Saturday, September 25, 2010

ઐશ્વર્યા રાય - રજનીકાંતનું અજબગજબ

દિવ્ય ભાસ્કર, રવિવાર પૂર્તિ - ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૦માં પ્રકાશિત




કોલમઃ મલ્ટિપ્લેક્સ



એક ટોચની પ્લાસ્ટિક કંપનીએ ઐશ્વર્યાનું એક શીશી જેટલા લોહીનું સેમ્પલ ખરીદવા માટે અઢાર કરોડ રૂપિયાની ઓફર શા માટે મૂકી?






રજનીકાંત સિનેમાજગતની એક વિશિષ્ટ જણસ છે. દક્ષિણ ભારતમાં તે એ દેવની જેમ પૂજાય છે. અજબગજબની સ્ટાઈલો મારવામાં કોઈ એનો મુકાબલો કરી શકે તેમ નથી. ચશ્મા ગોળગોળ ઘુમાવવાની સ્ટાઈલ, સળગતી સિગારેટને હવામાં રોકેટમાં ઉછાળીને પાછી હોઠથી ઝીલી લેવાની સ્ટાઈલ અને બંદુકની ગોળીને હથેળીથી રોકી દેવાની સ્ટાઈલ રજનીકાંત આવાં બધાં ગતકડાં પડદા પર ખૂબ કરે છે, પણ તેના અસલી જીવનની નીચેની હકીકતો તમે જાણો છો કે નહીં? સાંભળો



- રજનીકાંત પુશ-અપ કરે ત્યારે તેનું શરીર સ્થિર રહે છે, પણ પૃથ્વી ઉપરનીચે થાય છે.

- રજનીકાંત ક્યારેય ઘડિયાળ પહેરતો નથી, કારણ સમય નક્કી કરવાવાળો જ એ છે.

- રજનીકાંતના ઘરને દરવાજા નથી. તે દીવાલની આરપાર આવજા કરે છે.

- રજનીકાંત શૂન્યનો ભાગાકાર કરી શકે છે.

- રજનીકાંત ઈન્ફિનિટી એટલે કે અનંત સુધી ગણતરી કરી શકે છે. ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં, બણે રીતે.

- રજનીકાંત મુક્કો મારીને રિવોલ્વિંગ દરવાજામાં પણ કાણું કરી શકે છે.

- રજનીકાંત ચા બનાવે ત્યારે ગેસનો સ્ટવ પેટાવવાની જરૂર જ ન પડે. તે તપેલી સામે ગુસ્સાથી જુએ એટલે પાણી આપોઆપ ઉકળવા માંડે.

- જો તમે ગૂગલસર્ચ કરતી વખતે ‘રજનીકાંત ગેટિંગ કિક્ડ’ (એટલે કે ‘રજનીકાંતે માર ખાધો’) એવું ટાઈપ કરો તો ઝીરો રિઝલ્ટ મળે.

- બર્મ્યુડા ટ્રાયેન્ગલ વાસ્તવમાં બર્મ્યુડા સ્કેવર હતો, પણ રજનીકાંતે તેના પર જોરથી પગ પછાડ્યો તો એક ખૂણો ગાયબ થઈ ગયો.

- અમેરિકાને ઈરાકમાંથી કોઈ વિધ્વંસક અસ્ત્રોશસ્ત્રો ન મળ્યાં, કારણ કે રજનીકાંત તો ચેણાઈમાં રહે છે.

- સર્જનહારે બ્રહ્માંડની બહાર પણ એક વિશ્વ બનાવ્યું છે, કારણ કે રજનીકાંતથી ડરીને છૂપાઈ જવા માટે એકાદ જગ્યા તો જોઈએને!



હવે આવતા શુક્રવારે રિલીઝ થઈ રહેલી ‘રોબોટ’ નામની ફિલ્મમાં રજનીકાંતની હિરોઈન બનેલી રૂપરૂપના અંબાર જેવી ઐશ્વર્યાની વાત કરીએ. તે મિસ વર્લ્ડ રહી ચૂકી છે અને નામ પાછળ ‘બચ્ચન’નું પૂંછડું લાગ્યું તે પછી પણ સૌંદર્યના મામલામાં અણનમ છે એની તો તમને ખબર છે. એમ તો રજનીકાંત વિશેની ઉપરની કેટલીક વાતો પણ તમે કદાચ સાંભળી હશે. નો પ્રોબ્લેમ. ઐશ્વર્યાના વર્તમાન અને ભવિષ્યની જે નવીનક્કોર ચટાકેદાર ખબરો હવે પેશ થવાની છે તે આજ પહેલાં તમે ક્યારેય નથી વાંચી એની ગેરંટી. સાંભળો



- એક દેશવ્યાપી સર્વેક્ષણમાં ૯૦ ટકા પુરુષોએ કબૂલ કર્યું કે તેમને કુંવારી ક્ન્યાઓ નહીં, બલકે પરિણીત વધારે સેક્સી લાગે છે. આ સર્વે ઐશ્વર્યા રાયનાં લગન્ પછી કરવામાં આવ્યો હતો.



- એક ટોચની પ્લાસ્ટિક કંપનીએ ઐશ્વર્યાનું એક શીશી જેટલા લોહીનું સેમ્પલ ખરીદવા માટે અઢાર કરોડ રૂપિયાની ઓફર મૂકી છે. શા માટે? કંપની જાણવા માગતી હતી કે ઐશ્વર્યાના શરીરમાં પ્લાસ્ટિકનું પ્રમાણ એક્ઝેક્ટ્લી કેટલું છે. નેેચરલી, અમિતાભ બચ્ચને પુત્રવધૂની અવહેલના કરનાર કંપની પર સાડા ચાર અબજનો દાવો ઠોકી દીધો છે. આ રકમના એક હિસ્સામાંંથી એબી કોર્પ ‘પા’ની સિક્વલ ‘બા’ બનાવશે. તેમાં ઐશ્વર્યા સાસુમા જયા બચ્ચનની બા બનશે.





- પાકિસ્તાન સામેના યુદ્ધમાં અદભુત દેખાવ કરવા બદલ ઐશ્વર્યા રાયને શૌર્ય ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. મોરચા પર ઐશ્વર્યાને જોઈને મુગ્ધ થઈ ગયેલા પાકિસ્તાની જવાનોએ ક્હ્યું હતું કે મેડમ, તમારું સ્માઈલ એટલું સુંદર છે કે એ જોઈને અમારા દિલ ધબકવાનું ભૂલી જાય છે. ઐશ્વર્યાએ કહ્યુંઃ એમ? પછી તેણે પાકિસ્તાની સૈનિકો સામે નોનસ્ટોપ પંદર મિનિટ સ્માઈલ ર્ક્યું અને...



- ઓલિમ્પ્ક્સિમાં નજરથી તીર છોડવાની ગેમમાં ઐશ્વર્યા રાયે ગોલ્ડ મેડલ જીત્યો.



- ઐશ્વર્યાને જોકે એ વાતનો અફસોસ રહી ગયો કે તે ‘અખિયોં કે ગોલી મારે’ સ્પોર્ટમાં ભાગ લઈ ન શકી, કારણ કે નિયમ પ્રમાણે ‘નજરોં કે તીર ચલાના’ અને ‘અખિયોં સે ગોલી મારના’ આ બેમાંથી કોઈ એક જ સ્પોર્ટમાં ભાગ લઈ શકાય તેમ હતો.



- એક કાર એક્સિડન્ટમાં ઐશ્વર્યા બળીને ભડથું થઈ ગઈ તેવા સમાચાર સાંભળતા જ દેશના સત્તર જુવાનોએ ચાકુ વડે પોતાની આંખો ફોડી નાખી. શા માટે? તેમને ખબર હતી કે ઐશ્વર્યાએ પોતાના નિધન પછી નેત્રદાન કરવાની જાહેરાત કરી હતી અને તેઓ પોતાની ફૂટેલી આંખની જગ્યાએ ઐશ્વર્યાની આંખ ફિટ કરાવવા માગતા હતા.



- આ સત્તરેય યુવાનોને બચ્ચનપરિવાર તરફથી રેબેન બ્રાન્ડના મોંઘાદાટ કાળા ગોગલ્સ આશ્વાસન રૂપે ભેટ આપવામાં આવ્યા, કારણ કે ઐશ્વર્યા કડેધડે હતી અને એક્સિડન્ટની ખબર માત્ર અફવા હતી.



- વાસ્તવમાં રંભા, મેનકા અને ઉર્વશી સહિતની સ્વર્ગની અગિયાર સિનિયર અપ્સરાઓનું કમોત હતું અને તેઓ કાર એક્સિડન્ટને લીધે નહીં, પણ ઐશ્વર્યાના રૂપની ઈર્ષ્યાને કારણે બળીને ભડથું થઈ ગઈ હતી.




- ઐશ્વર્યા રાય પ્રેગનન્ટ થતાં જ આઠ ટોપમોસ્ટ ફિલ્મમેકરોએ તોતિંગ સાઈનિંગ અમાઉન્ટ આપીને તેના આવનારાં બાળકને સાઈન કરી લીધું. દીકરી હોત તો સોળ વર્ષ પછી અને દીકરો હોય તો ઓગણીસ વર્ષ પછી વારાફરતી આઠેય ફિલ્મોમાં કામ કરશે. અલબત્ત, આઠેય કોન્ટ્રેક્ટમાં એક કલમ કોમન છે કે સંતાન દેખાવમાં મા પર જવું જોઈએ. જો તે બાપ પર ગયું તો કોન્ટ્રેક્ટ કેન્સલ.



- ઐશ્વર્યાની ખૂબસૂરત જુવાન દીકરી પર જબરદસ્ત મોહિત થઈ ગયેલા બે યુવાનો વચ્ચે ભયાનક યુદ્ધ ફાટી નીકળ્યું અને તેમને શાંત પાડવા મિલીટરી બોલાવવી પડી. આ યુવાનો હતા સલમાન ખાનનો પુત્ર અને વિવેક ઓબેરોયનો પુત્ર.



શો સ્ટોપર



સ્ત્રીઓની હાજરીમાં હું શરમાઈ જાઉં છું. એમાંય જો મને ખબર પડે કે સ્ત્રીને મારામાં રસ છે ત્યારે તો ખાસ. સોશ્યલી હું બહુ કોન્ફિડન્ટ માણસ નથી.

- રણબીર કપૂર

No comments:

Post a Comment