીવૂડ હન્ડ્રેડ : Film 97 : Koker Trilogy

Mumbai Samachar - Matinee - 21 Nov 2014

હોલીવૂડ હન્ડ્રેડ - શિશિર રામાવત

અત્યંત કડક પાબંદીઓ વચ્ચે અને ડુઝ-એન્ડ-ડોન્ટ્સના જંગલ વચ્ચે પણ - કદાચ એટલે જ - અત્યંત અસરકારક અને હૃદયસ્પર્શી ફિલ્મો બનાવી શકાય છે એ ઈરાનના ડિરેક્ટર-રાઈટર અબ્બાસ કિઆરોસ્તામીએ આખી દુનિયાને શીખવ્યું છે. 

જીવન ચલને કા નામ




મે ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરવાના શોખીન છો? ઈરાનીઅન ફિલ્મો તમને પસંદ છે? તો અબ્બાસ કિઆરોસ્તામીનાં નામ અને કામથી તમે અપરિચિત નહીં હો. અબ્બાસે ઈરાન જેવા રૂઢિચુસ્ત દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય સ્ટેટસ આપવામાં બહુ મોટું યોગદાન આપ્યું છે. ખૂબ બધી ફિલ્મો બનાવી છે એમણે. અબ્બાસની કોકર ટ્રિલોજી તરીકે મશહૂર થયેલી ત્રણ ફિલ્મોની વાત આજે એકસાથે કરવી છે. ટ્રિલોજી એટલે ત્રણ ફિલ્મોનું ઝૂમખું.

ફિલ્મોમાં શું છે?

ટ્રિલોજીની પહેલી ફિલ્મ ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ્’ઝ હોમ?’માં એક નવેક વર્ષના ક્યુટ છોકરાની વાત છે. ભોળો ભોળો અને અતિ માસૂમ એવો આ છોકરો ઉત્તર ઈરાનના કોકર નામના ગામમાં રહે છે. અહમદ (બાબેક અહમદ પૂર) એનું નામ. અહમદ પાસે એની સાથે ભણતા એક ભાઈબંધની નોટબુક પડી છે, જે પેલો ક્લાસમાં ભૂલી ગયેલો. હવે જો ભાઈબંધ આ નોટબુકમાં લેસન કર્યા વગર બીજા દિવસે નિશાળે પહોંચી જશે તો ટીચર ચોક્કસપણે ગુસ્સે થશે અને એને બહાર કાઢી મૂકશે. આવું ન થાય તે માટે નોટબુક બાજુના ગામમાં રહેતા મિત્રના ઘરે આજે જ પહોંચાડવી જરૂરી છે.

અહમદ નિકળી પડે છે. રસ્તામાં નાના-મોટા અનુભવો કરતો કરતો અહમદ ફિલ્મના એન્ડમાં દોસ્તના હાથમાં નોટબુક સોંપી દે છે. બસ, આટલી જ અમથી વાત. રસ્તામાં અહમદ સાથે જે કંઈ બને છે એ ફિલ્મનો મુખ્ય હિસ્સો છે. અહીં કશું જ ડ્રામેટિક કે આઘાતજનક બનતું નથી. સાવ નાની નાની વાતો છે. જેમ કે, સૂની શેરીમાં કૂતરાથી બચવું, કોઈ ઘરના રવેશમાંથી નીચે પડી ગયેલું સૂકું કપડું ગમે તેમ કરીને મહિલાના હાથમાં મૂકવું, વગેરે. અહમદના મા-બાપ અને વચ્ચે મળતા ગામલોકોમાંથી કોઈ એની મદદ કરવા તૈયાર નથી, છતાંય એ દોસ્ત પ્રત્યેની વફાદારી નિભાવ્યે છૂટકો માને છે. 



બીજી ફિલ્મ ‘લાઈફ, એન્ડ નથિંગ મોર...’માં ઈરાનમાં ૧૯૯૦માં આવેલા ભયાનક ભૂકંપનો સંદર્ભ લેવાયો છે. આ ધરતીકંપમાં ૩૦,૦૦૦ કરતાં વધારે માણસોએ જીવ ખોયો હતો. આ ફિલ્મ ડોક્યુમેન્ટરી સ્ટાઈલમાં બનેલી સેમી-ફિક્શન છે. આગલી ફિલ્મ ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ્’ઝ હોમ?’ના કલાકારોનું આ ધરતીકંપમાં શું થયું તે જાણવા ડિરેક્ટર (ફરહાદ ખેરદમંદ) એમને શોધવા કોકર ગામ તરફ નીકળે છે. કુદરતી વિનાશને કારણે કોકર જતા રસ્તા બંધ થઈ ગયા છે. ડિરેક્ટરનો ભેટો કેટલાય સ્થાનિક લોકોે સાથે થાય છે. સૌ એને પોતપોતના અનુભવો કહે છે અને કોકર સુધી પહોંચવામાં થાય એટલી મદદ કરે છે.

કોકરમાં એને પોતાની ફિલ્મમાં કામ કરનારો એક ઍક્ટર એમને મળી જાય છે. ધરતીકંપમાં બચી ગયેલા લોકો પાસેથી ઑર કેટલાક કિસ્સા સાંભળવા મળે છે. સદભાગ્યે પેલા નાનકડા અહમદ સાથે પણ ભેટો થાય છે. ડિરેક્ટર બેઘર બની ચૂકેલા લોકોને ટેન્ટમાં લાવે છે. અબ્બાસના દીકરાને ટીવી પર ફૂટબોલ વર્લ્ડ કપ જોવો છે. બીજા ટાબરિયા અને લોકો પણ ફૂટબોલ મેચ જોવામાં ગુલતાન થઈ જાય જાય છે. ડિરેક્ટર જુએ છે કે આટલા વિનાશ પછી પણ લોકો પોતાની વેદના ભૂલી શકે છે. એમનો જીવન જીવવાનો જુસ્સો અકબંધ છે. આ ફિલ્મમાં એક યુવક-યુવતીની સિકવન્સ પણ છે, જે હવે પછીની ત્રીજી ફિલ્મ માટેનું ટ્રિગર પોઈન્ટની બની રહે છે.

ટ્રિલોજીની અંતિમ ફિલ્મ ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’માં પેલાં કપલની વાર્તા વધારે ખૂલે છે. અહીં શરૂઆતમાં જ ડિરેક્ટર એક ફિલ્મ બનાવવાની ઘોષણા કરે છે. એને તે કોઈ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવા માગે છે. ફિલ્મ-વિધીન-ફિલ્મની સ્ટોરી એવી છે ભયાનક ધરતીકંપ પછી સ્વજનોને ખોઈ ચૂકેલો એક યુવક અને યુવતી લગ્ન કરવાનો નિર્ણય લે છે, કેમ કે જીવન તો ચાલતું જ રહેવું જોઈએ. એક સ્થાનિક યુવાન અને યુવતીને ઍક્ટર તરીકે પસંદ કરવામાં આવે છે. યુવક હુસેન (હોસેની રેઝાઈ) આમ તો અભણ મજૂર છે, પણ એને ફિલ્મમાં એક્ટિંગ કરવાનો મોકો મળી ગયો છે. એની પ્રેમિકા બનતી યુવતી તહેરા એને ખરેખર ગમી જાય છે. તહેરા એને ટાળતી રહે છે, કેમ કે એના પર ખૂબ બધી પાબંદીઓ છે. બન્નેના ધર્મ જુદા છે ને બેયનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સાવ જુદાં છે. 



રીલ અને રિઅલ લાઈફની સેળભેળ થતી રહે છે. શૂટિંગ ચાલુ ન હોય એવા કલાકોમાં યુવક હિંમત હાર્યા વગર યુવતીનું દિલ જીતવાની કોશિશ કરે છે. ડિરેક્ટરને વાતની ખબર પડે છે. આખરે યુવતી યુવકની પ્રપોઝલનો જવાબ આપે છે. આ એક લોંગ શોટ છે. યુવતીએ પેલાનો પ્રેમ સ્વીકાર્યો કે ન સ્વીકાર્યો તેનો ઉત્તર દર્શકને મળતો નથી. આ અસ્પષ્ટતા પર ફિલ્મ પૂરી થાય છે. ટ્રિલોજી પણ.

કથા પહેલાંની અને પછીની

હિન્દી ફિલ્મોવાળા અવારનવાર સેન્સર બોર્ડ સાથે યુદ્ધે ચડતા હોય છે અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન્સના મુદ્દે આક્રમક મુદ્રા ધારણ કરતા હોય છે. કલ્પના કરો કે ઈરાન જેવા અતિ રૂઢિચુસ્ત દેશમાં ફિલ્મમેકરોના હાથ-પગ કેટલા બંધાઈ જતા હશે. છતાંય આ દેશમાં જે રીતે સિનેમાએ છેલ્લા ત્રણ દાયકામાં જે વિકાસ કર્યો છે તે અસાધારણ છે. અત્યંત કડક પાબંદીઓ વચ્ચે અને ડુઝ-એન્ડ-ડોન્ટ્સના જંગલ વચ્ચે પણ - કદાચ એટલે જ - અત્યંત અસરકારક અને હૃદયસ્પર્શી ફિલ્મો બનાવી શકાય છે એ ઈરાનના મેકરોએ આખી દુનિયાને શીખવ્યું છે. આમાં ડિરેક્ટર-રાઈટર અબ્બાસ કિઆરોસ્તામીનું નામ શિરમોર છે.

અબ્બાસ કિઆરોસ્તામીની ફિલ્મોમાં બજેટ પાંખું હોય, સ્પેશિયલ ઈફેક્ટસ કે બીજી ઝાકઝમાળનું નામોનિશાન ન હોય, પણ એની કન્દ્રિય થીમ અને વાતાવરણ એટલાં અસરકારક હોય કે સંવેદનશીલ દર્શકનું હૃદય ભીનું થયાં વગર ન રહે. આર્ટ અને કમર્શિયલના ખાનાં પાડવા જ હોય તો અબ્બાસની ફિલ્મો આર્ટ-હાઉસ સિનેમાના ખાનાંમાં સ્થાન પામે.

આ લેખમાં જેની ચર્ચા થઈ રહી છે એ ત્રણ ફિલ્મોનું ઝૂમખું દુનિયાભરમાં વખણાયું છે. આ ત્રણેય ફિલ્મોને ટ્રિલોજી ગણવાનું કામ ફિલ્મ સમીક્ષકોએ કર્યું છે, અબ્બાસે નહીં. ઈન ફેક્ટ, અબ્બાસને તો આને ટ્રિલોજી ગણવા સામે વાંધો હતો. એમનું કહેવું હતું કે આ ત્રણેય ફિલ્મોમાં કોકર ગામ સિવાય બીજું કશું કોમન નથી. જો સિરીઝ ગણવી જ હોય તો બીજી અને ત્રીજી ફિલ્મ સાથે ‘ટેસ્ટ ઓફ ચેરી’ (૧૯૯૭) નામની ફિલ્મને જોડો, કેમ કે એ ત્રણમાં જિંદગી મૂલ્યવાન છે એવો કેન્દ્રીય વિચાર કોમન છે.

નાના છોકરાવાળી ‘વેર ઈઝ ધ ફ્રેન્ડ’ઝ હોમ?’ ફિલ્મ અબ્બાસની કરીઅરની બીજી જ ફિલ્મ છે. નિતાંત માસૂમિયત છલકે છે એમાંથી. છોકરાની મુસાફરી વાસ્તવમાં એક પ્રતીક છે. સ્વજનો અનુકૂળ ન હોય, સમાજ સાથ આપતો ન હોય છતાંય સંબંધમાં વફાદારી નિભાવવાની એટલે નિભાવવાની જ. જો ઈરાદો મજબૂત હોય તો બધું જ શક્ય છે, એવો આ ફિલ્મનો સંદેશ છે. બીજી ધરતીકંપવાળી ફિલ્મ ‘લાઈફ, એન્ડ નથિંગ મોર...’નો સંદેશ બહુ સ્પષ્ટ છે: જીવન ચલને કા નામ. ચાહે કેટલી મોટી વિપદા કેમ ન આવે, જિંદગી કોઈ પણ સંઘાતથી અટકી પડવી ન જોઈએ. અબ્બાસ કિઆરોસ્તામી અને મોહસીન મખમલબેફ - ઈરાનના આ બે ફિલ્મમેકરો એવા છે જે વાસ્તવ અને કલ્પના વચ્ચેની ભેદરેખા ઘણી વાર ભૂંસી નાખે છે. આ ફિલ્મમાં અબ્બાસની આ લાક્ષણિકતા સરસ ઊપસી છે. 



ત્રીજી ફિલ્મ ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’ના મેકિંગ દરમિયાન લોકેશન પર ખૂબ બધાં ઈમ્પ્રોવાઈઝેશન થયાં હતાં એટલે કે શૂટિંગ કરતાં કરતાં નાનામોટા ઘણા ફેરફારો થયા હતા. આ ફિલ્મની ક્લાઈમેક્સ (કે જેમાં યુવતી એના પ્રેમીને જવાબ આપે છે) વિશે ખૂબ ચર્ચા અને વિશ્ર્લેષણો થયાં છે. અગાઉ અબ્બાસની એવી છાપ પડી ગઈ હતી કે એ ક્યારેય લવસ્ટોરી બનાવતા નથી, પણ આ ઈમેજ ‘થ્રૂ ધ ચેરી ટ્રીઝ’થી તૂટી. ફિલ્મનો સંદેશ એ છે કે સબ સે ઊંચી પ્રેમસગાઈ. જો જીવનમાં પ્રેમનું તત્ત્વ હોય તો જ એ જીવવા જેવું અને સુંદર બની શકે છે.

અબ્બાસની સાદગીભરી ફિલ્મોમાં વાર્તા સામાન્યપણે સાવ પાંખી હોય. દૃશ્યો પડદા પરનાં કાવ્ય જેવાં હોય. પાત્રોનાં બેકગ્રાઉન્ડ વિશે બહુ જ ઓછી માહિતી આપવામાં આવી હોય. અબ્બાસ ઓડિયન્સને પણ ક્રિયેટિવ પ્રોસેસનો હિસ્સો ગણે છે. તેથી ઘણું બધું તેઓ ઓડિયન્સની કલ્પના અને અર્થઘટન પર છોડી દે છે. અબ્બાસ જાણે કે માત્ર ટપકાં દોરે છે, ટપકાં જોડીને આખું ચિત્ર ઊપસાવવાનું કામ દર્શકે જાતે કરી લેવાનું. સૌ પ્રેક્ષકો એકસરખું ચિત્ર ઊપસાવે તે પણ જરાય જરૂરી નહીં. સૌની દૃષ્ટિ જુદી, સૌનાં અર્થઘટન વેગળાં. અબ્બાસ કહે છે કે જો આપણે પેઈન્ટિંગમાં, વાર્તા-કવિતામાં અને શિલ્પમાં એબ્સટ્રેક્ટ સ્વીકારી શકતા હોઈએ તો સિનેમામાં કેમ નહીં.

એક ઈન્ટરવ્યૂમાં અબ્બાસ કહે છે, ‘મારા ઘરની લાઈબ્રેરીમાં તમને વાર્તા-નવલકથાનાં પુસ્તકો નવાનક્કોર દેખાશે, પણ કવિતાનાં પુસ્તકો સાવ ચોળાઈ ગયેલાં હોય. ઘણાનાં પાનાં, પૂઠાં નીકળી ગયાં હોય. આવું એટલા માટે કે વાર્તા-નવલકથા એક વાર વાંચીને હું સાઈડમાં મૂકી દઉં છું, પણ કવિતા પાસે મારે વારે વારે જવું પડે છે. કવિતા હંમેશાં તમારાથી દૂર ભાગે છે. એને પોતાના તરફ ખેંચતા રહેવું પડે. કવિતાને સમજવી અઘરી છે. તેથી એને વારે વારે વાંચવી પડે અને દર વખતે તમારી સામે નવા અર્થો ઊઘડે. અલબત્ત, બધી કવિતાઓ કંઈ આવી હોતી નથી. એ જ પ્રમાણે વાર્તા-નવલકથામાં પણ કાવ્યાત્મકતા હોઈ શકે છે. જોડકણા જેવી નહીં, પણ ગહનતા ધરાવતી સત્ત્વશીલ કવિતામાં ગજબની તાકાત હોય છે. ફિલ્મોનું ય એવું છે. હું માનું છું કે સીધીસાદી સ્ટોરીટેલિંગ ધરાવતી ફિલ્મો કરતાં પોેએટિક સિનેમા વધારે જીવશે.’

ગદ્ય કરતાં પદ્ય ચડિયાતું છે એવા અબ્બાસ કિઆરોસ્તામીના વિચાર સાથે તમે અસહમત હોઈ શકો છો, પણ એક ફિલ્મમેકર તરીકેનો એમનો મિજાજ અને ફિલોસોફી આ ક્વોટમાં આબાદ ઉપસે છે. ફિલ્મ ફેસ્ટિવલો અટેન્ડ કરવાના શોખીન હશો તો એમની ફિલ્મો તમે ઓલરેડી માણી ચૂક્યા હશો, પણ જો આવો મોકો મળ્યો ન હોય તો અબ્બાસની આ ત્રણેય ફિલ્મો જોજો. ફિલ્મો ધૈર્યપૂર્વક માણજો, એ ખૂબ ધીમી લાગે તો પણ.

કોકર ટ્રિલોજી ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર-રાઈટર : અબ્બાસ કિઆરોસ્તામી

કલાકાર : બાબેક અહમદ પૂર, ફરહાદ ખેરદમંદ, બુબા બેયર, હોસેની રેઝાઈ, મોહમદ અલી કેશાવરાઝ

રિલીઝ યર : અનુક્રમે ૧૯૮૭, ૧૯૯૨, ૧૯૯૪

ભાષા : પર્શિઅન

મહત્ત્વના અવૉર્ડઝ : ‘થ્રૂ ધ ઓલિવ ટ્રીઝ’ને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેશન

0 0 0