Sunday, October 31, 2010

દિશા વાકાણીઃ દમદાર દયાભાભી

અહા! જિંદગી’ નવેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત





કોલમઃ ફલક





એની લાઉડ કોમેડી તો તમે જોઈ, પણ આ અભિનય પાછળ છૂપાયેલી સુક્ષ્મ અને દીર્ઘ સાધના વિશે તમે કેટલું જાણો છો?



(શિશિર રામાવતના  ટૂંક સમયમાં પ્રકાશિત થનારા પુસ્તકમાંથી  )


ટીવી સ્ક્રીન પર દયાભાભીને જોઈને તમે ખૂબ હસો છો. શક્ય છે કે તમે દિશા વાકાણીને અસલી જીવનમાં મળો અને જો એ પૂરેપૂરાં મૂડમાં હોય તો તમે અનેકગણું વધારે હસો. દિશાની સેન્સઓફહ્યુમર માત્ર કેમેરા સામે કે મંચ પર અભિનય કરવા પૂરતી સીમિત નથી, રિયલ લાઈફમાં પણ તે હસાવીહસાવીને લોકોનાં પેટ અને જડબાં બણે દુખાડી શકે છે!

પડદા પરની દયાભાભી અને તેને સાકાર કરતી દિશા વાકાણીમાં એક આકર્ષક સામ્ય છે. બણેનાં વ્યક્તિત્વમાં કમાલની સરળતા છે. દયા લગભગ ભોટ કહી શકાય એટલી હદે ભોળી છે, તો દિશાના આંટીઘૂંટી વગરના વ્યક્તિત્વમાં તમને ક્યાંય આંટીઘૂંટી જોવા ન મળે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ની સુપર કામિયાબીએ દિશાને સેલિબ્રિટી સ્ટેટસ આપ્યું છે, અપાર લોકપ્રિયતા આપી છે, એને ઘરેઘરમાં જાણીતી કરી દીધી છે, પણ આ હકીકતની ગરમી દિશાની સૌમ્ય પર્સનાલિટીને સ્પર્શી શકી નથી.



મોરનાં ઇંડાં


Disha Vakani (photograph by Moneesh Kumar)
 દિલીપ જોષીના સ્તરના એક્ટર સાથે સોલિડ જોડી બનાવીને કોમિક પર્ફોર્મન્સમાં તેમને મજબૂત ટક્કર આપવી આસાન નથી જ! ખેર, અભિનય તો દિશા વાકાણીના લોહીમાં વહે છે. તેના પિતા ભીમ વાકાણી વર્ષોથી અભિનેતા તરીકે સક્રિય છે અને રંગભૂમિ, ટેલિવિઝન તેમ જ સિનેમા આ ત્રણેય માધ્યમોમાં ખેડાણ કરી ચૂક્યા છે. અમદાવાદમાં વાકાણી થિયેટર્સના બેનર હેઠળ તેઓ નાટકો પ્રોડ્યુસ કરે, ડિરેક્ટ કરે અને તેમાં અભિનય પણ કરે. પપ્પાનાં દિગ્દર્શન હેઠળ ‘મંગળફેરા’, ‘પહેલો સગો’ જેવાં નાટકોમાં દિશાએ બાળકલાકાર તરીકે નાનીનાની ભૂમિકાઓ ભજવી હતી.

‘મને યાદ છે, રિહર્સલ્સ અને શોઝ દરમિયાન સિનિયર અભિનેત્રીઓ મારા ગાલ ખેંચીને પપ્પાને કહેતી કે ભીમભાઈ, તમારી ઈનહાઉસ હીરોઈન તૈયાર થઈ રહી છે, હોં! મને ત્યારે ‘હીરોઈન’ શબ્દનો અર્થ શો થાય છે એની ખબર ન પડતી પણ મને લાગે છે કે મોટાં થઈને મારે એકટ્રેસ બનવું છે તેવી ઈચ્છાનાં બીજ સિનિયર અભિનેત્રીઓની આ કમેન્ટ સાંભળી સાંભળીને જ રોપાયાં હશે!’ દિશા કહે છે.

નાનકડી દિશા નાટકોની સાથે ગુજરાતી સિરિયલોમાં પણ કામ કરે. ઈસરો પર તે વખતે ‘ખજાનો’ નામની સિરિયલ આવતી. અફઝલ સુબેદાર તેના ડિરેક્ટર. ભરત દવેનાં નિર્દેશનમાં બનેલી ‘માબાપ થવું આકરું’માં દિશાએ મજાની ભૂમિકા ભજવી હતી. દિશા કરતાં ત્રણ વર્ષ મોટો ભાઈ મયૂર જે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં એના અમદાવાદી ભાઈ સુંદરનું કિરદાર નિભાવે છે તે પણ આ નાટકો અને સિરિયલોમાં હોય.

દિશા કહે છે, ‘પપ્પા સાથે છકડામાં ગુજરાતના ગામેગામ ફરીને ‘દારૂ છોડો’ અને ‘બેટી બચાઓ’ જેવા જનજાગૃતિ ફેલાવતા પ્રચારાત્મક શોઝ ઘણા કર્યા છે. સ્વ. શોભન વૈદ્યે લખેલા ‘દુશ્મન’ નામના નાટકના પણ ઘણા શોઝ કર્યા છે. લોકો નીચે જમીન પર બેઠા હોય, કોઈ ઘરના છાપરે ચડીને જોતું હોય. નાટક એ નાટક છે, પછી એ ઓડિટોરિયમમાં ભજવાય કે ખુલ્લામાં ભજવાય. ગામડાંનું આ એક્સપોઝર મને એકટ્રેસ તરીકે ખૂબ કામ આવ્યું.’

નાનપણમાં દિશા સ્વભાવે શરમાળ (ઈન ફેક્ટ, હજુય તેને નવી વ્યક્તિઓ સાથે હળતાભળતા સમય તો લાગે જ છે!), પણ નાટકો અને ગુજરાતી સિરિયલોમાં કામ કરવાને લીધે એનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ ઘડાતો ગયો. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતી દિશા સિદ્ધાર્થ હાઈસ્કૂલમાં ભણે. આ સ્કૂલનો પ્લસ પોઈન્ટ એ હતો કે કલાકાર હોવાથી રજાઓ જોઈએ એટલી મળી રહેતી! દિશા સ્ટુડન્ટ તરીકે ભણેશરી તો નહીં, પણ પરીક્ષામાં પાસ જરૂર થઈ જાય. કાગળ પર પેઈન્ટિંગ કરવાનું હોય કે કૂંજા પર ડ્રોઇંગ કરવાનું હોય ચિત્રકામમાં દિશાને વિશેષ રસ પડે. દિશાને ચિત્રકામમાં વિશેષ રસ પડવાનું કારણ એ હતું કે પપ્પા અમદાવાદની ઉણતિ વિદ્યાલયમાં ડ્રોઇંગ ટીચર હતા. વાકાણી ફેમિલીના સાતેક સભ્યો ફાઈન આર્ટ્સનું ભણ્યા છે. સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાય ત્યારે દિશા શકુંતલા અને જોકર જેવાં પાત્રોનાં વેશ કાઢે. કોમ્પિટિશનમાં નંબર આવે એટલે સ્ટીલની નાનકડી પ્લેટ કે એવું કંઈક ઈનામમાં મળે. આ જ વર્ષોમાં એક વાર પપ્પાના કહેવાથી નામદેવ લહુટેની એક્ટિંગ વર્કશોપ પણ અટેન્ડ કરેલી. નામદેવ લહુટે એટલે એ જ અભિનયગુરુ જેમની પાસે દિલીપ જોષીએ નાનપણમાં ત્રણ વર્ષ ટ્રેનિંગ લીઘી હતી!

‘અમારા માટે વેકેશન એટલે પપ્પા સાથે નાટકો કરવાનાં!’ દિશા કહે છે, ‘એમાં અમને મજા પણ આવતી. નાટકોમાં વ્યસ્ત રહેવાને કારણે બહેનપણીઓ સાથે મિત્રતા ખાસ મેન્ટેઈન ન થતી. પપ્પાની હું ખૂબ લાડકી. મને યાદ છે, એક વાર સ્કૂલમાં હોમ વર્ક નહોતું કર્યું એટલે ટીચર મને વઢેલા. મેં પપ્પાને ફરિયાદ કરી અને ચિઠ્ઠી લખી આપી. એમાં એવું કંઈક લખ્યું કે પછી એ ટીચરે મારી પાસેથી ક્યારેય હોમ વર્ક જ ન માગ્યું! મમ્મીનો સ્વભાવ સંતુલિત. એ બહુ ગુસ્સો ન કરી શકે.’



પ્રેક્ટિકલ પહેલાં, થિયરી પછી

બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી દિશાએ આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર)નું ‘આઘાત’ નામનું નાટક કર્યું, જેનો શો અમદાવાદની એચ.કે. કોલેજ અને ઠાકોરભાઈ હોલ ઉપરાંત અન્ય સ્થળોએ પણ થયા હતા. તેમાં દિશાને શ્રેષ્ઠ અભિનય બદલ અવોર્ડ મળ્યો. દિશા કહે છે, ‘મારે એક્ટિંગની લાઈનમાં જ આગળ વધવું છે તેવી પ્રબળ ઈચ્છા આ ઘટના પછી જાગી. મેં અમદાવાદની ગુજરાત કોલેજના નાટ્યવિદ્યા વિભાગમાં ડિપ્લોમા કોર્સ માટે એડમિશન લીધું. નાનપણથી પપ્પા સાથે નાટકો કરતી હતી પણ નાટ્યશાસ્ત્રનું થિયેરિટિકલ નોલેજ મને ડ્રામા કોલેજમાંથી મળ્યું. ગ્રીક અને અન્ય નાટકો વિશે જાણ્યું, મંચનો કઈ રીતે સારામાં સારો ઉપયોગ કરવો તે વિશે જાણ્યું, મ્યુઝિક ઓપરેટ કરતાં શીખી. શ્રીકાંત સર, સાગર સર, કોઠારી સર વગેરે અમને ભણાવતા. અભિનયની આ પ્રકારની શાસ્ત્રીય તાલીમ ઘણી કામમાં આવે. એનાથી કોન્ફિડન્સ પણ વધે.’



Disha Vakani (photograp by Moneesh Kumar)
હું બહુ વિચારીવિચારીને અભિનય કરનારી નહીં, પણ સ્પોન્ટેનિયસ એક્ટ્રેસ છું. મંચ પર કે કેમેરા સામે અભિનય કરતી હોઉં ત્યારે અચાનક કશુંક આવી જાય કોઈક મુદ્રા, કોઈક જેશ્ચર, કોઈક એક્સપ્રેશન... એવું કશુંક જે મેં રિહર્સલ દરમિયાન ન કર્યું હોય અને તે આ રીતે આવશે તેની મને પણ કલ્પના ન હોય!’
  દિશા ડ્રામા કોલેજમાં ભણવાની સાથે કૌમુદિની લાખિયા પાસેથી કથક પણ શીખી. શાસ્ત્રીય નૃત્યની આ તાલીમ દોઢ વર્ષ ચાલી. અમદાવાદની સિરિયલોમાં નાનુંનાનું કામ પણ સમાંતરે થયા કરે. મુંબઈનાં નાટકો અમદાવાદમાં શોઝ કરવા આવે ત્યારે ઘણી વાર રિપ્લેસમેન્ટમાં સ્થાનિક કલાકારોની જરૂર પડે. આવી ભૂમિકાઓ ભજવવાના મોકા દિશાને મળતા રહે. ‘જેમ કે, સંજય ગોરડિયાના પ્રોડકશન અને હરિન ઠાકરના દિગ્દર્શનમાં બનેલા ‘દેરાણી જેઠાણી’ નાટકમાં મેં નર્સનો નાનો રોલ કરેલો,’ દિશા કહે છે. ‘આ નાટક પછી અમેરિકાની ટૂર પર ગયું ત્યારે મને એમાં દેરાણીનો રોલ આપવામાં આવેલો. મને થયેલું કે વાઉ... આપણને તો પ્રમોશન મળ્યંુ! ‘બા રિટાયર થાય છે’ નાટક અમદાવાદમાં રૂપા દિવેટિયા સાથે રિઓપન થયું ત્યારે હું એમની દીકરી બનેલી. કોલેજમાં મોહન રાકેશનું ‘અષાઢ કા એક દિન’ કરેલું, જેનું ડિરેકશન મયૂરભાઈએ કરેલં. મૌલિન મહેતાની ‘સંગાથ’ નામની સિરિયલ કરેલી, પ્રફૂલ ભાવસાર સાથે ‘ગંગુ’ નામની ડોક્યુમેન્ટરી કરેલી.ં ઉપરાંત, કોલેજમાં મેં ‘નેજવાની છાંય તળે’ નામનું નાટક ડિરેક્ટ પણ કરેલું.’

અમદાવાદની નાટ્યપ્રવૃત્તિની તુલનામાં મુંબઈની કમર્શિયલ રંગભૂમિ વધારે વિસ્તરેલી રહી છે. મુંબઈનાં નાટકો અમદાવાદની ટૂર પર આવે એટલે અખબારોમાં તેની જાહેરાતો છપાય, જેેમાં હીરોહીરોઈનની તસવીરો આકર્ષક રીતે મુકાયેલી હોય. દિશાની બસ આ એક જ દિલી તમન્નાઃ મારો ફોટો પણ આ રીતે નાટકની જાહેરાતોમાં છપાય તો કેવું સારું!



ચલો મુંબઈ!

ડ્રામા કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ દિશાએ ઘોષણા કરી દીધીઃ પપ્પા, મારે જવું છે, મુંબઈ....!

પપ્પાએ કહ્યુંઃ તું પહેલાં એક્ઝામ્સ આપ, પછી શાંતિથી વિચાર કે તારે આગળ શું કરવું છે...

દિશાએ ક્યાં ઝાઝું વિચારવાનું હતું? તેણે કહ્યુંઃ મેં વિચારી લીધું છે. મારે મુંબઈ જવું છે... ને તમેય ચાલો મારી સાથે!

‘તે વખતે હું વિચારી નહોતી શકતી કે પપ્પા માટે અમદાવાદ છોડીને મુંબઈ આવવાનો નિર્ણય કેટલો મોટો ગણાય!’ દિશા કહે છે, ‘મારે તો મારાં સપનાંને આગળ ધપાવવાં હતાં....અને પપ્પાને પણ નાટકો પ્રત્યેનો મારો આ લગાવ ગમતો હતો. મારા માટે પપ્પાએ સ્કૂલમાંથી ત્રણ વર્ષ વહેલું રિટાયરર્મેન્ટ લઈ લીધું. પપ્પાનો સપોર્ટ હતો તેથી મારા ઈરાદા વધારે મજબૂત બનતા હતા, મને બળ મળતું હતું...’

મમ્મી (તેઓ પણ સ્કૂલ ટીચર હતાં), એચકે કોલેજ અને ફાઈન આર્ટ્સ કોલેજ બણેમાં એકસાથે ભણી રહેલો ભાઈ મયૂર અને નાની બહેન ખુશાલી અમદાવાદ જ રહે અને દિશા પપ્પા સાથે માયાનગરીની અભિનયની દુનિયામાં નસીબ અજમાવે તેવો નિર્ણય લેવામાં આવ્યો.

... અને આમ દિશા વાકાણીએ આંખોમાં ખૂબ બધાં સપનાં આંજીને અમદાવાદને અલવિદા કહી મુંબઈપ્રવેશ કર્યો!



સ્ટ્રગલ ટાઈમ

‘હું મુંબઈમાં સેટલ થઈ રહી હતી ત્યારે ગોપી દેસાઈએ પણ મને ઘણી મદદ કરેલી. તેઓ ‘બાલદૂત’ નામની સિરિયલ ડિરેક્ટ કરી રહ્યાં હતાં. તેમાં મને રોલ આપેલો. તેમના કહેવાથી બાલાજી ટેલિફિલ્મ્સની ‘ઈતિહાસ’ નામની સિરિયલમાં પણ કામ મળ્યું હતું.

તમે મુંબઈ જેવા શહેરમાં સેટલ થવા માગતાં હો ત્યારે આ રીતે કામ મળતાં રહે અને તમારા બાયોડેટામાં આવાં કામ ઉમેરાતાં રહે તો તે ખૂબ ઉપયોગી પુરવાર થાય છે.’

ગોરેગાંવ વિસ્તારમાં ફ્લેટ ભાડે લઈને બાપદીકરીનું મુંબઈજીવન શરૂ કર્યુંં. સ્ટ્રગલની શરૂઆત અલબત્ત, નાટકોથી જ થઈ, પણ એમ ગુજરાતી રંગભૂમિ પર ‘હીરોઈન’ તરીકે આસાનીથી એન્ટ્રી થોડી મળે? ટીવી સિરિયલો માટે ઓડિશન્સ આપવાના પણ શરૂ કર્યાં.

દિશા કહે છે, ‘પપ્પાએ ખાસ મારા માટે ‘લગન્ કરવાં લાઈનમાં આવો’ નામનું નાટક પ્રોડ્યુસ કર્યું. આ કામ જોમખી હતું, પણ મારી કરીઅર બને તે માટે પપ્પાએ ખૂબ બધી તકલીફો વેઠીને પણ નાટક કર્યું.

‘લગ્ન કરવા લાઈનમાં આવો’ નાટકે એક મહત્ત્વનું કામ કર્યું દિશાની ગુજરાતી નાટકની હીરોઈન બનવાની અને અખબારોમાં છપાતી જાહેરાતોમાં પોતાનો ફોટોગ્રાફ જોવાની તમણા પૂરી કરવાનું! જોકે આ હોમ પ્રોડકશન હતું એટલે સપનું સાકાર થવાથી જે ‘કિક’ લાગવી જોઈએ તે હજુ નહોતી લાગી...

‘ધીમે ધીમે મને નાટકો મળવાં લાગ્યાં. જે. અબ્બાસે પ્રોડ્યુસ કરેલું અને ઈમ્તિયાઝ પટેેલે ડિરેક્ટ કરેલું ‘ખરાં છો તમે!’ કર્યું. સૌમ્ય જોશીએ લખેલું આઈએનટીનું ‘અલગ છતાં લગોલગ’ કર્યું, જેના ડિરેક્ટરપ્રોડ્યુસર સુરેશ રાજડા હતા. (સુરેશ રાજડાના પુત્ર માલવ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ના અસોસિયેટ ડિરેક્ટર છે.) મુુનિ ઝા અને સુજાતા મહેતાની ‘અલગ છતાં લગોલગ’માં મુખ્ય ભૂમિકાઓ હતી. આ નાટક દરમિયાન સુજાતાબહેન સાથે ઓળખાણ કેળવાઈ. તેમણે મને ઘણું શીખવ્યું. નાટ્યક્ષેત્રમાં એટલે જ મને લોકો ‘ગુરુમાની શિષ્યા’ તરીકે પણ ઓળખે છે! મેહુલકુમારના પ્રોડકશન અને દીપક બાવસ્કરે ડિરેક્ટ કરેલા ‘સો દહાડા સાસુના’ પછી સંજય ગોરડિયાનું ‘ચાલ ચંદુ પરણી જઈએ’ આવ્યું. તેમાં ચાર કપલ્સની વાત હતી. એમાંનું એક કપલ મારું અને મનીષ મહેતાનું હતું. સંજયસરે મને હંમેશાં સારા રોલ જ ઓફર કર્યા છે.’

દિશાની કોમેડીની સુપર્બ સેન્સનો પહેલો ચમકારો ‘ચાલ ચંદુ પરણી જઈએ’માં દેખાયો!

‘અગાઉ તો જે રોલ ઓફર થતો તે સ્વીકારી લેતી, પણ ‘ચંદુ...’ પછી હું થોડી સિલેક્ટિવ બની,’ દિશા ઉમેેરે છે.

વચ્ચે અમદાવાદ જઈને દિશાએ સિતાંશુ યશશ્ચંદ્રે લખેલા ‘અશ્વત્થામા હજુ જીવે છે’ નાટકના થોડા શોઝ કર્યા. નિમેશ દેસાઈએ તે ડિરેક્ટ કરેલું. ‘અલગ છતાં લગોલગ’ નાટક ચાલી રહ્યું હતું તે દરમિયાન ઈટીવી ગુજરાતી ચેનલ માટે ‘ગીત ગુંજન’ નામના ડેઈલી શોનું એન્કરિંગ કરવાનું કામ સ્વીકાર્યું. દિશા કહે છે, ‘આ કાર્યક્રમના મેં એક હજાર એપિસોડસ કર્યા. હૈદરાબાદ અને અમદાવાદ જઈને શૂટિંગ કરવાનું રહેતું. મહિનામાં સાત દિવસ આ શોને આપવા પડતા. ગુજરાતી દૂરદર્શન માટે ‘સહિયર’ અને ‘સખી’ કર્યું. આ બધા શોઝને લીધે મને ફાયનાન્શિયલ સપોર્ટ મળતો.’

પણ આ કાર્યક્રમોને લીધે હૈદરાબાદઅમદાવાદની ટૂર વારેવારે થતી એટલે મુંબઈનાં કામ બહુ ડિસ્ટર્બ થવાં માંડ્યાં. આખરે પપ્પાએ દિશાને કહેવું પડ્યુંઃ તું બોમ્બે શાના માટે આવી હતી? તું પેસાની ચિંતા ન કર. અમારો તને પૂરેપૂરો સપોર્ટ છે જ.

‘પછી મેં થોડો સમય વિરામ લીધો. તે પછી આવ્યું ‘લાલી-લીલા’.... અને આ નાટક મારી કરીઅરનું ટર્નંિગ પોઈન્ટ સાબિત થયું!’



‘લાલી-લીલા’ - હવે બની અસલી હીરોઈન!


Disha Vakani (right) in Lali-Lila
 દેવેન્દ્ર પેમ લિખિત, વિપુલ મહેતા દિગ્દિર્શિત અને સંજય ગોરડિયા નિર્મિત આ નાટકમાં કન્જોઈન્ડ ટિ્વન્સ એટલે કે પેટથી જોડાયેલી બે બહેનોની હૃદયસ્પર્શી વાત હતી. દિશાની પસંદગી લાલીની ભૂમિકા માટે થઈ હતી. સ્વાભાવિક રીતે જ લીલા બનતી અભિનેત્રી એવી હોવી જોઈએ જેની હાઈટ દિશા સાથે મેચ થતી હોય. આ માપદંડને લીઘે લીલાના કાસ્ટિંગમાં બહુ સમય લાગ્યો. આખરે મૌસમ નામની સુંદર એકટ્રેસ મળી અને તેને લીલાનું કિરદાર આપવામાં આવ્યું. આ નાટક ભજવવું કઠિન હતું. રિહર્સલ્સ દરમિયાન અને પછી શો વખતે દિશા અને મૌસમને પેટથી રીતસર પાટામાં લપેટી લેવામાં આવતી.

‘હું સહેજ પણ અતિશયોક્તિ વગર કહી શકું છું કે આ નાટક માટે મેં ‘પેટે પાટા બાંધીને’ મહેનત કરી હતી...’ દિશા ખડખડાટ હસતાં કહે છે.

એકદમ જ નવો વિષય ધરાવતું ‘લાલીલીલા’ નાટક સુપરહિટ પુરવાર થયું. દેશવિદેશમાં તેના ૩૬૫ શોઝ થયા. જયા બચ્ચન શ્રીદેવી, બોની કપૂર જેવાં બિનગુજરાતી સેલિબ્રિટીઝે પણ તે માણ્યું. લીલા તરીકે મૌસમ પછી આરતી અને દીપાલી નામની બીજી બે યુવતીઓ બદલાઈ ગઈ, પણ લાલીના પાત્રમાં દિશા છેક સુધી અણનમ રહી.

‘લાલી-લીલા’એ દિશા વાકાણીને ગુજરાતી નાટકોની ‘પ્રોપર હીરોઈન’ બનાવી દીધી! ‘લાલીલીલા’ ત્યાર બાદ જુદી કાસ્ટ સાથે પણ આ જ નામે હિન્દીમાં પણ અવતર્યું.

આ નાટક દરમિયાન દિશાએ હેટ્સ ઓફ્ફ પ્રોડકશનની ‘ખિચડી’ નામની સિરિયલમાં નાનો રોલ કર્યો. તે પછી આ જ પ્રોડકશન હાઉસની ‘રેશમડંખ’ નામની સિરિયલ કરી, જે મહેશ યાજ્ઞિક અને આતિશ કાપડિયાએ સંયુક્તપણે ‘ચિત્રલેખા’માં લખેલી ધારાવાહિક નવલકથા પર આધારિત હતી. આ રોલ ખાસ્સો મહત્ત્વનો હતો. હેટ્સ ઓફ્ફ પ્રોડકશનમાં પણ નાનો રોલ કર્યા પછી મોટી ભૂમિકા મળવાથી દિશાને ખૂબ આનંદ થયો. શોભના દેસાઈ પ્રોડકશન્સની ‘થોડી ખુશી થોડે ગમ’માં પણ દિશાએ થોડા સમય માટે એક ભૂમિકા ભજવી.



...જ્યારે હૃતિક રોશને દિશાની આંખોમાં આંખો પરોવી!

દિશાના પિતાજી ભીમ વાકાણીએ આમિર ખાને પ્રોડ્યુસ કરેલી અને આશુતોષ ગોવારીકરે ડિરેક્ટ કરેલી ઓસ્કર-નોમિનેટેડ ‘લગાન’માં કાજીસાહેબની નાનકડી પણ મજાની ભૂમિકા ભજવી હતી.

‘મેં પણ ‘લગાન’ માટે ઓડિશન આપેલું,’ દિશા કહે છે, ‘પણ મારો ચાન્સ નહોતો લાગ્યો.’

Disha with Aishwarya Rai in Jodha-Akbar
જો કે દિશાને આમિર ખાન સાથે એક સીનમાં તો એક સીનમાં કામ કરવાનો મોકો જરૂર મળ્યો કેતન મહેતાના ડિરેકશનમાં બનેલી ‘મંગલ પાંડે’ ફિલ્મમાં. તેમાં દિશા એક દશ્યમાં રાની મુખર્જી સાથે રૂપજીવિનીના સ્વાંગમાં દેખાઈ. એણે આશુતોષ ગોવારીકરની ‘સ્વદેસ’ માટે ય ઓડિશન આપેલું. આખરે ‘જોધા-અકબર’માં આશુતોષ ગોવારીકરે એને ઐશ્વર્યા રાયની સખી માધવીનો રોલ આપ્યો.

‘જોધા-અકબર’ના સેટ પર બનેલો એક પ્રસંગ દિશા કદાચ આખી જિંદગી ભૂલી નહીં શકે.

બન્યું એવું કે રિસામણે ચાલી ગયેલી જોધા (એટલે કે ઐશ્વર્યા)ને મનાવવા માટે અકબર (એટલે કે હૃતિક) એના પિયર આમેર આવ્યો છે તે સીનનું શૂટિંગ ચાલી રહ્યું હતું. દશ્ય એવું છે કે હૃતિકનું સ્વાગત કરવા આખો ચહેરો ઢંકાઈ જાય એટલો ઘૂંઘટ તાણીને કેટલીય સ્ત્રીઓ સામે ઊભી છે. હૃતિકે શોધી કાઢવાનું છે કે આમાંથી પોતાની જોધા કઈ છે.

‘હૃતિક અને આશુસર ડિસ્કસ કરી રહ્યા હતા કે ઘૂંઘટ એક્ઝેકટ્લી કેટલો ઉઠાવવો. આશુસર કહે, ચાલો આપણે એકવાર રિહર્સલ કરી લઈએ. તેમણે આસપાસ નજર ફેરવી. હું નજીકમાં જ બીજી છોકરીઓ સાથે ઊભી હતી. આશુસરે એકદમ કહ્યું, દિશા, જરા અહીં આવ તો! પછી મને હૃતિક સામે ઊભી કરી દીધી. હૃતિકે બે હાથે મારો ઘૂંઘટ પકડ્યો, ધીમેથી ઊંચો કર્યો અને બોલ્યો, સર, ઈતના ઠીક હૈ?... અને પછી જાણે જોધાની આંખોમાં જોઈ રહ્યો હોય તેમ એણે મારી સામે જોયું. અમારી નજરો મળી... અને મારા દિલના ધબકારા વધી ગયા! ઈમેજિન, હૃતિક રોશન મારો ઘૂંઘટ ઉઠાવી રહ્યો હતો! પછી તો મારો આખો દિવસ કેવો ગયો તે હું જ જાણું છું!’

આ કિસ્સો યાદ કરીને દિશા ખડખડાટ હસી પડે છે. પર્સનલ લાઈફમાં, ખેર, દિશાને હજુ મિસ્ટર રાઈટ મળવાનો બાકી છે!



... અને આખરે દયા જેઠાલાલ ગડા

‘જોધા-અકબર’ પછી દિશાનું એક ઓર હિટ નાટક આવ્યું ઉમેશ શુક્લે ડિરેક્ટ કરેલું ‘કમાલ પટેલ ધમાલ પટેલ’. પ્રોડ્યુસર ભરત ઠક્કર અને કિરણ ભટ્ટ. તે અરસામાં નીલા ટેલીફિલ્મ્સની ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ની કાસ્ટિંગ પ્રોસેસ શરૂ થઈ ચૂકી હતી. ક્રિયેટિવ પ્રોડ્યુસર આસિત મોદી જેઠાલાલ યા તો ચંપકલાલના પાત્રમાં દિલીપ જોષી સિવાય બીજા કોઈ એક્ટરને જોઈ શકતા નહોતા, તેમ દયાના કિરદારમાં તેઓ માત્ર અને માત્ર ડિમ્પલ શાહને જ વિઝયુલાઈઝ કરી શકતા હતા! આસિત મોદીની સૌથી પહેલી સિરિયલ ‘હમ સબ એક હૈં’માં તેણે ગુજરાતી પટેલ યુવતીનું પાત્ર અફલાતૂન રીતે ઉપસાવ્યું હતું. જોકે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’માં કામ કરવું તેના માટે શક્ય બને તેમ નહોતું, કારણ કે તેની દીકરી તે વખતે ખૂબ નાની હતી અને તેની સંભાળ લેવાની જવાબદારી સૌથી અગત્યની હતી. જોકે ડિમ્પલે ખુદ દયાના પાત્રમાં બંધ બેસી શકે તેવી બેત્રણ અભિનેત્રીઓનાં નામ આપ્યાં.

... અને તેમાંનું એક નામ હતું દિશા વાકાણી!

દયા માટે લાયક અભિનેત્રીઓ વિશે પછી દિલીપ જોષી સાથે વાત થઈ ત્યારે તેમણે પણ દિશા વાકાણીનું નામ સજેસ્ટ કર્યું.

‘હમ સબ એક હૈં’ સિરિયલ ચાલતી હતી ત્યારે દિશા વાકાણી એક વાર આસિત મોદીને મળવા સેટ પર આવી હતી. કોણ જાણે કેમ તે વખતે તેમના મનમાં એવી ઈમ્પ્રેશન પડી હતી કે આ છોકરી ગંભીર અને રડકુ રોલ કરી શકે, કોમેડીમાં તે ન ચાલે! દિશામાં એક્ટિંગ અને એનર્જીનો મહાસાગર ઊછળતો હશે એવી તો કલ્પના સુધ્ધાં નહીં.


Dilip Joshi
 દિલીપ જોષીએ દિશાના નામનું સૂચન કર્યું ત્યારે સૌથી પહેલાં તો આસિત મોદીને તેને ગંભીરતાથી ન લીધું, પણ પછી તેને મળવાનું નક્કી કર્યું. યોગાનુયોગે ‘કમાલ પટેલ ધમાલ પટેલ’ની સહકલાકાર અને સખી અંબિકા રંજનકરે (કે જે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ સિરિયલમાં મિસિસ હાથી બને છે) દિશાને આ સિરિયલ વિશે ઓડિશન આપવા જવાનું દિશાસૂચન કરેલું. દિશા આસિત મોદીને મળી. સિરિયલ વિશે ટૂંકમાં માહિતી આપીને આસિત મોદીએ સાશંક સ્વરે એને સીધું જ પૂછી લીધુંઃ પણ તારાથી કોમેડી થઈ શકશે?

- ચોક્કસ થઈ શકશે, સર! તમને એક કોમેડી આઈટમ કરીને બતાવું? દિશાએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો.

...અને નવશીખિયાઓની બનેલી કોઈ નાટકમંડળીના અધૂરા ઘડા જેવા અમદાવાદી ડિરેક્ટરની સરસ મિમિક્રી દિશાએ કરી દેખાડી. તેનું પર્ફોર્મન્સ એટલું કમાલનું હતું આસિત મોદી હસીહસીને બેવડ વળી ગયા! એમને થયું કે ક્યા બાત હૈ..! તેમણે દિશા સાથે વધારે વાતો કરી અને તે ધીમે ધીમે ઊઘડતી ગઈ. ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ માટે દિશા યોગ્ય છે તે વાતે તેઓ કન્વિન્સ થતા ગયા. મુખ્ય કાસ્ટિંગની બાબતમાં આસિત મોદી સારી એવી ચીકાશ કરે. એમના મનમાં પાત્રનંું સ્પષ્ટ ચિત્ર રમતું હોય. દિશામાં તેમને દયાનું ચિત્ર મળી ગયું. આસિત મોદીએ દિશાને દયા તરીકે લોક કરી નાખી.

કોણ કહે છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધ લાસ્ટ ઈમ્પ્રેશન? કમસે કમ દિશા વાકાણીના કિસ્સામાં તો આ કહેવત સાચી નથી જ!



ગુંગી ગુડિયા

દિશાએ તારક મહેતાને વાંચેલા. એક વખત ભાઈદાસ ઓડિટોરિયમમાં કોઈક કાર્યક્રમની ઉજવણીમાં દિશાને તારક મહેતાએ તેમનું ‘તારકનો ટપુડો’ આપેલું. દિશાએ તેના પર લેખકનો ઓટોગ્રાફ પણ લીધેલો.

‘મને જેઠાલાલની પત્ની દયાનો રોલ મળ્યો એટલે હું તો વિચારમાં પડી ગયેલી, કારણ કે ‘દુુુનિયાને ઊંધાં ચશ્માં’ લેખમાળામાં દયા તો કશું કરતી જ નથી! ઓડિશન પછી ઘરે જઈને મેં કબાટમાંથી પાછાં તારક મહેતાનું પુસ્તક કાઢ્યું અને ફરી એક વાર બધું જોઈ ગઈ કે ખૂણેખાંચરે ક્યાંય દયા કશુંય બોલતી કે કંઈ કરતી દેખાય છે ખરી!’

આમ કહેતાં કહેતાં દિશા ફરી મોટેથી હસી પડે છે.

દિશાને ટેન્શન થઈ જવું સ્વાભાવિક હતું, કારણ કે તારક મહેતાની હાસ્ય લેખમાળામાં તો દયાનું પાત્ર લગભગ મૌન અને હાંસિયામાં ધકેલાયેલું છે! દિશા કહે છે, ‘હાસ્ય લેખમાળામાં દયા ભલે કશું નથી કરતી, પણ સિરિયલમાં આ કેરેક્ટર ડેવલપ થવાનું છે એવું કશું મને કહેવામાં નહોતું આવ્યું. મારી પાસે આ સિરિયલ કરવાનાં ચાર કારણો હતાં. એક તો, એક વાચક તરીકે તારક મહેતાનાં લખાણોમાં મને હંમેશાં મજા આવી છે. બીજું, આસિતભાઈનું અને નીલા ટેલિફિલ્મ્સનું ટીવી ઈન્ડસ્ટ્રીમાં સારું નામ અને કામ છે. ત્રીજું, મને દિલીપસર સાથે કામ કરવાનો, એમની પત્નીનો રોલ કરવાનો મોકો મળતો હતો અને ચોથું ધર્મેશસર (ડિરેક્ટર ધર્મેશ મહેતા) સાથે મેં અગાઉ ‘સંસાર’ નામની સિરિયલમાં એક્ટિંગ કરી હતી પણ હવે તેમના ડિરેકશનમાં અભિનય કરવો હતો.’

દયાના રોલમાં દિશા વાકાણી ફાઈનલ થઈ ગયા પછી ય દિશાના મનમાં અવઢવ તો રહી જ.

તારક મહેતાનાં લખાણોમાં તો દયા ગૂંગી ગુડિયા છે અને ભાગ્યે જ એની હાજરી વર્તાય છે. છતાંય જે કામ મળ્યું છે તે શિરોમાન્ય ગણીને દિશા કામે લાગી ગઈ.

... પણ એકલી દિશાને જ નહીં, પણ ટીમના તમામ સભ્યોમાંથી કોઈને એ વાતનો અંદેશો સુધ્ધાં નહોતો કે આ જ દયા સિરિયલનો હાઈપોઈન્ટ બની જવાની છે અને સોલિડ ધમાલ મચાવી મૂકવાની છે!





==૦==૦==



બોક્સઃ ૧ અજબ અવાજ ગજબ પ્રભાવ



કોર્ટનાં દશ્યો શૂટ થઈ ગયાં પછી આજે અંધેરી (ઈસ્ટ)માં આવેલા કમાલિસ્તાન સ્ટુડિયોમાં શૂટિંગ છે. ડ્રીમ સિકવન્સના ભાગરૂપે અહીં જેલનો સેટ ઊભો કરવામાં આવ્યો છે. કેદીના પોષાકમાં સજ્જ થયેલા જેઠાલાલ તેમ જ દયા પર અમુક દશ્યો ઝડપવાનાં છે. દિલીપ જોષી અને દિશા વાકાણીને ડિરેક્ટર ધર્મેશ મહેતા રિહર્સલ કરાવી રહ્યા છે. દિલીપ જોષીએ જેઠાલાલનું કેરેક્ટર સ્ક્રેચ (એટલે કે રફ, ટ્રાયલ) એપિસોડમાં જ પકડી લીધું હતું. તારક મહેતાની લેખમાળામાં દયા ચૂપચાપ રહે છે, પણ મહિલાપાત્રોનાં વર્ચસ્વવાળી ટીવી સિરિયલોની દુનિયામાં નાયિકા મૌન રહે તે પરવડે નહીં. તેથી આસિત મોદી અને તેમની ક્રિયેટિવ ટીમે દયાનું મજાનું વાચાળ વર્ઝન તૈયાર કર્યું છે, એનાં વર્તનવર્તણૂક સરસ રીતે ડિફાઈન કરી નાખ્યાં છે, પણ કોણ જાણે કેમ દયાના પાત્રાલેખનમાં હજુય કશુંક ખૂટતું લાગે છે. કશુંક એવું એલીમેન્ટ જે દયાના કેરેક્ટરમાં ઝમક લાવી દે. દયાના પાત્રાલેખનને ઈન્ટરેસ્ટિંગ બનાવવા બીજું શું થઈ શકે? શું નવું લાવી શકાય એમ છે? દિલીપ જોષીને અચાનક કશુંક યાદ આવે છે.

‘દિશા, તને યાદ છે, તે દિવસે બેકસ્ટેજ પર તું કોઈની મિમિક્રી કરીને સૌને હસાવી રહી હતી?’

‘કઈ મિમિક્રી?’

‘કેમ? ‘કમાલ પટેલ ધમાલ પટેલ’ નાટકના શો પછી હું બેકસ્ટેજમાં બધાને મળવા આવેલો ત્યારે તું કંઈક વિચિત્ર અવાજ કાઢીને કોઈની નકલ નહોતી કરતી?’

‘અરે હા.. હા. યાદ આવ્યું!’ દિશા મલકાય છે.

‘ધર્મેશભાઈ, દિશાનો એ અવાજ સાંભળવા જેવો છે,’ દિલીપ જોષી કહે છે.

‘અચ્છા?’ ધર્મેશ મહેતાને રસ પડે છે. ‘એ તારા જુદા અવાજમાં એકાદ ડાયલોગ ટ્રાય કર તો, દિશા!’

દિશા પોતાના ઓરિજિનલ મધુર અવાજને તોડીમરોડીને, તેને વધારે ઘેઘૂર કરીને, તે જાણે ગળાના તળિયેથી ઘસાઈને બહાર આવી રહ્યો હોય તેવો કઢંગો બનાવીને દયાનો એક સંવાદ બોલે છે. સાંભળવામાં તે એટલું રમૂજી લાગે છે કે ધર્મેશ મહેતા અને દિલીપ જોષી હસ્યા વગર રહી શકતા નથી.

‘આ ખરેખર સારું છે!’ ડિરેક્ટર કહે છે, ‘દિશા, કોનો અવાજ છે આ?’

‘સર, અમદાવાદમાં સ્મિતાબેન કરીને એક સિનિયર એકટ્રેસ છે. પપ્પાનાં પરિચિત છે. ઘણી જૂની ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. અમે આજુબાજુનાં ગામડાંમાં પ્રચાર શો કરવા જતાં ત્યારે એક વાર સાથે આવેલાં,’ દિશા જણાવે છે.

દિલીપ જોષીની અનુભવી દષ્ટિ જોઈ શકે છે કે દયાની આ પ્રકારની ડાયલોગ ડિલિવરીમાં ‘આઈટમ’ બની શકવાની તાકાત છે.

‘બહોત અચ્છે દિશા,’ દિલીપ જોષી કહે છે, ‘બસ, હવે દયાના બધા ડાયલોગ્ઝ આ જ અવાજમાં બોલજે.’

પ્રોડ્યુસર આસિત મોદી સેટ પર સહેજ મોડા પહોંચે છે. આમેય ફિલ્મસિટી અને કાંદિવલીના સેટ સમયસર તૈયાર કરી દેવાનું કામ તેમના અગ્રતાક્રમમાં ટોચ પર છે. તેમને દિશાના બદલાયેલા અવાજ વિશે વાત કરવામાં આવે છે. દિશા એક નમૂનો પેશ કરે છે. દિશાનો ડાયલોગ સાંભળીને પ્રોડ્યુસરના ચહેરા પર સ્મિત તો આવી ગયું, પણ તેઓ અપેક્ષા કરતાં જુદી જ વાત કરે છે.

‘ના દિશા, તું તારા ઓરિજિનલ અવાજમાં જ ડાયલોગ બોલજે,’ આસિત મોદી કહે છે.

‘કેમ આસિત? ન જામ્યું?’ દિલીપ જોષી પૂછે છે.

‘ના ના, ન જામવાની વાત જ નથી.’

‘તો પછી?’ દિલીપ જોષી આગ્રહપૂર્વક કહે છે, ‘આસિત, મને પોતાને દિશાને સાંભળીને હસવું આવે છે તો વિચારો કે ઓડિયન્સને કેટલું હસવું આવશેે! મારી વાત માનો, આ હિટ આઈટમ છે.’

‘જુઓ, તમે લોકો દિશાનો અવાજ બદલો એની સામે મને કોઈ વાંધો નથી, પણ મારી ચિંતા જુદી છે,’ આસિત મોદી કહે છે, ‘શું છે, નકલી અવાજમાં બોલવાથી દિશાના ગળાને ખૂબ તકલીફ પડશે. આપણી ડેઈલી કોમેડી સિરિયલ છે, રોજેરોજ શૂટિંગ કરવાનું છે. મને ડર છે કે દિશા આ અવાજ મેન્ટેઈન નહીં કરી શકે... અને અધવચ્ચેથી અવાજ બદલવો પડશે તો ઊલટાનું ખરાબ લાગશે. એના કરતાં દિશા ઓરિજિનલ વોઈસમાં બોલે એ જ બરાબર છે.’

આસિત મોદીની વાત તો તર્કશુદ્ધ છે. દિલીપ જોષી બે ઘડી વિચારમાં પડી જાય છે. પછી દિશા સામે જુએ છે, ‘દિશા, તારું શું કહેવું છે?’

‘મને લાગે છે કે હું આ નકલી અવાજ જાળવી શકીશ,’ દિશા કહે છે, ‘વાંધો નહીં આવે.’

પ્રોડ્યુસર, ડિરેક્ટર અને બણે કલાકારો વચ્ચે લાંબી ચર્ચા ચાલે છે. દિશા પાક્કો ભરોસો આપે છે. આખરે આસિત મોદી આખરે તેને અવાજ બદલવાનું જોખમ ઉઠાવવા માટે હા તો પાડે છે, પણ મનોમન તેમણે વિચારી લીધું છે કે ધારો કે દિશા ભરોસાનું પાલન ન કરી શકી અને મૂળ અવાજ પર આવવું પડ્યું તો કોઈ એપિસોડની વાર્તામાં એવું બતાવી દઈશું કે દયાએ કશીક દવા ખાધી અને તેનો અવાજ નોર્મલ થઈ ગયો ગયો!

શૂટિંગ પાછું આગળ વધે છે. નકલી અવાજે ડાયલોગબાજી કરી રહેલી દયા અને બીજા સૌને ગુડ લક કહીને આસિત મોદી વિદાય લે છે. તેમને, કરે ફોર ધેટ મેટર, બીજા કોઈને ક્યાં કલ્પના છે કે સિરિયલની લોકપ્રિયતાને ક્યાંની ક્યાં પહોંચાડવામાં દિશાના આ જ ફાટેલા અવાજનો સિંહફાળો હશે?



==૦==



બોક્સઃ ૨ સેલિબ્રિટી સ્ટેટસ? એ વળી ર્શું?



‘સેલિબ્રિટી? અરે, હજુ હમણાં સુધી હું બસ, ઓટોરિક્ષા અને લોકલ ટ્રેનમાં ફરતી હતી...,’ દિશા કહે છે, ‘મને યાદ છે એકવાર હું અને મૂનમૂન (બબિતા) રિક્ષામાં કશેક જઈ રહ્યાં હતાં. રિક્ષાના ડ્રાઈવરે અચાનક અમારા ચહેરા દેખાય તે રીતે અરીસો એડજસ્ટ કર્યો. ‘અમુક લોકોને લેડીઝને ઘૂરીઘૂરીને જોવામાં જરાય શરમ નડતી નથી’ અને એવું બધું બોલીને અમે એને ટોન્ટ મારવાની કોશિશ કરી. એણે તોય અમારા સામે ટગર ટગર જોવાનું ચાલુ રાખ્યું, એટલે અમે એને બરાબરનો ઝાડી નાખ્યો. આખરે એ મોઢું બગાડીને બોલ્યો કે મેડમ, મુઝે ઐસાવૈસા મત સમજો. યે તો આપ લોગ ટીવી મેં આતે હો ઈસ લિયે દેખ રહા થા... તે આવું બોલ્યો ત્યારે એકદમ ભાન થયું કે આઈલા, આપણે હવે ટીવીસ્ટાર બની ગયાં છીએ એ તો ભુલાઈ જ ગયું!’

દિશા પોતાના સેલિબ્રિટી સ્ટેટસ વિશે સભાનતા ધરાવે છે, પણ તેને એ ધરાર ગંભીરતાથી લેતી નથી.

‘અરે શાનું સેલિબ્રિટી સ્ટેટસ? મારી પાસે કાર નહોતી આવી ત્યારે ક્યારેક એવું બનતું કે ટ્રાફિક સિગ્નલ પાસે વાહનો અટકે ત્યારે મોંઘીદાટ લક્ઝરી કારમાં બેઠેલા માણસો મોબાઈલથી મારા ફોટા પાડતા હોય ને આ સેલિબ્રિટી રિક્ષામાં બેઠી હોય!’

દિશા જેવી નિખાલસતા કેળવવી સહેલી નથી!

‘ક્યારેક સફળતાની હવા ભરાઈ રહી છે એવું લાગે કે હું તરત કોન્શિયસ થઈ જાઉં અને...’ બણે હથેળીને આમતેમ વીંઝીને દિશા ઉમેરે છે, ‘...આમ કરીને કરીને હવાને તરત વિખેરી નાખું!’

દિશા આટલી હદે સરળ અને ડાઉનટુઅર્થ રહી શકી છે તે બાબતે આશ્ચર્ય પામવા જેવું ખરું?



==૦==













10 comments:

  1. વાહ! મજા આવી ગઈ.

    ReplyDelete
  2. nice disha vise aaje ghanu vadhare janva malyu

    ReplyDelete
  3. Nice article !

    Your book must be very much interesting !!

    ReplyDelete
  4. saras disha is really sweet n down to earth as well as intelligent :)

    ReplyDelete
  5. Beauty with brains....
    .....Dangerous combination...

    ReplyDelete
  6. વાકાણી ફેમિલિનાં સર જગદિશ વાકાણી મારાં દ્રોઈગ ટીચર હતા. દીશાને મે નાનપણમાં ભિમ વાકાણી સાથે અનેક વાર જોઈ છે. આપણી નજર સામેનુ બાળક નામના કાઢે ત્યારે આનંદ અને આશ્ચર્ય બનેં લાગણી એક સાથે થાય. ખુબજ સુન્દર આર્ટીકલ છે. થેન્ક્સ.

    ReplyDelete
  7. wha superb collection and very nice artical...

    ReplyDelete
  8. experiance is best teacher

    this artical give idea about sucess

    ReplyDelete
  9. સ્ટ્રગલ કેવા સુંદર રંગ લાવી રહે છે અને સફળતા પચાવવી એ પણ અત્યંત નોંધનીય બાબાત લેખાય.

    ReplyDelete
  10. વાહ...મજા આવી આવી દયા ભાભી વિશે વાંચીને. સુંદર લેખ.

    ReplyDelete